Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ઠાસરાના સૈયાત ગામે પુત્ર સાથે માતાનું અગ્નિસ્નાન : બંનેનાં મોત:સાસુ અને દિયર સામે દુષ્પ્રેરણાનો ગુન્હો

અમદાવાદ: નડિયાદ જિલ્લાના ઠાસરા તાલુકાના સૈંયાત ગામે માતાએ દોઢ વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરી લેતા બંનેના મોટ નિપજ્યા હતા સાસુ અને દિયરના ત્રાસથી કંટાળી મહિલાએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. સાસુ અને દિયર સામે ઠાસરા પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણા કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  મળતી માહિતી મુજબ ઠાસરાના સૈંયાત ગામમાં અશોકભાઇ ચાવડા તેમના પરિવાર સાથે રહે છે.ઘરે વહેલી સવારે એકાએક આગ લાગતાં ઘરમાં રહેલા કૈલાસબહેન અશોકભાઇ ચાવડા (ઉં.વ.૩૦) અને તેમનો માસૂમ પુત્ર ની‌િતન (દોઢ વર્ષ) આગની લપેટમાં સપડાઇ ગયાં હતાં. તેઓના બહાર આવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. સ્થાનિકો દ્વારા પાણી છાંટી આગને કાબૂમાં લેવાઇ હતી.

લોકો માતા-પુત્રને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. આગના કારણે પંખો પણ માતા-પુત્ર ઉપર પડ્યો હતો.

અશોકભાઈ અમદાવાદ ખાતે નોકરી કરે છે. તેઓ નોકરી ઉપર હતા ત્યારે આ કરુણાંતિકા બની હતી. આ ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા.પોલીસ તપાસમાં કૈલાસબહેનનાં સાસુ અને દિયર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળી તેઓએ જાતે પોતાના પુત્ર સાથે સળગી જઈ આપઘાત કર્યો છે.

ઠાસરા પોલીસે કૈલાસબહેનને અંતિમ પગલું ભરવા મજબૂર કરનારા તેમનાં સાસુ કનુબહેન મનુભાઇ ચાવડા અને દિયર કિરણભાઇ મનુભાઇ ચાવડા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:10 pm IST)