Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી

પાટણમાં ત્રણ બાળકો નોંધારા બન્યા : મહિલાના પરિવારજનો જ્યારે ઘરે પહોંચ્યા તો, ઘરમાં દીકરી અને જમાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા

પાટણ,તા.૧૭  :પતિ પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ અને વિશ્વાસથી જોડાયેલો સંબંધ છે. આ સંબંધમાં ક્યારેક નાની-મોટી ઘટનાને લઈ બોલાચાલી થતી રહે છે પરંતુ ક્યારેક ગુસ્સામાં એવું મોટું પગલું ભરી લેવામાં આવે છે, જેમાં પરિવાર વેરવિખેર થઈ જાય છે. આવી જ એક કાળજુ કંપાવી દે તેવી ઘટના પાટણમાં સામે આવી છે. જેમાં પતિ પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પતિએ ગુસ્સામાં આવી પત્નીની કરપીણ હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં આ દંપતીના ત્રણ બાળકો નોંધારા બન્યા છે. પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલ સુરમ્ય રેસિડેન્સીમાં રહેતી મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે. મહિલા તેના પિયરમાં પિતાને ઘરે અહીં આવી હતી, ત્યારે પતિએ સાસરીમાં આવી પત્નીની હત્યા કરી દીધી છે. ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી મોત વ્હાલુ કર્યું છે. ઘટનાની જાણ પરિવારને થતા પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પતિ અને પત્નીની લાશને પોસ્ટમાર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, પાટણની રહેવાસી મહિલાના લગ્ન સિદ્ધપુર તાલુકાના લવારા ગામમાં થયા હતા.

         પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈ રોજે રોજ ઘર કંકાસ થતો હતો, જેને પગલે પત્ની છેલ્લા ૨ વર્ષથી પોતાના પિતાના ઘરે પાટણમાં પિયરમમાં રહેત્તી હતી. ત્યારે આજ રોજ મહિલા એકલી હોય તેનો લાભ ઉઠાવી હત્યારો પતિ સાસરીમાં આવી ગયો અને મહિલાને તિક્ષ્ણ હથિયારો વડે મોતને ઘાટ ઉતારી દીધી છે અને પછી જાતે સુસાઇડ કરી લીધાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. મહિલાના પરિવારજનો જ્યારે ઘરે પહોંચ્યા તો, ઘરમાં દીકરી અને જમાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા, ઘરમાં લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે, પતિ પત્નીના ઘર કંકાસમાં બન્ને દંપતીના જીવ ગયા છે, જ્યારે તેમના ત્રણ સંતાનો નોંધાર બની જવા પામ્યા છે. સમગ્ર ઘટનાને લઈ લોકોના ટોળે ટોળાં એકઠા થઈ ગયા છે અને ઘટનાને લઈ વિસ્તારમાં કરુણ દ્રષ્યો સર્જાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને બન્ને મૃતદેહોને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે. પોલીસે આ મામલે પ્રાથમિક દ્રષ્ટીએ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે.

(8:59 pm IST)