Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કેવડીયા કોલોની (નર્મદા ડેમ) ખાતે વડાપ્રધાનના બંદોબસ્‍તમાં મુકાયેલા નવસારીના પીએસઆઇ એન.સી.ફીનવીયાએ માથામાં જાતે ગોળી મારી આત્‍મહત્‍યા કરી

સ્‍યુસાઇડ નોટમાં હેરાનગતીનો ઉલ્લેખ? ફોટા પડાવવા માટે સાથી પીએસઆઇ પાસેથી રિવોલ્‍વર મેળવી હતી

રાજકોટઃ નવસારી ખાતે એલઆઇબીમાં  ફરજ બજાવતા ર૦૧૩ બેચના પીએસઆઇ એન.સી.ફીનવીયા કે જેઓ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના બંદોબસ્‍તમાં નર્મદા ડેમના ઐતિહાસિક અવસરે કેવડીયા કોલોની ખાતે બંદોબસ્‍તમાં હતા તેઓએ બંદોબસ્‍ત દરમિયાન પોતાનું જીવન ટુંકાવી પોતાના માથામાં રિવોલ્‍વરથી ગોળી મારી આત્‍મહત્‍યા કરી લીધાનું સુત્રો જણાવે છે. ઉકત ઘટનાએ ભારે ચકચાર જગાવવા સાથે આત્‍મહત્‍યાના કારણો અંગે પણ અનેકવિધ અનુમાનો અને અટકળો ચાલી રહી છે.

અમરેલી ખાતે એસસી-એસટી સેલમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા અને હાલ જેઓને કેવડીયા કોલોની ખાતે બંદોબસ્‍ત સુપ્રત થયો છે તેવા અધિકારીએ ઉકત પીએસઆઇની આત્‍મહત્‍યા અંગે રિપોર્ટ કર્યો છે. રીપોર્ટમાં તેઓએ એવું પણ જણાવ્‍યું છે કે મજકુર પીએસઆઇ અન્‍ય પીએસઆઇ  પાસે રિવોલ્‍વર માંગી પોતે રિવોલ્‍વર સાથે ફોટા પડાવવા માંગતા હોવાનું જણાવી રિવોલ્‍વર મેળવ્‍યાનું પણ પોતાના રિપોર્ટમાં  જણાવ્‍યાનું બહાર આવ્‍યું છે. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મજકુર પીએસઆઇએ કોઇની હેરાનગતી બાબત પણ સ્‍યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યાની પણ ચર્ચા છે.

(12:39 pm IST)