Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે રાધાષ્ટમીની ઉજવણી કરાઈ

મંદિરમાં રાધે રાધે, રાધા-માધવના નાદ ગુંજયાઃ રાધા-માધવના અભિષેકમ્ અને મહાઆરતીનું આયોજન હજારો શ્રધ્ધાળુઓ રાધાષ્ટમીની ઉજવણીમાં ભકિતરસમાં

અમદાવાદ, તા.૧૭: હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિયતમા શ્રીમતી રાધારાણીના અવતરણના શ્રી રાધાષ્ટમી ઉત્સવની ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો શ્રી રાધા-માધવના દર્શનાર્થે ઉમટી પડયા હતા અને મંદિર પરિસરમાં શ્રી રાધે...રાધે...શ્રી રાધેકૃષ્ણ, શ્રી રાધા-માધવના નાદ ગુંજી ઉઠયા હતા.    હજારો શ્રધ્ધાળુ ભકતો રાધાષ્ટમીની ઉજવણીમાં અને ભકિતરસમાં તરબોળ બન્યા હતા. શ્રી રાધાષ્ટમીની ઉજવણીને લઇ આજે ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં રાધા-માધવને અલંકારિક અને આકર્ષક સાજ-શણગાર અને સુગંધીદાર પુષ્પોથી સજાવવામાં આવ્યા હતા. શ્રી શ્રી રાધા માધવના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા ખાસ સેવા અર્પણ કરાઇ હતી. શ્રી રાધા-માધવને ૧૦૮ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી રાધાષ્ટમીને લઇ આજે શ્રી રાધા-માધવ મંદિરમાં   મહા અભિષેકમ્ અને મહા આરતી ઉપરાંત ભક્તો દ્વારા શ્રીમતી રાધારાણી માટે ભજન સંકીર્તન સહિતના સુંદર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા., જેમાં ભાગ લઇ હજારો શ્રદ્ધાળુઓ ભકિતરસમાં ઝુમી ઉઠયા હતા.  શ્રી રાધાષ્ટમીની ઉજવણીને લઇ હરેકૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદના પ્રમુખ સ્વામીજી જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું  હતું કે, શ્રી રાધાષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમાં શ્રીમતી રાધારાણીના અવતરણનો શુભ દિન છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના ૧૫ દિવસના અંતે શ્રી રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીઓમાં રાધારાણીને મુખ્ય ગોપી તરીકે ખૂબ જ ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શુધ્ધ ભક્તિનો સાર છે. કૃષ્ણ ભક્તિ દ્વારા ભક્તો શ્રીમતી રાધારાણીની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે અને બપોર સુધી ઉપવાસ રાખે છે. હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આજે શ્રી શ્રી રાધા માધવને ભવ્ય પ્રકારના વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. શ્રી રાધાષ્ટમી એ શ્રીમતી રાધારાણીના દિવ્ય પ્રાગટ્યનો મહા ઉત્સવ છે. જેઓ મથુરા પાસે સ્થિત પવિત્ર ભૂમિ બરસાનામાં અવતર્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી પછી પંદર દિવસે તેમજ ભાદરવા મહિનાના તેજસ્વી પખવાડિયામાં શુકલ પક્ષની આઠમના દિવસે શ્રીમતી રાધારાણીનો દિવ્ય પ્રાગટ્ય શ્રી રાધાષ્ટમી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણભક્તો માટે શ્રી રાધાષ્ટમીે પણ શ્રી જન્માષ્ટમી ઉત્સવ જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમતી રાધારાણી સમગ્ર બ્રહ્માંડ માટે માતા સમાન આદર ધરાવે છે અને આ પાવન દિવસે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે શ્રીમતી રાધારાણીને પ્રાર્થના કરે છે.  આજે શ્રી રાધાષ્ટમીની ઉજવણીમાં વિશેષ અલંકાર, મહાઅભિષેક, પુરૂષસૂક્ત, મહાઆરતી, રાજભોગ, મહા મંગળા આરતી અને પાલકી ઉત્સવ અને ભજન-સંકિર્તન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યા હતા. હજારો શ્રધ્ધાળુ ભકતો શ્રી રાધાષ્ટમીની ઉજવણીમાં અને ભકિતરસમાં તરબોળ બન્યા હતા, જેને લઇ રાધા-માધવની ભકિતનો માહોલ છવાયો હતો. સમગ્ર મંદિર પરિસર શ્રી રાધે...રાધે...શ્રી રાધેકૃષ્ણ, શ્રી રાધા-માધવના પવિત્ર નાદથી ગુંજી ઉઠયુ હતું.

(10:22 pm IST)