ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તંદુરસ્ત શકિતશાળી અને સશકત ભાવિ પેઢીના નિર્માણથી ગુજરાતને કુપોષણમુકત રાજ્ય બનાવવાની કટિબધ્ધતા વ્યકત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પોષણક્ષમ પૂરક પોષક આહાર બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓને પૂરો પાડીને રાજ્યની ભાવિ પેઢી દુનિયાના પડકારો ઝિલવા સક્ષમ બનાવવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતની સુમૂલ ડેરી દ્વારા રૂ. પપ કરોડના ખર્ચે નિર્ણય પોષક આહાર ટેક હોમ રાશન પ્લાન્ટનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૬૮મા જન્મદિવસ અવસરે ઉદઘાટન કર્યુ હતું.
તેમણે કહ્યું કે, કુપોષણ સમાજનું કલંક છે અને ગુજરાતે શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પોષણક્ષમ ભારતના નિર્માણ માટે રાજ્યમાંથી કુપોષણને નેસ્તનાબૂદ કરવાનો જંગ દૂધ સહકારી સંઘો કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી ઉપાડયો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ડેરી અને પશુપાલન ઊદ્યોગની જે અવદશા ભૂતકાળમાં કોંગ્રેસી શાસકોએ કરેલી તેની આલોચના કરતા ઉમેર્યુ કે, ડેરીઓનો વિકાસ રૂંધાય એવા તેમના પ્રયાસો રહ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન દૂધ સહકારી ડેરીઓ અને પશુપાલકોને પ્રોત્સાહનો આપી ડેરી ઊદ્યોગને ધમધમતો કર્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ઘી-દૂધની નદીઓ વહે તેવા સપનાને સાકાર કરવા પશુપાલકો દૂધ ઉત્પાદકો અને ડેરી ઊદ્યોગના વિકાસને આ સરકારે પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી રાજ્યની મોટી ડેરીઓએ કુપોષણ સામેની લડાઇમાં ટેક હોમ રેશન પોષક આહારના ઉત્પાદનથી જે સહયોગ કર્યો છે એનો તેમણે આભાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સુરતની સૂમૂલ ડેરીએ રૂ. પપ કરોડના ખર્ચે ટેક હોમ રેશન પ્લાન્ટથી પોષણયુકત આહાર પ્રોસેસ કરીને આંગણવાડીઓ, સગર્ભા-ધાત્રી માતાઓને પહોચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે અભિનંદનીય છે એમ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકારે કુપોષણમુકતિ માટે રૂ. ર૮૦૦ કરોડ જેટલું બજેટ ફાળવ્યું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ આવનારા દિવસોમાં ખેડૂત, આદિવાસી-વનબંધુ, સાગરખેડૂ, દલિત-શોષિત, વંચિતોને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્રથી વિકાસમાં જોડીને સમૃધ્ધ-સશકત ગુજરાતની નેમ પણ દર્શાવી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબશ પૂરક પોષક આહાર ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરો પાડવા ગુજરાતમાં પારદર્શી પધ્ધતિ વિકસાવી છે.
ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના માધ્યમથી દૂધ ઉત્પાદક સહકારી સંઘો-ડેરીઓને આ કામગીરી સોંપીને આપણે ટેક હોમ રાશન સૌ લાભાર્થીઓને મળે તેવું સુનિશ્ચિત કર્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોષણઆહાર વાનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે બાળ કલ્યાણ અને મહિલા વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજય રમતગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, રાજય આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક સહિત મહાનુભાવો જોડાયા હતા.
વડાપ્રધાનશ્રીના ૬૮ માં જન્મદિવસ અવસરે સુમુલના ૬૮ હજાર સભાસદોને તુલસીના છોડ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અપાયા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુમુલ ડેરીના સહયોગ વડે બાજપાઇ બેકેંબલ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ એશિયન ગેઇમ્સમાં એથ્લેટીકસમાં ગોલ્ડ મેળવનાર કુ.સરિતા ગાયકવાડને રૂા.૬૮ લાખનો ચેક અર્પણ કરી, પોષણ અભિયાનના એમ્બેસેડરનો નિયુકતપત્ર એનાયત કર્યો હતો.
સમાજનો તંદુરસ્ત બને ત્યારે, સામાજિક વિકાસ થાય, કૂપોષણ સમસ્યાને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોષણ અભિયાન ઉપાડયું હોવાનું બાળ અને મહિલા કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું હતું. રાજય સરકારે કૂપોષણને નાબૂદ કરવા કટીબદ્વ બની છે. પોષણ આહાર યોજનાનો લાભ ગુજરાતના ૪૨ લાખ લાભાર્થીઓને મળવાનો છે. જેમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન,બનાસ, અમુલ અને સુમુલ ડેરી જોડાઇ છે. ૧૬ હજાર મેટ્રિકટન અનાજને પોષકતત્તવો સાથે ગામેગામે પહોંચાડાશે. ૧૧ આદિજાતિ જિલ્લાની જવાબદારી સુમુલને સોંપવામાં આવી છે. રાજયના આદિવાસી વિસ્તારોમાં કૂપોષણ નિવારવા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના રાહબરી હેઠળ ૧૨પ કરોડનું દૂધ શાળા-આંગણવાડીના બાળકોને પહોંચાડવામાં આવે છે. રાજય સરકારે બાળકો અને મહિલાઓની ચિંતા કરી હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે રાજયમાં આરોગ્ય અને મહિલા કલ્યાણક્ષેત્રે થઇ રહેલી કામગીરીનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, રાજયમાં ૧૦૮ સેવાઓ દ્વારા ૨પ લાખ પ્રસૃતામાતાઓને સારવાર મળી છે. જયારે ૭૧ હજાર સગર્ભામાતાઓની સફળ ડીલીવરી ૧૦૮ માં કરાવી છે. ૧૮૧ અભયમ દ્વારા ૪૨ લાખ બહેનોને મદદ પુરી પાડી છે. તેમણે તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સંકલ્પ સાથે સૌને ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.
કુ.સરિતા ગાયકવાડે પોષણદુત તરીકે નિયુકત કરવા મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. ગુજરાતની માતા-કિશોરી, બાળક તંદુરસ્ત બને એ ગુજરાતનુ ગૌરવ બનશે. ગુજરાત આરોગ્યપ્રદ બને એ માટે મારા પોષણદૂત તરીકે પ્રયત્ન રહેશે, એમ જણાવ્યું હતું.
માંડવીના સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે ગુજરાતના આદિવાસી પટ્ટાના બાળકો, માતાઓ-કિશોરીઓને પોષણક્ષમ બનાવવા કરૂ કરાયેલી યોજના સાર્થક નીવડશે તેમ જણાવ્યું હતું. સાંસદે આયુષમાન ભારત વીમા યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી આપી હતી.
બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠકે સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે ગુજરાતને પોષણક્ષમ બનાવવા સહકારી ક્ષેત્રને અવસર આપ્યો છે. દક્ષિણ ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં બાળશકિત, માતૃશકિત, પુર્ણાશકિત પહોંચાડવાનું ભગીરથ કાર્ય નિભાવશે. સહકારી ક્ષેત્ર ૨૦૨૨માં ખેડૂતો-પશુપાલકોની આવક બમણી કરવાના સરકારના કાર્યમાં નકકર પ્રયત્નો કરશે.
સુમુલ પોષણ આહાર પ્લાન્ટ શુભારંભ અવસરે ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન રામસિંહભાઇ, સાંસદ સર્વ શ્રી સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોષ, સુમુલના વાઇસ ચેરમેન રિતેશ વસાવા, ધારાસભ્યો સર્વ શ્રી હર્ષ સંઘવી, વી.ડી.ઝાલાવાડીયા, મુકેશભાઇ પટેલ, ઝંખનાબેન પટેલ, સંગિતાબેન પાટીલ, મોહનભાઇ ઢોડિયા, કલેકટર ડૉ. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, સહકારી ક્ષેત્રના આગેવાનો, સભાસદો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.