Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સતત ચોથા દિવસે સજ્જડ બંધઃ યાત્રાળુઓને ભારે મુશ્કેલી

પ્લાસ્ટીકના પ્રતિબંધ બાદ પવિત્ર યાત્રધામ :ટકાયત કરાયેલા વેપારીઓને મુકત નહીં કરાય ત્યાં સુધી બજારો બંધ રાખવાની વેપારીઓની ચીમકી

અંબાજીઃ તા.૧૭:અંબાજીમાં પ્લાસ્ટિક પર પાબંદી ફરમાવતાં આક્રમક બનેલા વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. ચોથા દિવસે પણ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે.પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે. શનિવારે વેપારીઓએ રસ્તા પર ટાયરો સળગાવતાં પોલીસે ૯ વેપારીઓની અટકાયત કરી છે. વેપારીઓને મુકત કરવામાં નહીં આવે ત્યાં સુધી બજાર બંધ રાખવાની ચીમકી આપી છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવા અને અટકાયત કરાયેલા વેપારીઓને મુકત કરવાની માંગ સાથે વેપારીઓ બંધ રાખવા મક્કમ બન્યા છે. બીજી તરફ વહિવટી તંત્ર પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવા તૈયાર નથી. ત્રણ ત્રણ દિવસ સુધી આ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતાં પદયાત્રીકો હાલકી વેઠી રહ્યા છે.

ભાદરવી પૂનમના મહામેળામાં પ્લાસ્ટિક પર અને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વિરોધમાં તમામ વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી અંબાજી બંધ રાખીને બેઠા છે અને શનિવારે અંબાજીની વિરોધની વચ્ચે ટાયરો બાળી અને રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેમાં ૯ વેપારી અગ્રણીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી તેમજ ૨૦ વેપારીઓ સહિત ૩૫૦ ના ટોળાં સામે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં રવિવારે અંબાજી સતત ત્રીજા દિવસે પણ પ્લાસ્ટિકના વિરૃધ્ધમાં સજ્જડ બંધ રહ્યું હતું. જયાં સુધી આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે અને વેપારીને મુકત નહીં કરાય ત્યાં સુધી અંબાજીના તમામ વેપારીઓ અંબાજી બંધ રાખી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અંબાજી બંધ રહેતાં યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે.

 અંબાજીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલ ગૌતમભાઇ રાયમલજી જૈન, આકાશભાઇ જનકભાઇ ઠાકર, દિનેશકુમાર નાનાલાલ પૂજારા, ગણેશભાઇ રામાજી વણજારા, સુરેશભાઇ હજારી ભાઇ વણજારા, આંસુભાઇ સુખદેવપ્રસાદ અગ્રવાલ, મનન રાકેશભાઇ માળી, આશિષભાઇ વસંતભાઇ પટેલ, લોકેશભાઈ મહેન્દ્રભાઇ પટેલ,મનીષ રતનાલાલ જોશી, અમિત વસંતલાલ પટેલ, લક્ષ્મણ ઠાકોર, અશોકભાઇ શંકરભાઇ વણજારા, સાહિલખાન રફીકખાન પઠાણ, દિનેશભાઇ હીરલાલ મહેતા, ભાવેશભાઈ જગદીશભાઇ જોશી, ગણેશભાઇ રામુ વણઝારા,જયેશભાઇ આકાજી વણજારા,જયમીન પ્રવિણભાઇ મોરી,લક્ષ્મણરામ માંગીલાલ તેલી ની અટકાયત કરાઇ છે. તેમજ અન્ય ૩૫૦ના ટોળા વિરૃધ્ધ ફરીયાદ કરાઇ છે.યાત્રિકોની સુખાકારીને ધ્યાનમા રાખીને અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી રહી છે. વેપારીઓ યાત્રિકોને ખલેલ પહોંચે તે રીતે ઉત્પાત નહીં મચાવે તો વધુ અટકાયત કરવામાં નહીં આવે તેમ અંબાજીના એસપીશ્રી પ્રદીપ સેજુળએ જણાવ્યું છે.અંબાજીમાં લાખો પદયાત્રીકો મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે યાત્રિકોની પડખે વહિવટીતંત્ર છે.યાત્રિકોની સુરક્ષા અને સલામતી એ મહત્વનો મુદ્દો છે. તેમ કલેકટરશ્રી સંદિપ સાગલેએ પણ જણાવેલ.

 

(5:06 pm IST)