Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નડિયાદમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:તાલુકાના વીણાની પરિણીતા પાસે બળજબરીપૂર્વક છૂટાછેડાના કાગળો ઉપર સહી કરાવી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા સામે નડિયાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના વીણામાં રહેતા દિપકભાઈ સેમ્યુલભાઈ પરમારના લગ્ન આજથી ૧૪ વર્ષ પહેલાં રીનાબેન સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં પતિ-પત્નીનું લગ્ન જીવન સુખરૂપ રહ્યું હતું. જેના ફળ સ્વરૂપે એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ દીકરીનો જન્મ થયા બાદ પત્ની રીનાબેન ઉપર ખોટો વહેમ રાખી મારઝુડ કરવામાં આવી હતી. તેમજ રીનાબેન પાસે છુટાછેડા આપી દેવા માંગણી કરતા પરિણીતાએ છૂટાછેડા આપવા ઈન્કાર કર્યો હતો. જેથી સાસરીયાએ દબાણ કરી બળજબરીપૂર્વક છૂટાછેડાના કાગળો ઉપર સહી કરાવી લીધી હતી. તેમજ સાસરિયાઓ દ્વારા મેણાં ટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 
આ બનાવ અંગે રીનાબેન દિપકભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ મહિલા પોલીસે દિપકભાઈ સેમ્યુલભાઈ પરમાર, એલીશબેન સેમ્યુલભાઈ, રાકેશભાઈ સેમ્યુલભાઈ તથા મીનાબેન રાકેશભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:06 pm IST)