Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે જાલપુર પાસેની મેશ્વો નદીમાં પુષ્‍ક પાળી આવતા બે પરિવારના 14 લોકો ફસાયા

મોડાસાના મામલતદાર અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્‍થળે ધસી જઇ બચાવ કાર્ય હાથ ધર્યુ

અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં ઉપરવાસ તથા આસપાસના વિસ્‍તારોમાં ભારે વરસાદથી મેઘરજ, ભિલોડા, મોડાસા, માલપુર, ધનસુરા સહિતના ગામો પ્રભાવિત થયા હતા. જાલપુર પાસે મેશ્વો નદીમાં ઘોડાપુર આવતા બે પરિવારના 14 લોકો ફસાયા હતા. લોકોને બચાવવા માટે એનડીઆરએફ અને હેલિકોપ્‍ટરની મદદ માટે ફાયર વિભાગે ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી બચાવ કાર્ય હાથ ધર્યુ હતું.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જાઈ છે. મેઘરજ, મોડાસા, ભિલોડા, માલપુર, ધનસુરા અને આસપાસના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે મોડાસામાં ભારે વરસાદને કારણે જાલપુર પાસેની મેશ્વો નદીમાં પાણીનું વહેણ વધ્યું છે. જેના કારણે નદીની પારે 14 લોકો ફસાયા છે. જોકે, તમામ 14 લોકોને બચાવવા માટે NDRF અને હેલિકોપ્ટરની મદદ માટે ફાયર વિભાગે ઉચ્ચ કક્ષાએ ફોન કરી મદદ માંગી છે.

અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિલોડામાં 2 ઇંચ, માલપુર અને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શામળાજી તરફના માર્ગ પર વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે. મોડાસા શામળાજી હાઇવે પર બે-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે. ખેતરો અને સ્ટેટ હાઇવે ધોવાઇ ગયા છે.

તો બીજી તરફ ભારે વરસાદને કારણે મોડાસાના જાલપુર પાસેની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે નદીના પાણીનું વહેણ વધતા નદીની પારે 14 લોકો ફસાયા છે. નદીની બીજી બાજુએ બે પરિવારના 14 લોકો ફસાયા છે. જોકે, આ ઘટના અંગે જાણ થતાં મોડાસાના મામલતદાર તેમજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી એને બચાવ કાર્ય હાથ ધર્યું છે. જોકે, બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી હોવાને કારણે ફાયર વિભાગે NDRD અને હેલિકોપ્ટરની મદદ માટે ઉચ્ચ કક્ષાએ કોલ કર્યો છે.

ઉલ્લખેનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર, વડાલી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હરણાવ જળાશયમાં 5 હજાર ક્યુસેક પાણી આવક નોંધાતા નદીમાં પાણી છોડાયું છે. જેથી ખેડબ્રહ્મા અને વિજયનગરના 10 ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે જ વિજયનગરના 4 ગામ અને ખેડબ્રહ્મા 6 ગામને એલર્ટ કરાયા છે.

ભિલોડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ ગયો છે. ભિલોડના ગ્રામ્ય વિસ્તારો લીલછા, ખલવાડ, માકરોડા, નવા ભવનાથ, વિસ્તારમાં વરસાદ ખાબકતાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તો આ તરફ  ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુનસર ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળતાં નદી કિનારાના 20 ગામડાંઓને સર્તક કરાયા છે.

(5:10 pm IST)