Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સાબરમતી જેલમાં રહેલ અમદાવાદનો મનિયા સુરવે ! : જેલમાં બેઠા-બેઠા જ પાંચ લાખની ખંડણી માંગી વેપારીના ઘરે માણસો મોકલ્યા

જેલમાં બેસીને અઝહર કીટલી ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો : આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી પોલીસ કાયદાનું ભાન કરાવશે

અમદાવાદ : વેજલપુરના કુખ્યાત અઝહર કિટલી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. નાની ઉંમરે જ ગુનાખોરીમાં પગ મૂકનારા અઝહર કિટલીનો એક મોટો કાંડ સામે આવ્યો છે. અઝહર કિટલીએ જેલમાં બેઠા બેઠા એક વેપારીને ફોન કર્યો હતો. એટલું જ નહીં વેપારીને ફોન કરીને અઝહર કિટલીએ પાંચ લાખ રુપિયાની ખંડણી માગી હતી. પોતાને મોટો ડોન સમજતો હોય એ રીતે અઝહર કિટલીએ રુપિયાની ખંડણી માંગીને વેપારીના ઘરે માણસો મોકલ્યા હતા.

જેલમાં બેસી કુખ્યાત ગુનેગાર ખંડણીનું આખું નેટવર્ક ચલાવી રહ્યો છે. ભલે જેલ પ્રશાસન કહેતું હોય કે કેદીઓ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ન લઈ જઈ શકે પણ જેલની પરિસ્થિતિ આ વાતથી વિપરીત છે. 19 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલ અઝહર કીટલીએ જેલમાં બેઠા-બેઠા જ પાંચ લાખ માંગવા ધમકી ભર્યા ફોન કરી વેપારીના ઘરે માણસો મોકલ્યા અને તોડફોડ કરી છે.

અઝહર કીટલી અગાઉ જુહાપુરામાં રહી અનેક ગુના આચરી ચુક્યો છે. અઝહર કીટલી હાલ ભલે સાબરમતી જેલમાં હોય પણ તેણે જેલમાં બેસીને જ એક વેપારીને ફોન કર્યો. ખંડણી માંગવા અઝહરે અનેક ફોન કર્યા. અલગ અલગ તારીખોએ અનેક ફોન કરી ધમકીઓ આપતો અને પૈસા માંગતો હતો. વેપારીએ જવાબ ન આપતા અઝહર આવેશમાં આવી ગયો. બાદમાં તેણે તેના માણસો મોકલી તોડફોડ કરાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. છતાં જેલમાં બેસીને તે ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અઝહર કીટલી અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ પણ ચુક્યો છે. છતાં જેલમાં બેસીને તે જેલના અધિકારીઓના આશિર્વાદથી ફોન કરી લોકોને ધમકાવી રહ્યો છે. હાલ વેજલપુર પોલીસે ઝાકીર હુસેન અઝહર કબૂતર, અઝહર કિટલી, બબલુ સહિતના છ લોકો સામે ફરિયાદ નોંધી છે. તાજેતરમાં અઝહર કીટલી પાસેથી ફોન મળી આવ્યો હતો અને તે બાબતે રાણીપમાં ગુનો પણ નોંધાયો હતો. અગાઉ ગુજસીટોકનો ગુનો અને હવે ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા અઝહર કીટલી પોલીસના હાથથી બચી નહિ શકે. 19 થી વધુ ગુના આચરનાર અઝહર કીટલીને થોડા જ દિવસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી પોલીસ કાયદાનું ભાન કરાવશે.

અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનિયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો. પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ભગાવી દેશે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે. આગામી સમયમાં માત્ર અઝહર કીટલી જ નહિ પણ આ વિસ્તારના તમામ ગુનેગારો થરથર કાંપે અને ગુનો આચરતા બંધ થાય તે રીતની કડક કાર્યવાહી કરવા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે આગામી દિવસમાં અઝહર કીટલી પકડાયા બાદ જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ ગયો અને કેટલા લોકોને ધમકી આપી ખંડણી માંગી ચુક્યો છે તેનો ખુલાસો થશે.

 

(12:06 am IST)