Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સચાણા વૃધ્ધાશ્રમમાં નિવાસ કરતા વડિલોને વિરમગામ મામલતદારના હસ્તે માઁ વાત્સલ્ય કાર્ડ વિતરણ કરાયુ

વિરમગામ : તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા મામલતદાર ઓફિસ વિરમગામ અને તાલુકા પંચાયત વિરમગામના સહકારથી શ્રી હરિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સચાણા વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિરમગામ મામલતદાર કુંજલ શાહ, નાયબ મામલતદાર જી એમ ગોહીલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી,નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, ભરત મીર, હસમુખ મકવાણા, નરેશ રાઠવા, વૃદ્ધાશ્રમના સંચાલક મનસુખ રોજાસરા સહિત વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ મેળવી વડીલોના ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગયો હતો.

    વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, સચાણા વૃધ્ધાશ્રમના સંચાલક દ્વારા વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોના મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસમાં રજુઆત કરી હતી. પરંતુ રહેઠાણના પુરાવા અને આવકના દાખલા વગર માઁ વાત્સલ્ય કાર્ડ બની શકે તેમ ન હોવાથી તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના કર્મચારીઓ દ્વારા જરૂરી પુરાવાઓ એકઠા કરવાનું શરૂ કર્યુ હતુ.

   મામલતદાર ઓફિસ વિરમગામના જી એમ ગોહીલ સહિતના અધિકારીઓના સહકારથી રેશનકાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર આપવામાં આવ્યુ અને તાલુકા પંચાયત વિરમગામના ડી ડી ગોહિલ સહિતના અધિકારી દ્વારા આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ. જરૂરી તમામ પુરાવાઓ એકત્રીત કરીને સચાણા વૃધ્ધાશ્રમ ખાતે માઁ કાર્ડની કીટ મોકલીને સ્થળ પર જ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોના મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ બનાવવામાં આવ્યા હતા.     સચાણા વૃદ્ધાશ્રમ ખાતે વિરમગામ મામલતદારના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં વડિલોને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા હતા. માઁ વાત્સલ્ય કાર્ડ હાથમાં આવતાની સાથે જ વૃધ્ધાશ્રમમાં નિવાસ કરતા વહીલોના ચહેરા પર અલૌકિક ખુશી જોવા મળી હતી.તેમ  વંદના નીલકંઠ વાસુકિયા( વિરમગામ)ની યાદીમાં જણાવાયું છે 

(8:24 pm IST)