Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સરદાર સરોવરમાં કુલ સંગ્રહ શક્તિના ૭૯.૦૧ ટકા પાણી

રાજ્યમાં ૪૦ જળાશયો છલકાઈ ગયા : રાજ્યના ૩૪ જળાશયો ૭૦-૧૦૦ ટકાયા ભરાયા : ૨૮ જળાશયો ૫૦-૭૦ ટકા સુધી ભરાયા : ખેડૂતો ખુશખુશાલ

અમદાવાદ, તા. ૧૬ : ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૬ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૮૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૨ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાયા છે. ૩૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૯.૦૧ ટકા ભરાયું છે.

       અત્યાર સુધીમાં રાજયના કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ ૧૦૦ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૦૨,૪૧૦, કડાણામાં ૧,૬૦,૨૯૪, વણાકબોરીમાં ૧,૦૦,૧૯૮ ઉકાઇમાં ૫૫,૨૦૫ , ધરોઇમાં ૧૨,૫૦૦ દમણગંગામાં ૯,૯૫૪, કરજણમાં ૫,૯૨૦ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૧.૨૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૮.૫૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૭.૩૭ ટકા,  કચ્છના ૨૦ જળાશયોમાં ૫૭.૭૦ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૧.૦૧ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૬૭.૫૩ ટકા એટલે ૩,૭૫,૯૩૧ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

(8:10 pm IST)