Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

મગફળી કૌભાંડને લઇ પરેશ ધાનાણીના ઉપવાસ શરૂ થયા

દોષિતોને સખતમાં સખત સજા ફટકારવા માંગણી : ધાનાણીના ફરી સરકાર પર પ્રહારો : ઉપવાસ આંદોલનમાં સિધ્ધાર્થ પરમાર, જગદીશ ઠાકોર સહિતના નેતા જોડાયા

અમદાવાદ, તા.૧૬ : ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતમાં થયેલા મગફળી કૌભાંડના દોષિતોને સજાની ઉગ્ર માંગ સાથે આજે અમદાવાદ શહેરમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ શરૂ કર્યા છે, જેને લઇ મગફળી કૌભાંડનું રાજકારણ વધુ ગરમાયુ છે. ધાનાણીની સાથે ઉપવાસ આંદોલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સિધ્ધાર્થ પટલે, શૈલેષ પરમાર, જગદીશ ઠાકોર, પૂજાભાઇ ગામીત, શશીકાંત પટેલ, દિનેશ શર્મા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ધાનાણીએ આજે પણ ભાજપ સરકાર પર મગફળી કૌભાંડને લઇ આકરા પ્રહારો કર્યા હતા અને સમગ્ર પ્રકરણમાં દોષિતોને આકરી સજા કરવાની સાથે સાથે ખેડૂતોને ન્યાય આપવાની માંગણી ઉચ્ચારી હતી. ચકચારભર્યા કૌભાંડમાં પોતાનું ઉપવાસ આંદોલન શરૂ કરતાં પહેલાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાબરમતી સ્થિતિ ગાંધી આશ્રમ પહોંચીને બાપુના હૃદયકુંજમાં શીશ નમાવીને પગ લાગ્યા હતા. ત્યારબાદ બહાર બેસીને ઉપવાસની શરૂઆત કરી હતી. ઉપવાસમાં ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર સહિતના અન્ય નેતાઓ પણ જોડાયા હતા. સાબરમતી આશ્રમ પાસે જ ધાનાણી ઉપવાસ પર ઉતરતાં અમદાવાદ મુખ્ય સેન્ટર હોવાના કારણે મગફળી કૌભાંડનું રાજકારણ વધુ ગરમાયું હતું. પેઢલા ખાતેથી શરૂ કરાયેલા ધરણાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ધાનાણી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારને આડેહાથ લઈ રહ્યા છે અને એક બાદ એક પ્રહાર કરીને સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે, ત્યારે સરકાર પણ હવે આ સમગ્ર મામલામાં પૂરતો બચાવ કરવાની રણનીતિની વ્યૂહરચનામાં જોતરાઇ છે. ઉલ્લેખનીય છે કે, જેતપુર પાસેના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં મોટાપાયે માટીની ભેળસેળ કરાઇ હતી મગફળીના જથ્થામાં ધૂળ ભેળવવાના કૌભાંડમાં પોલીસે બુધવારે જેતપુરના વિશાલ નામના શખ્સને દબોચી લીધો હતો. મગફળીમાં ધૂળ ભેળવવામાં વિશાલની વરવી ભૂમિકા હતી. વિશાલે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા.

જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરવામાં આવતી હોવાની કેફિયત આપી હતી. ભેળસેળમાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે વિશાલની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાંથી ધૂળ, માટીના ઢેફા નીકળતા કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડમાં સંડોવાયેલા ૨૨ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો કૌટુંબિક ભત્રીજો રોહિત બોડા, સૌરાષ્ટ્ર વેરહાઉસના મેનેજર મગન જાલાવડિયા, ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળુભાઇ, ૪થી વધુ અધિકારીઓ અને સહકારી મંડળીના ૧૫થી વધુ શખ્સોનો સમાવેશ થતો હતો. પોલીસે આ તમામ આરોપીઓના રિમાન્ડ પણ કોર્ટમાંથી મેળવ્યા હતા.  મગફળી કૌભાંડ અંગે ગત તા.૧ના રોજ ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસથી જ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. અઠવાડિયામાં ૨૯ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મુખ્ય કાવતરાખોર તરીકે મગન ઝાલાવાડિયા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સમગ્ર કૌભાંડ કોના ઇશારે થયું હતું તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. મગન ઝાલાવડિયા સમગ્ર કૌભાંડ આચરી શકે તેવી શક્યતા દેખાતી નથી. પડદા પાછળનો કસબી કોણ છે, મગન ઝાલાવડિયા અને તેના સાથીદાર માનસિંગ સહિતના લોકો પોલીસ સકંજામાં છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કોણ?, તે બાબત બહાર કાઢવામાં પોલીસ હજુ સુધી સફળ થઇ નથી. સમગ્ર ટોપલો મગન પર ઓઢાડી હંમેશ માટે પડદો પાડી દેવાશે કે સૂત્રધાર સુધી પોલીસ પહોંચશે તે દિશામાં હાલ તો તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

(8:45 am IST)