Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરીઃ ૨૩ વર્ષમાં ગુજરાતની વસ્‍તી તો વધી પરંતુ કર્મચારીઓ પ.૧૧ લાખ જ કેમ ?

ગાંધીનગર :આજે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે બેરોજગારી તથા સરકારી નોકરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમા કોંગ્રેસે સરકારી નોકરી મામલે કહ્યું હતું કે, વર્ષ 1996માં રાજ્યની જનસંખ્યા 3 કરોડ હતી, ત્યારે પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ હતા. અને જ્યારે આજે જનસંખ્યા 6.5 કરોડ થઈ ત્યારે પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ જ છે. તેમજ બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરી હતી.

કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ફિક્સ પે કર્મચારીઓ સાથે સરકાર અન્યાય કરી રહી છે. 2 લાખથી વધુ ફિક્સ પે કર્મીઓને સરકાર હેરાન કરી રહી છે. સુપ્રિમ કોર્ટમાંથી સરકારે કેસ પાછો ખેંચી યુવાનોને હક આપે. વર્ષ 1996માં રાજ્યની જનસંખ્યા 3 કરોડ હતી, ત્યારે પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ હતા, અને આજે જ્યારે રાજ્યની જનસંખ્યા 6.5 કરોડ થઈ ત્યારે પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ જ છે. સરકાર આ મામલે વિચારણા કરે તો લોકોની હાલાકી ઘટે.

તો બીજી તરફ, કોંગ્રેસના સ્થાનિક બેરોજગારીના પ્રશ્નનો શ્રમ રોજગાર મંત્રીએ લેખિતમાં જબાવ આપતા કહ્યું કે, રાજ્યમાં સ્થાનિકોને 85 ટકા રોજગારી આપવાના કાયદાનું પાલન થતું નથી. કચ્છમાં કોસ્ટલ ગુજરાત પાવર લી અને અદાણી પાવર લિ. દ્વારા 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમનું પાલન કરાતું નથી. રાજ્યમાં કેન્દ્ર સરકાર હસ્તકની 26 કંપનીઓ એકમો પૈકી 19 એકમોમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમો પાળવામાં આવતા નથી. કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સહસોમાં કેન્દ્રીય ધોરણે ભરતી બદલી બઢતી થતી હોવાને લીધે 85 ટકા સ્થાનિકોની ટકાવારીનું પાલન થઈ શકતું નથી. અમદાવાદ જિલ્લામાં આવેલ ટાટા મોટર્સ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિ., હોન્ડા મોટર સાયકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિ., સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિ., એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ-દહેજ, ઓએનજીસી-અંકલેશ્વર, પેટ્રોનેટ એલએનજીલી 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું પાલન કરતા નથી.

ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારના સવાલનો લેખિત જવાબ રાજ્ય સરકારના મંત્રીએ આપ્યો કે, વડોદરા જિલ્લામાં સ્થાનિકોને 85 ટકા રોજગારી આપવાના નિયમોનું કેન્દ્ર સરકાર હસ્તકની જ કંપનીઓ પાલન કરતી નથી. જેમાં એનજીસી-મકરપુરા, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રિફાઇનરી ડિવિઝનનો સમાવેશ થાય છે. જ્યારે કે, એલએન્ડટી કંપનીએ આપેલ માહિતી પ્રમાણે સ્થાનિકોની ટકાવારી જળવાઈ છે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકોને 85 ટકાને રોજગારીનું પાલન કરવા સૂચના આપી છે. રાજ્યમાં કેન્દ્ર સરકાર હસ્તકની 26 કંપનીઓ-એકમો પૈકી 19 એકમોમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમનું પાલન થતું નથી. કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસોમાં કેન્દ્રીય ધોરણે ભરતી, બદલી-બઢતી થતી હોવાને લીધે 85 ટકા સ્થાનિકોની ટકાવારીનું પાલન થઈ શકતું નથી.

(5:07 pm IST)