Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ૧૩ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું ઇ- લોકાર્પણ કર્યું

કોરોનાકાળમાં રાજ્ય સરકાર સેવાભાવી- ધાર્મિક સંસ્થાઓના સહકારથી લોકોની સેવા-સારવારમાં સતત કાર્યરત રહી: ગમે તેવા કપરા સમયે પણ રાજ્યનો વિકાસ અને જનતાની સુખાકારીમાં વૃદ્ધી કરવાનો સરકારનો સંકલ્પ:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાકાળમાં રાજ્ય સરકાર સેવાભાવી- ધાર્મિક સંસ્થાઓના સહકારથી લોકોની સેવા-સારવારમાં સતત કાર્યરત રહી છે. ગમે તેવા કપરા સમયે પણ રાજ્યનો વિકાસ અને જનતાની સુખાકારીમાં વૃદ્ધી કરવાનો સરકારનો સંકલ્પ છે.
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ૧૩ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું ગાંધીનગરથી ઇ- લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન એક લાખથી વધુ કોવિડ દર્દીઓએ સારવાર લીધી છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં મેડિકલ ઓક્સિજનના અભાવે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
તેમેણે કહ્યું કે, ગુજરાતે કોરાનાની બન્ને લહેરનો મક્કમતાથી મુકાબલો કર્યો છે અને હવે આપણે સંભવિત ત્રીજી લહેર માટે પણ સજ્જ બની રહ્યા છીએ. રાજ્ય સરકારે કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે અને તે માટે અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે વાત કરતાં જણાવ્યું કે, સરકારે પી.એસ.એ. પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન ટેંક, ઓક્સિજન સિલિન્ડર, પરિવહન વ્યવસ્થા વિગેરેમાં આવશ્યક વૃદ્ધિ કરી રાજ્યની મેડિકલ ઓક્સિજનની ક્ષમતા ૧૮૦૦ મેટ્રિક ટન લઈ જવા નીર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના પરિણામે છેલ્લા અઢી દાયકાથી ગુજરાતે વિકાસની કેડી કંડારી છે. ગુજરાતને આપણે વધુ સુખી સમૃદ્ધ સંસ્કારી અને સ્વાસ્થ્યપ્રદ બનાવવું છે. ગુજરાતની ભવ્યતા અને દિવ્યતામાં વૃદ્ધિ થાય તે સરકારની નેમ છે.
મુખ્યમંત્રીએ એસ.જી.વી.પી. હોસ્પિટલનીની કોરોનાકાળ દરમિયાન દર્દીઓની સેવા સારવારને બિરદાવી હતી. તેઓએ એસ.જી.વી.પી. સંસ્થાની તાઉતે વાવાઝોડા બાદની રાહત કામગીરી અને અન્ય શૈક્ષણિક સામાજિક કાર્યોને પણ બિરદાવ્યા હતા.   
 SGVP અધ્યક્ષ  માધવપ્રિયદાસજી સ્વામીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારની કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર અંગેની કામગીરીની સરાહના કરી હતી.
ડાયરેક્ટર  જયદેવભાઇ સોનગરાએ સ્વાગત પ્રવચન દરમિયાન કોરોનાકાળમાં એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલની કામગીરીનો ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે એસ.જી.વી.પી. સંકુલ ખાતે ધાટલોડિયા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજગુરાત હાઇકોર્ટના નિવૃત જસ્ટીસ આર. પી. ઢોલરીયા, સ્ટેડીંગ કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટ, કાઉન્સિલર જતીનભાઇ પટેલ, દેવાંગભાઇ દાણી, ભરતભાઇ, કાંતિભાઇ પટેલ, પૂર્વ કાઉન્સિલર   દિનેશભાઇ દેસાઇ, ઉપાધ્યક્ષ બાલકૃષ્ણદાસજી સ્વામી, ઉદ્યોગપતિ કાનજીભાઇ કે. પટેલ, પદાધિકારી હર્ષદભાઇ પટેલ,મહેશભાઇ કસવાળા અને હાસ્યકાર જગદીશ ત્રીવેદી ઉપસ્થિત રહ્યા હતા.  

(7:10 pm IST)