Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી જળયાત્રા નીકળીઃ સાબરમતી નદીમાં ગંગાપૂજન

 

અમદાવાદ :આજે ભગવાન જગન્નાથની 142મી જળયાત્રા નીકળી ચૂકી છે. જમાલપુર મંદિરેથી સવારે 8 વાગ્યે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટીસંખ્યામાં ધજા પતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાયા છે. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવશે. ગંગા પૂજન બાદ 108 કળશમાં જળ ભરવામાં આવશે. નિજ મંદિરે આવ્યા બાદ સવારે 10 વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવશે. ભગવાનનું ષોડશોપચાર પૂજન થયા બાદ તેઓ પોતાના મોસાળ સરસપુર પ્રયાણ કરશે.

જળયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાસ પ્રસંગે હાજર રહ્યા છે. મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જોડાતા, જળયાત્રાના માર્ગ પર અનોખુ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.

સોમનાથ ભૂદરના આરેથી 108 કળશોમાં જળ ભરવામાં આવ્યા હતા. પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગંગાપૂજન પણ કર્યું હતુ. ગંગા પૂજનની તક અમૂલ્ય બની રહી હતી.

ભગવાન જગન્નાથનો જળ અભિષેક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહારાજ્ય મંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કરવામાં આવ્યો હતો. પ્રસંગે અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા.

ભગવાન જગન્નાથ પર પહેલા જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં દહીંથી, કેસરના પાણીથી, ત્યાર બાદ મધથી, બાદમાં ખાંડથી, તેના બાદ ગુલાબ જળથી અને અંતે વિવિધ સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરાયો હતો.

જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અનેક કરતબગારોએ રસ્તામાં પોતાના કરતબ બતાવીને જળયાત્રામાં જુસ્સો ભર્યો હતો.

જળયાત્રા બાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જેના માટે સવારથી પ્રસાદી બનાવવાની શરૂઆત કરાય છે. જગન્નાથ મંદિરમાં ભક્તો અને સાધુ સંતો માટે આજે ભંડારામાં પુરી-શાક, માલપુવા અને ભજીયા અને ગાઠીયાનો બાસુંદીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે.

જળયાત્રામાં 108 કળશની સાથે ગજરાજ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જળયાત્રામાં 18 ગજરાજ પણ જોડાવાના છે. માટે તમામ ગજરાજોને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. જળયાત્રાનું નેતૃત્વ પણ ગજરાજ કરે છે.

જળયાત્રા માં શું હશે ખાસ

જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા જગન્નાથ પુરીના કારીગરોએ કર્યો તૈયાર

કારીગરો ચંદરવો બનાવવા રંગીન દોરા તેમજ ઊનનો પણ ઉપયોગ કરાય છે

જે કળશમાં જળ લાવવામાં આવશે તેને પણ કારીગરો દ્વારા સુશોભિત કરવામાં આવે છે. તાંબા અને પિત્તળના કળશની સફાઇ કરીને સ્વચ્છ કરાય છે અને ગજરાજ પર વિશાળ કળશ મૂકીને પવિત્ર જળ લાવવામાં આવે છે.

જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું અનેરું મહત્વ છે. ગજરાજોને શણગારવામાં આવે છે.

જળયાત્રામાં ફરીથી વર્ષે શણગારેલા બળદગાડા, હાથી, પાલખી અને ભજન મંડળીઓ પણ જોડાશે

જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે

જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ભગવાનનાં ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો, જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે, ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. ત્યારબાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે.

 જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.

(5:07 pm IST)