Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગરમીથી શેકાતા ગુજરાત માટે રાહતના સમાચારઃ 5 દિવસ વહેલા ચોમાસાના આગમનની હવામાન વિભાગની આગાહી

26 મે સુધીમાં કેરળમાં વરસાદ પડશેઃ આ વખતે 10 થી 15 જુન વચ્‍ચે ચોમાસાનું આગમન થશે

અમદાવાદઃ અસહ્ય ગરમી પડતા ગુજરાત માટે રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્‍યા છે. કેરળમાં 27મી મે સુધીમાં ચોમાસાનું આગમન થશે. જેથી, ગુજરાતમાં 5 દિવસ વહેલુ ચોમાસુ બેસવાની શક્‍યતા છે.

કાળઝાળ ગરમીથી બહુ જલદી રાહત મળે તેવા સમાચાર છે. કેરળમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું 5 દિવસ વહેલું બેસે તેવી શક્યતા છે. 27 મી મે સુધીમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપે તેવી આગાહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ચોમાસાનું 5 દિવસ વહેલું આગમન થઈ શકે છે. આથી અગનભઠ્ઠીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી શકે છે.

ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસું દસ્તક આપી શકે છે. 15થી 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ભારત માટે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ લાઈફલાઈન સમાન ગણાય છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યાં મુજબ ગઈ કાલે એટલે કે 16મીએ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. ત્યાંથી કેરળ તરફ એટલે કે કેરળમાં જે સામાન્ય રીતે ચોમાસું બેસવાની તારીખ છે પહેલી જૂન તે આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે અને 27 તારીખ સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. નિર્ધારિત સમય કરતા ચોમાસું 5 દિવસ વહેલું બેસી ગયું છે. જો કે તેમણે એ પણ કહ્યું કે જરૂરી નથી કે કેરળમાં વહેલું બેસે તો ગુજરાતમાં પણ વહેલું બેસે. જો કે હાલ તો આશા વ્યક્ત  કરાઈ છે કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે.

આંદમાન પહોંચી ગયું ચોમાસું

હવામાન ખાતાના અધિકારી આર કે જેનામણિએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચોમાસું આંદમાન સાગર અને દક્ષિણ પૂર્વ બંગાળના તટ સુધી પહોંચી ગયું છે. કેરળમાં 27મી સુધીમાં દસ્તક આપી શકે છે. હવામાન ખાતાએ એમ પણ કહ્યું કે આ અઠવાડિયે ઉત્તરાખંડ, આસામ, મેઘાલય અને કેરલમાં ભારે વરસાદની આગાહી છે.

અત્રે જણાવવાનું કે હાલ તો ગુજરાતમાં સૂરજદાદાના અસહ્ય તાપથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન જ્યારે ગાંધીનગરમાં 42.8 અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો ચોમાસું વહેલું બેસે તો ખેડૂતો માટે પણ તે ખુબ સારી વાત રહેશે. વાવાઝોડા અને માવઠાથી હેરાન પરેશાન થયેલા ખેડૂતો કાગડોળે હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

(5:34 pm IST)