Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

અમદાવાદના દેશનું પ્રથમ ફૂટવે બ્રિજનું કામ પૂર્ણતાના આરે: પીએમ કરી શકે છે લોકાર્પણ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ, પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણસિંહ રાજપૂતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થઈ રહેલ અટલ ફૂટ વે બ્રિજ નિરીક્ષણ કરવા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ, પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણસિંહ રાજપૂતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર એલીસબ્રીજ અને સરદાર બ્રીજની વચ્ચે અંદાજિત 74 કરોડના ખર્ચે આ ફૂટ વે બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટ્રિયન અને સાયકલલીસ્ટને સરળતાથી જોઈ શકાશે.

આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ 4 પીલ્લરના સપોર્ટ પર છે અને 300 મીટરનો લાંબો છે. સાથે સાથે આ બ્રિજ વચ્ચે કાચ લગાવવામાં આવ્યા છે, જે કાચ પરથી નદીનું પાણી જોઈ શકાશે. આ કાચ એટલા મજબૂત છે કે 1000 કિલો જેટલું વજન પણ ઝેલી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યુ હતું કે આ બ્રિજ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન હતું અને આ બ્રિજનું નામ પણ અટલજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે અમદાવાદ શહેરને નવું નજરાણું મળવા જઈ રહ્યું છે અને ભારતનો આ પ્રથમ નદી પરનો ફૂટ વે બ્રિજ હશે

વધુમાં જણાવ્યુ હતું કે આ બ્રિજ બનવાનું સ્વપ્ન વડાપ્રધાનનું હતું જેથી આ બ્રિજ લગભગ કામ પૂર્ણ થવાના આરે છે. વડાપ્રધાન પાસે લોકાર્પણ માટે સમય માગવામાં આવ્યો છે. જ્યારે સમય તે આપશે ત્યારે તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે આ બ્રિજ પર સમય અને ટિકિટ પણ બોર્ડની બેઠક મળશે ત્યારે નક્કી કરવામાં આવશે.

(11:52 pm IST)