Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા : ચારની ધરપકડ થઇ

યુવકની લાશને ઇસનપુર બ્રીજ નીચે ફેંકી દીધી : મૃતકને કામ કરવા મુદ્દે ગઈકાલે બપોરે કોઈ સાથે ઝઘડો થયો હતો : અદાવતમાં અપહરણ-બાદમાં હત્યાની આશંકા

અમદાવાદ, તા.૧૭ : શહેરના સેટેલાઈટ વિસ્તારમાંથી મોડી રાત્રે યુવકનું અપહરણ કરી તેની હત્યા કર્યા બાદ લાશને ઇસનપુર બ્રીજ નીચે ફેંકાઇ દેવાઇ હતી. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, સેટેલાઇટ પોલીસે ગણતરીના કલાકોમાં યુવકની હત્યાના પ્રકરણમાં સંડોવાયેલા ચારેય આરોપીઓને ધરપકડ કરી તેમની વિરૂધ્ધ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે કાળુભાઈ ધોબી(રહેવાસી કાંકરોલી, રાજસ્થાન) નામના યુવકનો મૃતદેહ ઇસનપુરબ્રિજ નીચે પડયો હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક કાળુભાઈને કામ કરવા બાબતે ગઈકાલે બપોરે કોઈ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે આરોપીઓએ કાળુભાઇનું અપહરણ કરી માર માર્યો હતો અને તેની હત્યા કર્યા બાદ તેની લાશ ઇસનપુર બ્રિજ નીચે ફેંકી દીધી હતી. સેટેલાઈટ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે હવે પકડાયેલા આરોપીઓ પાસેથી યુવકની હત્યા પાછળનું કારણ અને ઇરાદો જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ હત્યાના પ્રકરણમાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ અને તપાસ આરંભ્યા છે.

 

(8:04 pm IST)