Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગુજરાતના દવાખાનાઓમાં એક પણ દર્દી રેમડેસીવીર ઇન્જેકશન વિના ન રહે એની સંપૂર્ણ તકેદારી સાથે અમે જવાબદારીપૂર્વક આગળ વધી રહ્યા છીએ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજ્ય સરકાર વર્તમાન કોવીડ પરિસ્થિતિમાં જામનગર જિલ્લાને જે પણ જરૂરીયાત હશે તે તમામ પૂરી પાડવા કટિબધ્ધ: ખંભાળીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે સુસજ્જ કરવામાં આવશે તેમજ ત્યાં તાત્કાલિક નવી આર.ટી.પી.સી.આર. લેબોરેટરી ઉભી કરવામાં આવશે: જામનગર જિલ્લામા કોવિડ સારવાર માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સર્વગ્રાહી સમીક્ષા બાદ મિડીયાને માહીતી આપતા મુખ્યમંત્રી

જામનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ આ સંક્રમણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. દરરોજ આવતા ૩૦૦ કેસોની સામે હાલ દૈનિક કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ  વ્યાપક છે જેના કારણે હાલની સ્થિતિ ખૂબ નાજુક બની છે. એવા સંજોગોમાં રાજય સરકાર દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકે તે માટે તમામ વિભાગોને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપી સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે દર્દીઓને સંક્રમણ થયું છે તેઓને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલો સુસજ્જ કરાઇ છે. ૧૫મી માર્ચે સમગ્ર રાજયમાં કોવિડના ૪૧ હજાર બેડ હતા. જે વધારીને ૧૫ એપ્રિલ સુધીમાં ૭૫ હજાર સુધી કરવામાં આવ્યા છે. તેમજ સાથે સાથે ઓકસીજન, પેરામેડીકલ તથા મેડીકલ સ્ટાફ, વેક્સીન તેમજ ઓક્સીજન સુવિધા સાથેના બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

 મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાની કોવીડ સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંત્રી મંડળના સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા  બાદ મિડીયાને માહિતી આપતા કહ્યુ કે,આવનારા ૧૫ દિવસમાં ૮ થી ૧૦ હજાર બેડનો વધારો કરી બેડ અંગે પડતી મુશ્કેલી નિવારવામાં આવશે. ઓક્સિજનની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની સુવિધાઓમાં રાજય સરકારે વધારો કર્યો છે. સાથે સાથે ૨૦ શહેરોમાં રાત્રી કર્ફ્યું તેમજ સીટી સ્કેનનો ભાવ રૂ. ૩ હજાર નક્કી કરી રાજય સરકારે સંવેદનશીલતા દાખવી છે.
મુખ્યમંત્રીએ રેમડેસીવીર ઇન્જેકશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની નાજુક સ્થિતિમાં સારવારની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે જે મુજબ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે જ સારવાર લેવા જ્યારે ગંભીર કે અન્ય રોગો ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે. એ પ્રમાણે હાલ મળતા ૨૦ હજાર રેમડેસીવીર ઇન્જેકશનનું પણ પ્રાયોરીટીના ધોરણે વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ જથ્થો ઉપલબ્ધ થયે ભવિષ્યમાં ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસીવીર ઇન્જેકશન આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દવાખાનાઓમાં એક પણ દર્દી રેમડેસીવીર ઇન્જેકશન વિના ન રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજય સરકાર જવાબદારીપૂર્વક આગળ વધી રહી છે ત્યારે નાગરિકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.
રાજ્ય સરકાર વર્તમાન કોવિડ પરિસ્થિતિમાં જામનગર જિલ્લાને જે પણ જરૂરીયાત હશે તે તમામ મદદ પૂરી પાડવા કટિબધ્ધ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, અહી વર્ષો જૂના ખ્યાતનામ દવાખાનાઓને કારણે અહીની આરોગ્ય સુવિધાની એક આગવી પ્રતિષ્ઠા છે જે જાળવી રાખવા સરકાર શક્ય તે તમામ પ્રયત્નો કરી રહી છે. જામનગરમાં સરકારી દવાખાનાઓમાં ૧૬૦૮ બેડની સુવિધા ઉભી કરાઇ છે જ્યારે ટુંક સમયમાં અન્ય વધુ ૩૭૦ બેડનો ઉમેરો કરવામાં આવનાર છે. જેમાના વધુમાં વધુ બેડ ઓકસીજનની સુવિધાથી સજ્જ હોય તેની તકેદારી રખાશે. સાથે સાથે દર્દીઓના પોષણયુકત ભોજનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જામનગર જિલ્લામાં કોવિડ સંક્રમણ ઘટે તે અંગેની વિશેષ જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ખંભાળીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે સુસજ્જ કરવામાં આવશે તેમજ ત્યાં તાત્કાલિક  આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટેની નવી લેબોરેટરી ઉભી કરવાનો નિર્ણય કરાયો છે.  જામનગરની આર્યુવેદિક હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં અવશે. જામનગર જિલ્લામાં ૬૦ વેન્ટીલેટરો મોકલવામાં આવ્યા છે જ્યારે આગામી ટુંક સમયમાં વધુ ૬૦ વેન્ટીલેટર પહોંચાડવામાં આવશે તેમજ સમગ્ર જિલ્લામાં સંશમની વટી, ઉકાળા સહિતની આયુર્વેદિક ઔષધિઓનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, કુંભ મેળામાં ગયેલા ગુજરાતના લોકોને સીધા જ પોતાના ગામમાં પ્રવેશ મેળવી શકશે નહી આ તમામ લોકોના ફરજીયાત ટેસ્ટ કરવામાં આવશે તેમજ આઇસોલેટ કરવામાં આવશે.
કોવિડ સંક્રમણમાં વધુમાં વધુ લોકોની સેવા થાય એ એક માત્ર સરકારનું  લક્ષ્ય છે તેમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા, ફરજીયાત માસ્ક પહેરવા તેમજ અચૂક વેક્શીન લેવા અનુરોધ કર્યો હતો તેમજ લોકો ગભરાયા કે હતાશ થયા વિના જાગૃતિ કેળવે, સરકાર હરહંમેશ લોકોની સાથે છે તેમ ઉમેર્યું હતું.
કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. જેમાં મુખ્યમંત્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના  કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ  હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર,રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.  
આ બેઠકમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ, મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમ માડમ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારી, જિલ્લા કલેક્ટરશ્રી,
મહાનગરપાલિકા કમિશનર,જિલ્લા વિકાસ અધિકારી ,રેન્જ આઇજી,જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.
મુખ્યમંત્રીની સંવેદનશીલતા- કોવિડ દર્દીઓના પરિવારજનો સાથે જમીન પર બેસી તેમનાં ખબર અંતર પૂછયા
મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે કોરોનાની કામગીરીની સમીક્ષા માટે  જામનગર શહેરની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જામનગર  શહેરમાં આવેલી  ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની  રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ  સાથે રૂબરૂ સંવાદ કરીને  હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ  ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે  જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ જી.જી.હોસ્પિટલમાં કોવિડ ખાતે ફરજ બજાવતા ડોક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ સમગ્ર સ્ટાફની સેવાને વખાણી કોવિડ સામેની આગળની લડતમાં પણ હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડોક્ટરો-નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.

(6:31 pm IST)