Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

દરેક ખાનગી એકમોમાં ૫૦ ટકા સ્ટાફને જ કામની મંજૂરી

AMCએ વધુ એક મોટો નિર્ણય લીધો : કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ગંભીર સુરત બાદ અમદાવાદમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો

અમદાવાદ,તા.૧૬ : ગુજરાતમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. સુરત બાદ હવે કોરોનાને કારણે અમદાવાદમાં અફરાતફરી મચી છે. કોરોનાના કેસ વધતા હવે લોકો ઠેર-ઠેર ટેસ્ટિંગ માટે લાઈનો લગાવી રહ્યાં છે. તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સાથે જ અમદાવાદ મનપાએ કોરોનાના સંક્રમણને અટકાવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત દરેક ખાનગી એકમોમાં ૫૦ ટકા સ્ટાફ ને જ કામની મંજૂરી આપવામાં આવી છે. જોકે, ઔધોગિક એકમોને આ નિર્ણય માંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાનો કહેર વધતા અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો માં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ના ચંદલોડિયા વિસ્તારમાં અનેક સોસાયટી ઓ માઇક્રો કન્ટેનમેન્ટ માં મુકાઈ છે જેમાં માધવ રેસીડન્સીમાં  આવેલા ૬૪ મકાનોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવ્યા છે.

અહીંની સોસાયટીમાં કુલ ૨૫૦ મકાનો આવેલા છે. હાલ એએમસી દ્વારા જે પરિવારો કોરોના પોઝિટિવ આવ્યા છે તેમના ઘરની બહાર માઇક્રો કન્ટેનમેન્ટના બોર્ડ મારી દીધાં છે. તેમજ અહીંથી પસાર થતા લોકોની અવર જવર પર રોક લગાવી દીધી છે. દિવસે દિવસે કોરોનાને લઈને અમદાવાદમાં પણ પરિસ્થિતિ ખુબ જ ગંભીર બનતી જાય છે. લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં દરેક વિસ્તારમાં એમ્યુલન્સ દોડતી જોવા મળી રહી છે. તે પૈકી ૯૫ કોલ કોરોનાના સંક્રમિત દર્દીઓના જ આવી રહ્યાં છે. અમદાવાદમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે.

મોટોભાગે વધુ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને જ એડમિટ કરવામાં આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરમાં કોરન્ટાઈન થઈને સારવાર કરવાની સલાહ આપવામાં આવે છે. તંત્રના આરોગ્ય વિભાગની બીજી ટીમ પણ તેનું સતત ફોલોઅપ લેતી રહે છે. અમદાવાદ એએમસીએ શરુ કરેલા ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. કોરોનાના લક્ષણો ધરાવતા લોકો હવે સામે ચાલીને તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ડોમ પર જઈને ટેસ્ટ કરાવી રહ્યાં છે. રેપીડ ટેસ્ટ બાદ પણ જો લક્ષણો જાણ તો તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ રિફર કરવામાં આવે છે. તંત્ર દ્વારા અમદાવાદમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું. જ્યારે સુરતી વાત કરીએ તો ત્યાં કોરોનાના દર્દીઓ હવે સીધા સીટી સ્કેન કરાવતા થયા છે.

(9:29 pm IST)