Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

બે કાર ટકરાતા લખતરના ભાજપ પ્રમુખનું કરૂણ મોત

વિરમગામ-સાણંદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત : અકસ્માતના પગલે સનસનાટી : ભાજપમાં શોકની લહેર

અમદાવાદ,તા.૧૭ : વિરમગામ પંથકના માળીયા-અમદાવાદ હાઈવે પર વિરમગામથી સાણંદ વચ્ચે આવેલા જખવાડા પાસે બે કારો ઘડાકાભેર અથડાતાં ગંભીર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં લખતર ભાજપના પ્રમુખ અજિતસિંહ રાણાનું કરૂણ મોત નીપજયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, પોલીસે સમગ્ર મામલાની તપાસ અને ખરાઇ હાથ ધરી છે. ગમખ્વાર એવા આ અકસ્માતના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઇ ગઇ હતી, તો, ભાજપ વર્તુળમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, માળીયા-અમદાવાદ હાઈવે પર વિરમગામથી સાણંદ વચ્ચે આવેલા જખવાડા પાસે જીજે ૧૩- સીસી ૯૯૮ અને જીજે ૩૬-એફ ૪૭૭૮ નંબરની બે કારો સામસામે જોરદાર રીતે અથડાઇ હતી. બંને કાર એટલી ભયાનક રીતે ધડાકાભેર અથડાઇ હતી કે કારના લગભગ ભુક્કા બોલી ગયા હતા. વેગન આર અને હુન્ડાઇની કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં વેગન આર કાર સુરેન્દ્રનગરનું પાસીંગ ધરાવતી હતી અને તેની પર લખતર ભાજપ પ્રમુખ લખાણ પણ હતું, તેથી આ અકસ્માતમાં લખતર ભાજપના પ્રમુખ અજિતસિંહ રાણાનું મોત નીપજયું હોવાની વાત સામે આવી રહી છે. જો કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની ખરાઇ અને તપાસ હાથ ધરી હતી. આ ગંભીર અને જીવલેણ અકસ્માતમાં પાંચથી વધુ વ્યકિતઓ ઘાયલ થયા હતા, જેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. તો બીજીબાજુ, ભાજપના વર્તુળમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:59 pm IST)