Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પ્રેમીએ અનૈતિક સબંધોમાં મહિલાના પતિની હત્યા કરી

વડોદરામાં જમીન દલાલનું પોલીસ મથકમાં મોત : હુમલાખોરે જ પોલીસ કંન્ટ્રોલ રૂમને પણ જાણ કરી, હત્યાના આરોપ હેઠળ મહેશ પંચાલની ધરપકડ કરાઈ

વડોદરા, તા. ૧૭ : વડોદરાના જવાહરનગર પોલીસ મથકમાં સોમવારે મધરાત બાદ એક જમીન દલાલનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યુ હોવાની ઘટના બની હતી. એક તબક્કે તો પોલીસ મથકમાં તેની પર જુલ્મ ગુજારવામાં આવ્યો હોવાથી મોત નિપજ્યુ હોવાના પણ આક્ષેપ થયા હતા. મામલે પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ પોલીસે કરેલી તપાસમાં મૃતક વ્યક્તિને મારમારતાં થયેલી ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યુ હોવાનું બહાર આવ્યુ હતુ. જે મામલે પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. મૃતક વ્યક્તિની પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતકના હુમલાખોરની પત્ની સાથે અનૈતિક સબંધ હોવાનું જોઇ જતાં તેણે હુમલો કર્યો હતો. ઉપરાંત હુમલાખોરે પોલીસ કંન્ટ્રોલ રૂમને પણ જાણ કરી હતી. હકીકતના આધારે પોલીસે હત્યાના આરોપ હેઠળ મહેશ પંચાલની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા નજીક આવેલા  બાજવા ગામમાં આવેલ જલારામ નગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયારને  ગત મોડીરાત્રે બે વાગ્યાની આસપાસ જવાહરનગર પોલીસ મથકની ટીમ  દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મહેન્દ્રભાઇની અટકાયત કરીને પોલીસ મથકે  લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન આજે સવારે તેમની તબીયત લથડી હતી. જેથી તાત્કાલીક બાજવા પીએચસીસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબીઓએ મૃત જાહેર કર્યા હતા.   બનાવની જાણ પરિવારજનોને થતા પરિવાર બાજવા પીએચસી સેન્ટર પર આવી પહોંચ્યો હતો. પોલીસે અટકાયત કર્યાબાદ મહેન્દ્રભાઈનું મોત નીપજ્યું હોવાથી પોલીસના મારથી મૃત્યુ થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા.

ઘટનામાં મૃતક જમીન દલાલ મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ પઢીયારના મૃતદેહનું ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેનું મોત કપાળના ભાગે તથા નાક પર ગંભીર ઇજાઓ થવાથી થયુ હોવાનું બહાર આવ્યુ હતુ. મામલે પોલીસે તાત્કાલીક પોલીસ કંન્ટ્રોલ રૂમને વર્ધિ આપનાર બાજવા કરચીયા રોડ પર આવેલ ગીરીરાજ ફ્લેટમાં રહેતા મહેશ જનકભાઇ પંચાલની પૂછપરછ કરી હતી. ઉપરાંત અન્ય લોકોની પણ તપાસ કરતાં મહેશ પંચાલે હુમલો કર્યુ હોવાનું બહાર આવ્યુ હતુ. મહેશ પંચાલની પત્નીનો મરણજનાર મહેશભાઇ પઢીયાર સાથે અનૈતિક સબંધ હતો. તેમાં સોમવારે રાત્રે મહેશ પંચાલ નોકરી ઉપરથી અચાનક ઘેર પરત આવી ચડતાં તેણે પોતાના ઘરમાં મૃતક મહેશભાઇ પઢીયાર અને તેની પત્નીને બંધ મકાનમાં જોઇ જતાં તેણે હુમલો કરીને ઘાયલ કર્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરતાં સ્થળ પર પહોચી ગયેલી પોલીસે તાત્કાલીક મહેશભાઇ પઢીયારને લઇને જવાહરનગર પોલીસ મથકે લઇ ગઇ હતી. મધરાત બાદ બે વાગે પોલીસ મથકે લઇ ગયા બાદ મહેશભાઇ પઢીયારનું સવારે .૩૦ કલાકે અચાનક મોત નિપજ્યુ હતુપોલીસે ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરીને હુમલાખોર મહેશ પંચાલની ધરપકડ કરી હતી.

(8:41 pm IST)