Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કેવડીયામાં નિર્માણાધીન રેલવે સ્ટેશન શરૂ થતા કન્યાકુમારીથી કાશ્મીર સુધીના લોકો પણ અહીં આવી શકશે : પિયુષ ગોયેલ

રેલવે પ્રધાન પિયુષ ગોયલે તેમની પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : પિયુષ ગોયેલ અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કેવડીયામાં નિર્માણ પામી રહેલા એશિયાના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : કેન્દ્રિય રેલવે મંત્રી પિયુષ ગોયેલ તેમજ તેમની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમના ધર્મપત્ની શ્રીમતી સીમા ગોયેલ પણ સાથે જોડાયા હતા. ત્યારબાદ મંત્રી અને તેમની સાથેના મહાનુભાવોએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી માંથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો.

   ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

  પિયુષ ગોયેલે જણાવ્યું હતું કે, આજની આ મુલાકાત લઇને મને લાગે છે સરદાર સરોવર ડેમ થકી ગુજરાતનો વિકાસ થયો છે. તેની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના કરાયેલા નિર્માણ થકી ગુજરાત અને દેશની નવી ઓળખ વિશ્વમાં પણ બની છે. 

  સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા અહીં પ્રવાસીઓ-મુલાકાતીઓની સંખ્યા વધતી જઇ રહી છે. આવનારા દિવસોમાં મને લાગે છે કે, એક દિવસમાં ૧ લાખ જેટલાં મુલાકાતીઓ આવવાની સંભાવના છે. અહીં પ્રવાસીઓને પૂરતી સુવિધાઓ પણ મળી રહે છે, જેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

   કેવડીયામાં નિર્માણ પામી રહેલા રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ થયેથી કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધીના લોકો પણ અહીં આવી શકશે. 

 કેન્દ્રિય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કેવડીયામાં નિર્માણ પમી રેહેલાં એશિયાના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર જરૂરી સુચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું .

  આ મુલાકાત દરમિયાન મંત્રીની સાથે રેલવે બોર્ડના ચેરમેન વિનોદ યાદવ, જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર મનોજ કોઠારી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ વહિવટદાર નિલેશ દુબે, રેલ્વે વિભાગના જનરલ મેનેજર આલોક કશાલ, દેવેન્દ્ર કુમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત વગેરે પણ જોડાયા હતા.

(4:26 pm IST)