Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગાંધીનગરના રાંધેજા વિસ્તારમાં મકાનને નિશાન બનાવી તસ્કરો 95 હજારની ચોરી કરી છૂમંતર....

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે રાંધેજા ગામમાં રહેતા પરિવારના મકાનમાંથી ટંકનું તાળું તોડી ગઈકાલે દિવસ દરમ્યાન તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૯પ હજારની મત્તા ચોરી પલાયન થઈ ગયા હતા. જેથી આ મામલે પરિવારે પેથાપુર પોલીસને જાણ કરતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.   

ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના બનાવો નવા નથી ત્યારે છેલ્લા થોડા સમયથી ગ્રામ્ય વીસ્તારોમાં જાણ તસ્કરોએ સોફટ ટાર્ગેટ બનાવ્યો હોય તેમ લાગી રહયું છે. રાંધેજા ગામમાં રાવળવાસના મકાનમાં રહેતો પરિવાર કામ અર્થે ગયો હતો તે દરમ્યાન ચોરીની ઘટના બનવા પામી છે. આ અંગે સજનબેન બળદેવભાઈ રાવળે પેથાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સવારના સમયે તેમના પતિ ગામમાં ઘંટીએ ગયા હતા અને તેઓ ઘાસચારો લેવા માટે ખેતરમાં ગયા હતા. ત્યારબાદ સાંજે પરત ફર્યા હતા અને રાત્રે નવ વાગ્યે ઘરમાં જઈ તપાસ કરતાં રાખેલા ટંકનો નકુચો તુટેલો હતો. જેમાં મુકેલા રોકડા ૩૫ હજાર તેમજ સોનાચાંદીના દાગીના મળી ૯૫ હજારની મત્તા ચોરાઈ હતી. આ ઘટનાના પગલે હાલ તો પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતાની પણ પોલીસ નકારતી નથી. દિવસ દરમ્યાન આ પ્રકારની ચોરી થતાં પોલીસ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. 

 

(5:39 pm IST)