Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોરોના મહામારી વચ્‍ચે અમદાવાદ કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇન અને વેક્‍સીન થીમ ઉપર ફલાવર શો-2022નું આયોજનઃ તડામાર તૈયારી

સાબરમતી રિવરફ્રન્‍ટમાં ભવ્‍ય આયોજનઃ ઓલિમ્‍પિક વિજેતાઓને બિરદાવાશે

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફલાવર શો 2022 નું આયોજન કરાયું છે. કોરોના ગાઇડલાઇન સાથે જાન્યુઆરીમાં ફલાવર શો કરવાની તૈયારીઓ એએમસી ગાર્ડન વિભાગે શરૂ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવર શો 2022 નું આયોજન કરાયું છે. કોરોના ગાઇડ લાઇનના પાલન વચ્ચે ફલાવર શો યોજવામાં આવશે. હાલ ફલાવર શોને લઇને તૈયારીઓ ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 65 હજાર ચોમી વિસ્તાર ફલાવર શો યોજાશે. આ વખતે ફલાવર શોની મુખ્ય થીમનો વિષય ‘વેક્સીન’ રહેશે. તે માટે થીમ બેઝ વેક્સીનની ફૂલની પ્રતિકૃતિ ઉભી કરાશે. આ ઉપરાંત સ્પોર્ટસ અને આરોગ્યના વિષય પણ મુખ્ય થીમ તરીકે રહેશે. ઓલમ્પિકમાં ભારતે જે રમતોમાં મેડલ મેળવ્યા છે, તે રમતના સ્કલ્પચર પણ ઉભા કરી મેડલ વિજેતાઓને સન્માન અપાશે તેવું એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ફલાવર શોમાં 65 મુખ્ય પ્રજાતિ અને 750 પેટા પ્રજાતિના સાત લાખની વધુ ફુલ, છોડ અને રોપા હશે. તેમજ 100 થી વધુ મેડિસીનલ (આર્યુવેદિક) રોપા પ્રદર્શિત કરાશે. જેમા મુખ્યત્વે શિયાળાની ઋતુમાં વધુ ફુલ આપતા પિડુનિયા, ડાયન્થસ, પેન્ઝી, સાંવલિયા સહિત અનેક પ્રકારના રંગબેરંગી સીઝનલ ફુલ ઉપરાંત જુદી જુદી જૂદા થીમ બેઝ પ્રાણીઓના સ્કલ્પચર અને સેલ્ફી ઝોન ઉભા કરાશે.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને ફલાવર શો આયોજન કરાયું છે. કેટલી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપવી તેમજ ઓનલાઇન કે પછી ફિઝીકલ ટિકીટ આપવી, આ ઉપરાત કેટલી સંખ્યામાં લોકોને પ્રવેશ અપાશે તે અંગે હાલ ઉચ્ચ કક્ષાએ આખરી વિચારણા ચાલી રહી છે. પરંતુ ફલાવર શો યોજવા એએમસી મક્કમ છે.

(4:58 pm IST)