Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગુજરાતમાં હવે ધીમે-ધીમે ઓમિક્રોનનો પગપેસારોઃ મહેસાણાની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ગુજરાતમાં કુલ 5 કેસઃ ઝિમ્‍બાબ્‍વેથી આવેલ સગાના સંપર્કમાં આવ્‍યા હતા

3 દિવસથી સામાન્‍ય ઉધરસ આવ્‍યા બાદ ટેસ્‍ટ કરાવતા પોઝીટીવ

મહેસાણા: ગુજરાતમાં હવે ઓમિક્રોન ધીમા પગલે પગપેસારો કરી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. વીજાપુરની મહિલાને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે. આ પહેલા જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો.

મહેસાણાના વીજાપુરની એક મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડનગરની આશા વર્કર મહિલાને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તે ઝિમ્બાબ્વેથી આવેલી એક મહિલના સંપર્કમાં આવી હતી. ત્યારે આ મહિલાના પરિવારજનો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ મહિલાના પાડોશી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

ઝિમ્બાબ્વેથી આવેલી મહિલાના સંપર્કમાં આવ્યા હતા

ગુજરાતમાં ઓમિક્રોન વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, વિદેશમાંથી મુસાફરો આવે છે તેમના ટેસ્ટીંગ થાય છે અને સેમ્પલ તપાસ માટે મોકલાય છે. હાલ ગુજરાતમાં 5 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. મહેસાણાની જે મહિલા સંક્રમિત થયા છે તે તેમના સગા ઝિમ્બાબ્વેથી આવ્યા હતા, તેમના સંપર્કમાં આવ્યા હતા. ઓમિક્રોન સંક્રમિત મહિલા આશા વર્કર છે અને પીલવાઈ ગામના રહેવાસી છે. તેમના પતિનું મોત થતાં તેમના બેન-બનેવી ઝિમ્બાબ્વેથી આવ્યા હતા. 3 દિવસથી સામાન્ય ઉધરસ થતાં તેમના લક્ષણોને આધિન ટેસ્ટ કરાવતાં ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે. મહિલાના સંપર્કમાં આવેલ તમામ લોકોના રિપોર્ટ કાઢવામાં આવ્યા છે. હાલ આ મહિલાને કેવી રીતે ઓમિક્રોનનો ચેપ લાગ્યો તે જાણવુ મોટી પડકાર છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન મહિલાના ઓમિક્રોમની માહિતી સામે આવી હતી. 

2500 થી વધુ આરટીપીસીઆર એરપોર્ટ પર થયા

વધતા કોવિડ કેસો અને કાર્યક્રમોમાં વધુ ભીડ એકત્ર થવા પર મનોજ અગ્રવાલે જણાવ્યુ કે, કોવિડના કેસોની સતત સમિક્ષા કરવામાં આવે છે. મુખ્યમંત્રી કક્ષાએ પણ કોવિડના કેસોની સમીક્ષા થાય છે. ભીડ એકત્ર થાય ત્યાં ગૃહ વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. વધુ ભીડ થવા બાબતે વખતો વખત જિલ્લા પોલીસ વડાને સૂચનો આપવામાં આવતી હોય છે. વિજાપુર મહિલાના સંપર્કમાં આવેલા વિદેશના લોકો અને તેમના પરિવારના સભ્યો બાબતે તપાસ કરી રહ્યા છીએ. સંપર્કમાં આવેલા અન્ય લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય સભ્યો પણ સંક્રમિત થયા છે તેમના જીનોમ સિક્વન્સની તપાસ થઈ રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં આવતા પાર્ટનર કન્ટ્રીના ડેલિગેશનને આઇસોલેશન સહિતના નિયમોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. 2500 થી વધુ આરટીપીસીઆર એરપોર્ટ પર થયા છે.

(4:57 pm IST)