Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નેચરલ ફાર્મિંગ ઝીરો, બજેટ ખેતી અંગે રાષ્ટ્રીય પરિષદ-આણંદ ખાતે કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નું આહવાન : જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવથી બચવા માટે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કરી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું પડશે : દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ કુદરતી ખેતી સાથે જોડાય તેવા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવા જોઇએ : આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે : ભારતના પ્રાચીન કૃષિ જ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીના સુભગ વિનિયોગથી કૃષિ અને કૃષિકારોને સમૃદ્ધિ તરફ દોરી જવાશે

પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જન અભિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત : પ્રાકૃતિક ખેત ઉત્પાદક ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે માર્કેટિંગ ચેઈન ઉભી કરવામાં આવી રહી છે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ : ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

રાજકોટ તા-૧૬: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે ગ્‍લોબલ વોર્મિંગના સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે. જળવાયુ પરિવર્તનો ખતરો તોળાઇ રહ્યો છે. તેના ઉપચારાત્મક પગલાં રૂપે જમીન અને કૃષિમાં રાસાયણિક ખાતરો અને કિટનાશકોનો વપરાશ બંધ કરી પ્રકૃતિ તરફ પાછા વળવા તેમણે આગ્રહ કર્યો છે.  ઉદ્યમી અન્નદાતાની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના રાષ્ટ્રીય પરિષદમાં નેચરલ ફાર્મિંગ ઝીરો બજેટ ખેતી અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

આણંદ ખાતે દેશની સર્વ પ્રથમ પ્રાકૃત્તિક ખેતીની રાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉક્ત સંદર્ભે ઉમેર્યું કે, ભારતે ક્લાયમેટ ચેન્જ સમિટમાં જીવનને વૈશ્વિક અભિયાન બનાવવાનું આહવાન કર્યું હતું.  ૨૧મી સદીમાં તેનું નેતૃત્વ ભારત અને ભારતના ખેડૂતો કરવાના છે.  વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આઝાદી પછીના દાયકાઓમાં કૃષિનો વિકાસ જે રીતે અને જે દિશામાં થયો છે એ આપણે સૌએ જોયું છે. આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે. 

તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં બિયારણથી લઇ બજાર સુધીની, માટી પરિક્ષણથી લઇ નવા બીજ નિર્માણ સુધી, પીએમ કિસાન સન્માન નિધિથી લઇ પોષણક્ષમ ભાવ દોઢ ગણા વધારવા તેમજ સિંચાઇના મજબૂત માળખાથી લઇ કિસાન રેલ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે.  શ્રી મોદીએ કહ્યું કે, આપણા દેશના કૂલ ખેડૂતોમાંથી ૮૦ ટકા ખેડૂતો નાના અને સિમાંત પ્રકારના છે. ત્યારે, પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો આ વર્ગના ખેડૂતોને થશે. તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો તેમની આર્થિક સ્થિતિ અને જીવન વધુ બહેતર બનશે. 

વડાપ્રધાનશ્રીએ દેશના દરેક રાજ્ય અને સરકારોને પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું આહવાન કરતા જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે, દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ કુદરતી ખેતી સાથે જોડાય તેવા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવા જોઇએ. તેમણે કૃષિલક્ષી પ્રાચીન ભારતીય જ્ઞાનનું મહાત્મ્ય જણાવતા કહ્યું કે, ભારતમાં બે હજાર વર્ષ પૂર્વે થયેલા ઋષિઓ અને સંતોએ કેવી રીતે ખેતી કરવી તેનું વિપુલ જ્ઞાન આપણને આપ્યું છે.

 કૃષિ અંગે ઋગવેદ અને અર્થવવેદથી લઇ પુરાણો સુધી આપણા ઋષિ મુનીઓએ ભરપૂર સમજ આપી છે. તેમાં મૌસમ, પાણી અને જમીનની સારી માહિતી હોય તો ખેડૂત ક્યારેય ગરીબ રહે નહીં, એવું કહેવામાં આવ્યું છે. હવે, આ પ્રાચીન જ્ઞાનને આધુનિક ટેક્નોલોજી સાથે વિનિયોગ કરી વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય એમ છે. આપણી પાસે ટેક્નોલોજી અને સાધનોની ઉપલબ્ધી છે. માત્ર પ્રાચીન જ્ઞાન અનુસાર કુદરતી રીતે ખેતી કરવાની જરૂરત છે.  પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે શોધ અને સંશોધનો માત્ર કાગળ ઉપર રહી ન જાય એની તકેદારી રાખવાનું જણાવી શ્રી મોદીએ કહ્યું કે, હવે આ શોધોને લેબથી લેન્‍ડ સુધી લાવવાની આપણી યાત્રા હોવી જોઇએ. 

ભારતની વિકાસ યાત્રા સાથે ખેતીનો પણ બહુ જ વિકાસ થયો હતો. રાસાયણિક ખાતરો અને દવાઓથી હરિત ક્રાંતિ આવી હતી, એ વાત સાચી છે. એની સાથે ખાતર અને કિટકનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી, વાતાવરણ અને સ્વાસ્થ્યને પણ નુકસાન થયું છે, એ વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, પ્રકૃતિને નુકસાન પહોંચાડતી આ ભૂલને સુધારવાનો આ જ સાચો સમય છે. તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મા ભારતીને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવામુક્ત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે હાંકલ કરી હતી. 

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિકારોના કલ્યાણ માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની ભૂમિકા સ્પષ્ટ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ ખેડૂતો માટે અનેક ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુદ્રઢ કોલ્ડ ચેઇન, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને ફૂડ પ્રોસેસિંગ માટે કરોડો રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે.  માત્ર ખેતી જ નહીં, તેની આનુષાંગિક બાબતો ઉપર પણ લક્ષ્ય આપવામાં આવી રહ્યું છે. ખેતી સાથે પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય પાલન, સૌર ઊર્જા અને બાયો ફ્યુઅલ જેવા વિકલ્પો આપીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશ અને વિદેશમાં જૈવિક અને પ્રાકૃતિક પદ્ધતિથી પકાવેલા ખેત પેદાશોની માંગ સતત વધી રહી છે. સમગ્ર વિશ્વનું બજાર તેનું રાહ જોઇ રહ્યું છે. હવે, ભારતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્યપ્રદ ખેતઉપજોમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. તેની સાથે આ ક્ષેત્રમાં રોકાણની પણ વિપુલ તકો નિર્માણ થઇ છે. ખાદ્ય સંસ્કરણ અને તેની પ્રક્રીયાના આવિષ્કારમાં રોકણનો હાલમાં ઉત્તમ સમય છે. વડાપ્રધાન શ્રી મોદીએ આત્મ નિર્ભર ભારતના સપનાને સાકાર કરવા કૃષિ અને કૃષિકારોને આત્મ નિર્ભર બનાવવા સાથે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી જનજનનું આંદોલન બનાવવા અપીલ કરી હતી.

  ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે એગ્રિ પ્રિ-વાઇબ્રન્ટ સમીટ-૨૦૨૧ના સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જનઅભિયાન છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને રાસાયણ કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, રાસાયણિક કૃષિ એ સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ માટે સમયની માંગ હતી પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી વિશ્વ આખું ત્રસ્ત છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આ દુષ્પરિણામથી મુક્તિ માટે મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે.

 રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે. જેમાં ઉપયોગી દેશી ગાયના છાણ-ગૌમૂત્ર સાથે બેસન-ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતને અસરકારક કલ્ચર ગણાવતા રાજ્યપાલશ્રીએ જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવાથી લઈને આચ્છાદનના મહત્વને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કારણે ખેતરમાં મિત્ર જીવોનો ક્ષય થાય છે જ્યારે જીવામૃત-ઘનજિવામૃત અને આચ્છાદનથી અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે જે કૃષિ પાકને પોષણ આપે છે. વાતાવરણમાં નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે આ તકેરાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિકોને જુદા જુદા સંશોધનો દ્વારા આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સાથે બે લાખ ખેડૂતો જોડાયા હોવાનું અને ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરવાનું શ્રેય ગુજરાતને મળ્યું છે ત્યારે પરિશ્રમની પરાકાષ્ઠા સાથે દેશભરમાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલનમાં પરિવર્તિત કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.

 કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ  

કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને પુનઃ જીવિત કરવાનું મોટું અભિયાન ઉપાડ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સહકારીતા વિભાગ દ્વારા ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ અને વૈશ્વિક બજાર મળે તેમજ બ્રાન્ડ સ્થાપિત થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોની જમીન ચકાસણી સહિત ખેત ઉપજમાં રાસાયણિક ખાતરના ઉપયોગની ચકાસણી માટે એક વર્ષમાં બે રાજ્યોમાં લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનો કરતા ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે અમૂલ સહિત વિવિધ સંગઠનોના સહયોગથી માર્કેટિંગ ચેઈન ઉભી કરવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૧૪ થી દેશની અર્થવ્યવસ્થામાં ખેડૂતોને કેન્દ્રબિંદુમાં રાખવામાં આવ્યા છે, તેનો સવિશેષ ઉલ્લેખ કરતા કેન્દ્રિય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતર મુક્ત કૃષિ ઉપજ પેદા કરી વિશ્વને દિશા દર્શન કરાવશે. તેમણે કહ્યું કે, સહકારિતા વિભાગના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા નાણાકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પૂરો પાડવામાં આવશે. એક દેશી ગાયથી ૨૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે એમ જણાવતાં શ્રી શાહે ઉમેર્યું કે, દેશી ગાયના ગોબરમાંથી બનેલું જીવામૃત જમીનને ફળદ્રુપ બનાવે છે. એટલુ જ નહી કૃષિ ઉત્પાદનમાં વધારા સાથે જળ સંચય અને ખેતી ખર્ચ ઘટે છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં કૃષિ મહોત્સવના માધ્યમથી કૃષિલક્ષી વિસ્તરણ સેવાઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડી માઈક્રો સિંચાઇનો વ્યાપ વધાર્યો હતો, જેને પરિણામે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત દસ વર્ષ સુધી ૧૦ ટકા રહ્યો હતો.

 મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ અને નિર્ધારથી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ થયું. હવે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના સંકલ્પથી અનેકતામાં એકતા સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦રરની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. શ્રી પટેલે એમ પણ કહ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની, પોશાકની, ખાનપાનની, આબોહવાની એવી અનેક વિવિધતા વચ્ચે કૃષિ ક્ષેત્રની પણ આગવી વૈવિધ્યતા ભારતમાં છે. આપણે ત્યાં રણપ્રદેશથી લઈને નદીના કાંપવાળી જમીનનો પ્રદેશ છે તો સાથોસાથ પર્વતીય ટેકરા વાળી જમીન પર ખેતી અને પર્વતની ગોદમાં ફળદ્રુપ જમીનની ખેતી પણ છે. કૃષિ વિવિધતા ધરાવતા ભારતમાં આઝાદી પછી અનાજની માંગ પૂરી કરવા હરિત ક્રાંતિ આવી હતી. આના પરિણામે સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેત ઉત્પાદન વધ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અંગે કહ્યું કે કાળક્રમે આપણે જે પોતાનું હતું તે વિસરી ગયા અને રાસાયણિક ખાતર પાછળ આંધળી દોટ મૂકી હતી. આવા રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થયું છે. જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ અને ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો આવવાને કારણે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસરો પડી છે.

આપણે ત્યાં કહેવત છે કે અન્ન એવો ઓડકાર આપણી થાળીમાં જે અન્ન આવે છે તે રાસાયણિક ખાતરથી પકવેલું હોય તો ધીમા પગલે શરીરમાં રોગ-બિમારીનો પેસારો પણ કરાવે છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ બધી પરિસ્થિતિ સામે લડવા તેમજ જળ-જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે હવે ‘બેક ટુ નેચર’- પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કુદરતના સિદ્ધાંત પર આધારિત ખેતી છે. ફક્ત એક દેશી ગાયના ગોબરમાંથી અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવી વીસ એકરમાં ખેતી થઈ શકે છે. ખેતી ખર્ચ નહિવત અને ગુણવત્તા ઉત્તમ એવી આ ખેતી છે. આજે વિશ્વના મોટાભાગના દેશોમાં આવા નેચરલ ફાર્મિંગ- ઝીરો બજેટ ખેતીથી ઉત્પન્ન થયેલા ખેત ઉત્પાદનની બહુ મોટી માંગ છે. વર્લ્ડ માર્કેટ આવી પ્રોડક્ટ માટે ખુલ્લું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા કૃતસંકલ્પ છે.

મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા પરિવારને દેશી ગાયના નિભાવ માટે પ્રતિમાસ રૂપિયા ૯૦૦ની સહાય આપવામાં આવે છે. રાજયમાં ર૦૨૦-૨૧ ના વર્ષમાં એક લાખ પાંચ હજાર ખેડૂતોને આવી કુલ ૫૭.૬૨ કરોડ સહાય ચૂકવવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી માટે મોટાપાયે કિસાનોને પ્રેરિત કરવા બાયસેગ સેટેલાઈટ અને ઇ-ગ્રામ સેન્ટર જેવા માધ્યમથી અત્યાર સુધી આઠ લાખ વીસ હજાર ધરતીપુત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આદિજાતિ વિસ્તાર અને રાજ્યમાં છેક છેવાડાના જિલ્લા ડાંગને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો બનાવી દીધો છે તેમ તેમણે જણાવ્યું હતું. : પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાકૃતિક ખેતીની દિશામાં આપણે જેટલા આગળ વધીશું તેટલા ખેડૂત અને ખેતી સમૃદ્ધ થશે - આત્મનિર્ભર બનશે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલું અન્ન અને ઉત્પાદનો વિશ્વ સમક્ષ પહોંચાડી ભારતને જગતગુરુ બનાવવાની નેમ સાકાર થશે.

શ્રી નરેન્દ્રભાઈએ ૨૦૧૯માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપણને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહ્વાન કર્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણે તેમના નેતૃત્વમાં ઉજવી રહ્યા છીએ ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી ખેતીને પણ અમૃતમય બનાવે તેવા સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈ આગળ આવે તે જરૂરી છે.

કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, ગુજરાતની ભૂમિ પ્રેરણાદાયી છે. આ ધરતી પર ગાંધીજીએ જન્મ લીધો હતો અને તેમણે દેશની આઝાદીની રાહ કંડારી હતી. આ જ ભૂમિના રત્ન સરદાર સાહેબે દેશી રાજ્યોના એક કરી ભારતને અખંડ બનાવ્યું હતું. હવે ગુજરાતના જ પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર ભારતને વિકાસની નવી રાહ આપી છે. આ વાતની સાબિતી વારાસણી સ્થિત ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું પુનઃનિર્માણ, કાયાકલ્પ કરીને આપી છે. સામાન્ય રીત આપણા મકાનનું કામ પૂર્ણ થાય પછી તેમાં કામ કરતા શ્રમિકોને આપડે મહેનતાણું આપીને ભૂલી જઈએ છીએ. પણ વડાપ્રધાનશ્રીએ કાશીવિશ્વનાથ મંદિરના પુનનિર્માણ સાથે જોડાયેલા શ્રમિકોને ફૂલથી વધાવી તેમની સાથે ભોજન લીધું હતું. તેમની રાહબરીમાં નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ગામ, ગરીબ અને ખેડૂતના કલ્યાણ માટે તેઓ સતત કાર્યરત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગરીબોને કલ્યાણ માટે સદૈવ ચિંતિત છે એમ કહેતા શ્રી તોમરે જણાવ્યું કે કોવિડના કપરા કાળમાં દેશના વંચિતો અને ગરીબોને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧.૬૦ લાખ કરોડનું અનાજ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે. ગુજરાતની પહેલાની સ્થિતિ અંગે આપણે સૌ સારી રીતે વાકેફ છીએ કે અહી ખેતી માટે પાણી કે વીજળી નહોતી. પીવાના પાણીની પણ ભારે સમસ્યા હતી. ખેડૂતોની હાલત ખરાબ હતી. પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતની આ સ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવ્યા. તેમને ભગીરથ કાર્ય કરીને સિંચાઇ માટે પાણીની ઉપલબ્ધતા સાથે વીજળીની વ્યવસ્થા કરી હતી. આજે ગુજરાતની જમીન અને ખેડૂત સમૃદ્ધ બની છે. એટલું જ નહિ પશુપાલકો અને સાગર ખેડૂતો માટે પણ આયોજનબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. શ્રી મોદીની સંવેદનશીલતાનો પરિચય ત્યાં મળે છે કે ગુજરાતમાં દુધાળા પશુઓના પણ આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે.

પીએમ કિશાન સન્માન નિધિ અંતર્ગત ૧૧.૩૦ કરોડ ખેડૂતોને રૂ. ૧.૬૦ લાખ કરોડની સહાય સુધી તેના બેન્ક ખાતામાં નાખવામાં આવી છે તેમ કહેતા શ્રી તોમરે ઉમેર્યું કે કૃષીકારોને રૂ. ૧૬ લાખ કરોડનું પાક ધિરાણ આપવામાં આવ્યું છે. દસ હજાર એફપીઓ ને રૂ. ૬૫૦૦ કરોડની સહાય કરવાની જોગવાઈ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી, ટેકનોલોજી, પાક વિવિધતા અને બજાર સાથે જોડાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મ ભારત અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા રૂ. દોઢ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી દેશની કૃષિના આમૂલ પરિવર્તન આવશે.

તેવો દ્રઢ વિશ્વાસ શ્રી તોમરે અંતે વ્યક્ત કર્યો હતો. પ્રારંભમાં મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે સૌનો આવકાર કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ બન્યું છે.આત્મ નિર્ભર ભારત માટે કૃષિ અને કૃષિકારો આત્મ નિર્ભર બને તે જરૂરી છે. ગુજરાતે પ્રધાનમંત્રીની પ્રેરણાથી આગવી પહેલ કરી કૃષિ અને ખાદ્ય પ્રસંસ્‍કરણ એગ્રી પ્રિ વાયબ્રન્ટ સમિટનું આયોજન આણંદમાં કર્યું છે. જેમાં ૧૭ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત જર્મની, ફ્રાન્સ અને અમેરિકાની સંસ્થાઓ અને તજજ્ઞો જોડાયા છે. જેમાં પ્રાકૃતિક ખેતી અંગે સકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આણંદમાં ૭૨૦૦ વર્ગ મીટરમાં યોજાયેલ કૃષિ પ્રદર્શનમાં ૩૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી સર્વ શ્રી જગદીશભાઈ પંચાલ, મુકેશભાઈ પટેલ, દેવાભાઇ માલમ, બિહારના કૃષિ મંત્રી શ્રી અમરેન્દ્ર પ્રતાપ સિંઘ, ત્રિપુરાના સહકાર મંત્રી શ્રી રામપ્રસાદ પોલ અને પશુપાલન મંત્રી શ્રી ભગબાન દાસ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના એમડી શ્રી મહેશ સિંઘ, કેન્દ્રીય સહકાર સચિવ શ્રી ડી. કે. સિંઘ, રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, સહકાર વિભાગના સચિવ શ્રી નલિન ઉપાધ્યાય, સહકાર રજીસ્ટ્રાર શ્રી દેવાંગ દેસાઈ, સંશોધન વૈજ્ઞાનિક સર્વ શ્રી ડો. બલજીત સિંઘ, ટી. વિજય કુમાર, રાજેશ્વર ચંડેલ, કલેકટર શ્રી મનોજ દક્ષિણી, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(4:52 pm IST)