Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધ્યોઃ વળતર માટે ૩૮૦૦૦ અરજી, ૨૨૦૦૦ દાવા મંજૂર

ગુજરાતનું કોવિડ-૧૯ ગણિતઃ ૧૦ હજારના મૃત્યુ, ૩૮ હજાર દાવા, ૨૨ હજાર મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવાયું

નવી દિલ્હી, તા.૧૫: ગુજરાતમાં મંગળવારે કોવિડ -૧૯ દર્દીનું ૧૦,૧૦૦મું સત્તાવાર મૃત્યુ નોંધાયું છે. તેનાથી વિપરીત રોગચાળા દરમિયાન જીવ ગુમાવનારાઓના ૨૨,૦૦૦થી વધુ મૃતકોના પરિવારજનોને પહેલેથી જ રૂ. ૫૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે. આ અંગે રાજયના મહેસૂલ મંત્રી અને સરકારના પ્રવકતા રાજેન્દ્ર ત્રિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે, સરકારને અત્યાર સુધીમાં લગભગ ૩૮,૦૦૦ અરજીઓ મળી છે અને રાજય સરકારે ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ૨૨,૦૦૦ ખાતાઓમાં રૂ. ૫૦-૫૦ હજાર ટ્રાન્સફર કર્યા છે.

જયારે સત્તાવાર કોવિડ -૧૯ મૃત્યુ અને વળતરના દાવાઓની સંખ્યા વચ્ચે મેળ ન હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ત્રિવેદીએ કહ્યું કે, કોવિડ -૧૯ મૃત્યુની ગણતરી માટે રાજય સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડોમાં તફાવત હોઈ શકે છે. જો કે, વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ મુજબ સહાય ચૂકવવામાં આવી છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ૩૦ દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજયોની સરખામણીમાં સૌથી પહેલા ૨૨ હજાર જેટલા લોકોના ખાતામાં સહાય જમા કરી છે.

રાજય સરકાર દ્વારા નોટિફિકેશન બાદ રાજય ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી આ રકમ ચૂકવવામાં આવી રહી છે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે બાકીના દાવાઓની પ્રક્રિયા ચાલુ છે. જો તે SC દ્વારા નિર્ધારિત વળતરના માપદંડમાં આવે છે તો ચૂકવણી કરવામાં આવશે. તેમજ રાજય સરકાર અરજીઓ સ્વીકારવાનું ચાલુ રાખશે. અન્ય રાજયોની તુલનામાં ગુજરાત સહાયની રકમ ચૂકવવામાં મોખરે હોવાનું ત્રિવેદીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, SCએ રાજયોને કહ્યું હતું કે જો મૃતકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવે છે અને હોસ્પિટલમાં અથવા બહાર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના ૩૦ દિવસની અંદર મૃત્યુ પામે છે તો વળતરની રકમ ચૂકવવામાં આવે. જેથી મૃત્યુ પ્રમાણપત્રોમાં મૃત્યુના કારણ તરીકે કોવિડના દર્દીઓની સાથે ૩૦ દિવસથી વધુ સમયથી દાખલ થયેલા દર્દીઓને પણ સહાય માટે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

આ મામલે, નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ મૃત્યુના દાવાઓની વધતી સંખ્યા દેખીતી રીતે કોમોર્બિડ દર્દીઓના મૃત્યુ દર્શાવે છે, જે સત્ત્।ાવાર આંકડામાં ગણવામાં આવતા નથી. આરોગ્યની સ્થિતિ અથવા વયના કારણે ઉચ્ચ જોખમની શ્રેણીઓમાંના લોકો સાથે આ મૃત્યુ સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા નથી. એક સીનિયર પબ્લિક હેલ્થ એકસપર્ટે કહ્યું કે, આ દાવાઓ હવે તે સંખ્યાઓને પ્રતિબિંબિત કરી રહ્યા છે.

(10:57 am IST)