Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

હવે શહેરી વિસ્તારમાં 36ની જગ્યાએ 25 અને ગ્રામ્યમાં 24ના બદલે 18 વિદ્યાર્થી હશે તો વર્ગ ઘટાડો નહિ થાય

રાજ્યની ગ્રાન્ટેડ ધોરણ-9થી 12ની સ્કૂલોમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો: રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રજૂઆત કરી હતી

અમદાવાદ :રાજ્યની ગ્રાન્ટેડ ધોરણ-9થી 12ની સ્કૂલોમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. હવે શહેરી વિસ્તારમાં 36ના બદલે 25 અને ગ્રામ્યમાં 24ના બદલે 18 વિદ્યાર્થી હશે તો પણ વર્ગ ઘટાડો કરવામાં આવશે નહીં. કોરોનાની પરિસ્થિતિના કારણે રાજ્યની સ્કૂલોના વર્ગ બંધ ન થાય અને શિક્ષકો ફાજલ ન બને તે માટે સરકાર દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આ મુદ્દે રજૂઆત કરી હતી. જેના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. ત્યારબાદ સરકારે આ મુદ્દે ઠરાવ બહાર પાડ્યો છે.

રાજ્યની દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યા અંગે તથા વર્ગ વધારા ઘટાડા, ગ્રાન્ટ કાપ અને સરાસરી હાજરી અંગેની નિતી નક્કી કરવામાં આવેલી છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-10નું પરિણામ ઓછું આવેલું હોવાથી તથા કોવિડ-19ની મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે વિદ્યાર્થી પ્રવેશ પર અસર પડી હતી. જેના કારણે શાળાઓમાં મોટા પ્રમાણમાં વર્ગો બંધ થાય તેમ હોવાથી અને તે કારણે મોટા પ્રમાણમાં વર્ગ ઘટાડા અને શિક્ષકો ફાજલ થવાની સંભાવના હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક છુટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

દરમિયાન કોવિડ-19 મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિ વર્ષ 2021-22માં પણ યથાવત રહેવા પામી હોવાથી ધોરણ-10 અને 12ના વર્ગોમાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યામાં આપવામાં આવેલી છુટછાટ જો વર્ષ 2021-22માં ન આપવામાં આવે તો વર્ગ ઘટાડા અને તેના કારણે શિક્ષકો ફાજલ થવાના પ્રશ્ન ઉપસ્થિત થવા પામે તેમ હતું.

ઉપરાંત પુનઃ પરિસ્થિતિ સામાન્ય થતાં તમામ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવતા વિદ્યાર્થી સંખ્યામાં વધારો થાય અને તેમાં પુનઃ વર્ગ મંજુર કરવાના થાય જે ધ્યાને લેતા ગત વર્ષની જેમ ચાલુ વર્ષ એટલે કે 2021-22માં પણ છુટછાટ આપવા માટે કમિશનર ઓફ સ્કલની કચેરી દ્વારા તાજેતરમાં દરખાસ્ત કરી હતી.

સરકાર સમક્ષ આવેલી દરખાસ્ત પર પુખ્ત વિચારણાના અંતે સરકાર તરફથી શૈક્ષણિક વર્ષ 2021-22ના સમયગાળા માટે અમુક શરતોને આધીન છુટછાટ આપવાનું નક્કી કરાયું છે. જેમાં ઠરાવમાં કરવામાં આવેલી જોગવાઈઓ માત્ર વર્ગ ઘટાડા માટે ધ્યાને લેવાની રહેશે તેમ જણાવાયું છે.

રાજ્યની અનુદાનિત, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12ના વર્ગ વધારા માટે શિક્ષક વિભાગના ઠરાવથી નિયત થયેલી વિદ્યાર્થી સંખ્યાની જોગવાઈઓ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે.

આ વિદ્યાર્થી સંખ્યા વર્ગ વધારા માટે કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવાની રહેશે નહીં. અર્થાત વર્ગ વધારા માટે 60+36 વિદ્યાર્થી સંખ્યા અને 60+24 વિદ્યાર્થી સંખ્યા ધ્યાને લેવાની રહેશે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12ના પ્રથમ વર્ગ માટે શહેરી વિસ્તારમાં 36 વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે. જેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા 25 જાળવવાની રહેશે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 24 વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે, તેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા 18 જાળવવાની રહેશે. એક કરતા વધારે વર્ગો માટે શહેરી વિસ્તારમાં 60+36ના બદલે 42+25 અને ગ્રામ્ય વિસ્તાર માટે 60+24ના બદલે 42+18ની વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે.

શહેરી વિસ્તાર માટે 25 અને ગ્રામ્ય વિસ્તાર માટે 18 વિદ્યાર્થી સંખ્યા ન જળવાતી હોય તેવી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ ઘઠાડાની કરવાની કાર્યવાહી કરવાની રહેશે. આ ઠરાવની છુટછાટ શૈક્ષણિક વર્ષ 2021-22ના સમયગાળા માટે જ આપવામાં આવી હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ મુદ્દત પુર્ણ થયેથી ઠરાવની અસર આપોઆપ રદબાતલ થશે તેમ પણ જણાવાયું છે.

(10:59 pm IST)