Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બાવળામાં કિશોરી પર દુષ્કર્મથી ભારે ચકચાર

નરાધમ આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદ જિલ્લાના બાવળા પંથકની એક કોલોનીમાં રહેતી ૧૩ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરાયાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સગીરાના પરિવારજનો તરફથી સમગ્ર મામલે નોંધાવાયેલી ફરિયાદના આધારે બાવળા પોલીસે નરાધમ આરોપી અશોક રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરૂધ્ધ આઇપીસી, પોક્સો એકટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના બાવળા પંથકની એક કોલોનીમાં રહેતી ૧૩ વર્ષીય સગીરાને તેની પાડોશમાં રહેતા નરાધમ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યુ હતું. બનાવ બાદ પીડિતાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેણીએ પરિવારજનોને હકીકત જણાવતાં વાત પોલીસમથક સુધી પહોંચી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે બાવળા પોલીસે નરાધમ આરોપી અશોક રાઠોડની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. નરાધમ આરોપી વિરૂધ્ધ સ્થાનિકોમાં ફિટકારની લાગણી વરસી હતી.

(8:54 pm IST)