Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બૈતુલના રજ્જઢ સમુદાયના લોકો પોતાને પાંડવોના વંશજ માને છેઃ માગસર મહિનામાં દુઃખ વ્‍યક્‍ત કરે છે અને કાંટા ઉપર આળોટે છે

અમદાવાદ :જો આપણી આંગળી પર એક પણ કાંટો વાગી જાય, તો કળ વળે છે. પરંતુ આજે આપણે એવા લોકો વિશે જાણીશું જેઓ કાંટાની સાથે રમે છે. જાણે ફુલોનો ગુચ્છો ન હોય, તેમ તેઆ કાંટાને પોતાના હાથથી પકડે છે. કાંટા પર આળોટે છે, અને તેના પર સૂઈ પણ જાય છે. વાત કરીએ બૈતૂલના રજ્જઢ સમુદાયની, જેઓ પોતાને પાંડવોના વંશજ માને છે. પાંડવોના આ વંશજ દર વર્ષે માગસર મહિનામાં સેલિબ્રેશન કરે છે, દુખ વ્યક્ત કરે છે અને કાંટા પર આળોટે છે.

શું છે આ પરંપરા

બૈતૂલના અનેક ગામોમાં રહેનારા રજ્જઢ વર્ષોથી કાંટા પર આળોટવાની પરંપરા ઉજવે છે. તેઓ માને છે કે, પાંડવોના વનગમન દરમિયાન એકવાર તમામ પાંડવો પાણી વગર ટળીવળી રહ્યા હતા. પાણી વગર તેમનુ ગળુ સૂકાવા લાગ્યું હતું, પરંતુ એક ટીપું પાણી પર જંગલમાંથી તેઓને મળી ન રહ્યું. પાણીની શોધમાં ભટકતા પાંડવો ચેતનાહીન બની રહ્યા હતા. આવામાં તેમની મુલાકાત એક નાહલ સમુદાય સાથે થઈ. આ એ સમુદાય છે, જે જંગલમાં ભટકીને બિલ એકઠા કરવાનું કામ કરતા હતા. બિલમાંથી તેઓ તેલ કાઢતા. તરસથી કંટાળેલા પાંડવોએ નાહલો પાસેથી પાણીની માંગ કરી. ત્યારે તેઓએ પાંડવો સામે શરત રાખી. નાહલોએ પાણીના બદલામાં પાંડવોની બહેન, જેને રજ્જઢ ભોંદઈ બાઈના નામથી ઓળખે છે, તેનો હાથ માંગ્યો. રજ્જઢોની માનીએ તો, પાણી માટે પાંડવોએ પોતાની બહેન ભોંદઈના લગ્ન નાહલ સાથે કરાવ્યા હતા. ત્યારે જઈને તેઓને જંગલમાં પાણી મળ્યું હતું. પરંપરાના એક્સપર્ટ દયાલ હારોડેના જણાવ્યા અનુસાર, આ કારણે આ સમાજ પોતાને પાંડવોની વંશજ માને છે.

માગસર મહિનામાં રજ્જઢ સુખદુખ વચ્ચે જીવે છે

માન્યતા છે કે, માગસર મહિનામાં પાંચ દિવસ રજ્જઢ સમાજ આ ઘટનાને યાદ કરીને ખુશી અને દુખ બંને માહોલ ઉજવે છે. તેઓ ખુદને પાંડવોના વંશજ માનીને ખુશ થાય છે, તો દુખ એ વાતનું અનુભવે છે કે, પોતાની બહેનને તેઓએ પાંડવો સાથે વિદાય કરવી પડી હતી.

આ રીતે કાંટા પર આળોટે છે

ગામમાં સાંજના સમયે એકઠા થયેલા રજ્જઢ સમાજના લોકો પહેલા તો કાંટાળી ડાળીઓ એકઠી કરે છે. આ ડાળીઓને એક મંદિરની સામે પાથરી દેવાય છે. આ ડાળખીઓની પથારી બનાવવામાં આવે છે અને તેના પર હળદરનું પાણી નાંખવામાં આવે છે. તેના બાદ ખુદને પાંડવના વંશજ સમજનારા રજ્જઢ સમાજના પુરુષો ઉઘાડા શરીરે કાંટા પર આળોટવા લાગે છે. કાંટા લાગવા પર તેઓને ન તો કોઈ દર્દ થાય છે, ન તો કોઈ ઈજા પહોંચે છે. કાંટા જાણે નરમ પથારી હોય તેમ તેઓ ગોળ ગોળ ફરે છે. આ જ કારણ છે કે, આ પરંપરાને જોનારા પણ ચોંકી ઉઠે છે. કાંટામાં આળોટ્યા બાદ આ લોકો એક મહિલાને ભોંદઈ બાઈ બનાવીને તેની વિદાય કરવાની પરંપરા ઉજવે છે. આ દરમિયાન કાયદેસર રીતે તેઓ કાંટા પર આળોટે છે અને મહિલાઓ દુખ વ્યક્ત કરે છે.

મનોકામના પૂરી થાય છે

આ પરંપરા સાથે અહીંના લોકો મનોકામના પણ માને છે. કોઈ સંતાન ઈચ્છતુ હોય, તો કોઈ સુખ, કોઈને પ્રેતની બાધા માટે મુક્તિ જોઈતી હોય તેઓ તમામ અહીં પહોંચે છે. લોકો ભલે તેને અંધવિશ્વાસ માને, પરંતુ રજ્જઢ સમાજ તેને પોતાની પરંપરા ગણીને તેનુ સન્માન કરે છે. આધુનિક યુગમાં આ પરંપરાઓને મિથક ઉપરાંત કંઈ કહેવાતુ નથી. ડોક્ટરોની માનીએ તો, આ પરંપરા જાનલેવા અને ઘાતક સાબિત થાય છે. તેમ છતા પરંપરાના નામ પર તેઓ પોતાને લોહીલુહાણ કરીને શોક વ્યક્ત કરે છે.

(5:38 pm IST)