Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

યા દેવી સર્વ ભુતેષુ શકિત રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે નમસ્તયે નમો નમઃ

હે માતાજી...કોરોના નામની આસુરી શકિતનો સર્વનાશ કરજો

નવરાત્રી એટલે માતૃશકિતનો ગુણગાન ગાવાનો લોકોત્સવઃ આવતીકાલથી નવલા નોરતાનો શુભારંભ

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી તા. ૧૬ : માં શકિતની આરાધનાના પાવન પર્વ નગરાત્રીની ઘડીઓ ગણાઇ રહી છે... કોરોનાની મહામારી સમાન આસુરી શકિતને નાથવા આવી માં નવદુર્ગે...ભારત વર્ષ તહેવારો અને ઉત્સવોની પાવન ભૂમિ છે. આપણા દેશને સામજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવો એક-તાંતણે સુગ્રંથિત કરે છે. આપણા પ્રત્યેક  તહેવારોનું સંસ્કારોસાથે ગાઢ સંબંધ તો છે જ તેમજ દરેક તહેવારનું ભાતીગળ અને અલગ અલગ માહાત્મ્ય હોય છે.

આ તહેવારોમાં નવરાત્રી અદ કેરૃં સ્થાન ધરાવે છે, આ એક એવો તહેવાર છે નવ નવ દિવસો સુધી અત્યંત ભકિત-ભાવ સહીત માનવ મહેરામણ રમણે ચઢે છે અને માં દુર્ગાની ઉપાસના કરીને ભકિત-સભર ભાવ સાથે માં અંબાને જગદંબાને આરાધે છે....

ભારત વર્ષમાં આમ તો ચાર નવરાત્રિઓ ઉજવાય છે જેમાં ચૈત્રી નવરાત્રી, અષાઢ નવરાત્રી, અશ્વિન નવરાત્રી અને શારદીય નવરાત્રીનો સમાવેશ થાય છે, પરંતુ એમાં શારદીય નવરાત્રીનો અનેરો  દબદબો છે...આસો સુદ એકમથી નવલી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છેજે આસો સુદ નોમ સુધી ઉજવાય છે અને આસો સુદ દશમને દશેરા તરીકે ઉજવાય છે દશેરા સુધી ઉજવાય છે. ખરેખર તો નવરાત્રી એ દૈવી શકિતનો આસુરી શકિત ઉપરના વિજયનો ઉત્સવ છે.

પૌરાણિક માન્યતા અનુસાર મહિષાસુર નામના અતિ શકિતશાળી રાક્ષસથી દેવો અને માનવીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ભયભીત થયેલા દેવોએ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કરી અને બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની પ્રાર્થનાથી ઉત્પન્ન થયેલ દેવી મહિસાસુર સામે જંગે ચઢયા આ દેવી શકિત અને મહિષાસુરની આસુરી શકિત વચ્ચે ભયંકર યુદ્ધ થયું.

આ યુદ્ધ આસો માસની શુકલ પ્રતિપદાથી દસમી સુધી ચાલ્યું '' દુવૃત શમન તવ દૈવી શિલમ'' વરદાન પામેલા મહિષાસુર પોતાની નીપૂર્ણ શકિતથી લડયો! અનેક કપટ કર્યા ! મહિષાસુરએ માન્યુ હતું કે સ્ત્રીથી મારે ડરવાનું કારણ નથી એટલે એમણે કોઇ પુરૂષથી મારો વધ ના થઇ એમ વરદાન માંગ્યું હતું પરંતુ આખરે તેમનો નાશ સ્ત્રીશકિતથી જ થયો !

દેવગણોની સમૂહ-શકિતના પ્રતિક રૂપે દેવોનો જ વિજય થયો આસુરી શકિતને ડામી હતી અને દૈવી શકિતની પુનઃ સ્થાપના કરતી આ દેવી શકિત આ એ જ માં અંબા, જગદંબા નવરાત્રીએ માતૃશકિતનોગુણગાન ગાવાનો લોકોત્સવ છે. ભારતીય સંસ્કૃતિ માં નવનો આંક છેલ્લો હોવાથી તે પૂર્ણ ગણાય છે વળી તે આંક નિર્ગુણનું પ્રતીક પણ મનાય છે.

આપણા પુરાણો અને યોગદર્શન ચેતન માત્રનું સંચાલન કરનાર નવ સત્ય હોવાનું જણાવે છે આપણા બ્રહ્માંડમાં પણ નવ તત્વોનો આધાર છે. એનું સંચાલન કરનાર નવ ગ્રહો છે પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ, મનુષ્યને ધારણ કર્ણ પૃથ્વીના નવ દીપો, નવ નંગો, નવ નિધિઓ, નવ રત્નો, માનવ દેહમાં રહેલી નવ નાડી અને જીવનમાં નવ રસ આ બધું મહત્વ નવના આંકનું છે આવાજ કારણોસર હિન્દુ પરંપરામાં નવરાત્રીમાં માં આદ્યશકિતની ઉપાસનાના નવ-નવ રાત સુધી મહિમા ગવાયો છે.

ઇ.સ.પૂર્વ ૬૦૦૦ પહેલા ભારત માં શકિત પૂજાનું પગેરૃં પહોંચે છે પુરાણો પણ શકિત પુજાના ઉલ્લેખથી સભર છે માર્કડેય પૂરાં માં દુર્ગા સપ્તશતીના શકિતના ત્રણ સ્વરૂપો દર્શાવાયા છે જેમાં પ્રથમ ચરણમાં મહાકાળી, દ્વિતીય ચરણમાં માં મહાલક્ષ્મી અને તૃતીય ચરણમાં માં સરસ્વતીનો ઉલ્લેખ કરાયો છે જે અનુક્રમે તમો ગુણ, રજો ગુણ અને સત્વગુણની અધિષ્ઠાત્રિ શકિતઓ છે તેને ક્રિયા શકિત, ઇચ્છા શકિત અને જ્ઞાનશકિત સ્વરૂપે દર્શાવામાં આવેલ છે.

હજુ પણ વધુ નજીકથી જોઇએ તો મહાકાળીએ શકિતનું રૌદ્ર સ્વરૂપ છે તેનો રંગ શ્યામ છે. આ શકિત દેવી તમોગુણની અધિષ્ઠાત્રી છે. આપણા મનમાં ઉત્પન્ન થતા તામસ શરૂઓનો તે નાશ કરે છે. મહાલક્ષ્મીએ ઇચ્છાશકિત -રાજસી શકિતના અધિષ્ઠાત્રિ દેવી છે તો માં સરસ્વતી શ્વેત રંગના છે સૌમ્ય સ્વરૂપા છે જ્ઞાન શકિત છે સ્ત્વગુણની અધિષ્ઠાત્રિ છે ક્રિયાશીલ અને ધર્મની ઇચ્છા વાળો માનવી જ્ઞાન તરફ વડે છે.

નવરાત્રીના નોરતાની દેવીઓ પણ નવ છે..પહેલા નોરતાની દેવી કુમારી, બીજા નોરતાની દેવી ત્રિમૂર્તિ, ત્રીજા નોરતાની દેવી માં કલ્યાણી, ચોથા નોરતાની દેવી માં રોહિણી, પાંચમા નોરતાની દેવમાં કાંતિ, છઠ્ઠા નોરતાની દેવમાં ચંડિકા, સાતમા નોરતાની દેવીમાં સાંભવી, આઠમા નોરતાની દેવી માં દુર્ગા અને નવમાં નોરતાની દેવીમાં સુભદ્રા આ નવ કુમારિકા દેવીઓનો નવ નવે દિવસ નવરાત્રી દરમ્યાન પૂજા થાય છે.

આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી એટલે ૧૭ મી ઓકટોબરને શનિવારથી થાય છે, પરંતુ આ વર્ષની નવરાત્રી કોરોનાની મહામારીની બીમારીને પગલે શાંત પરંતુ ભકિતમય બની રહેશે આપણે સૌ માતાજીને પ્રાર્થના કરીયે કે તેઓ આસુરી શકિત સમાન આ મહામારીને નાથી તેમના ઉપર વિજય મેળવી માત્ર દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલ આ વિપદામાંથી સૌ કોઇને ઉગારે....

(3:10 pm IST)