Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પાંચથી વધુ મેમો મેળવનારને ૧૦ દિનોમાં દંડ ભરવો પડશે

લાયસન્સ અને આરસી બુક રદ કરી શકાય છે : ટ્રાફિક નિયમોને લઇને ઉદાસીન રહેનાર લોકો સામે તવાઈ શહેરમાં ૨૫ સ્થળો પર ટ્રાફિક સિગ્નલને શરૂ કરી દેવાયા

અમદાવાદ,તા.૧૬  : અમદાવાદ શહેરમાં પણ ટ્રાફિક નિયમોને લઇને ભારે હોબાળો મચેલો છે. અલબત્ત ટ્રાફિક નિયમોને લઇને હળવા વલણ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ટ્રાફિક પોલીસ પણ હળવું વલણ અપનાવી રહી છે પરંતુ અમદાવાદ શહેરમાં હજારો લોકો હાલ એવા છે જેમને પાંચથી વધુ વખત મેમો આપવામાં આવ્યા હોવા છતાં દંડ ભરી રહ્યા નથી પરંતુ હવે ૧૦ દિવસમાં જ તેમને દંડ ભરવાના રહેશે. જો કે, નોટિસ મળ્યાના ૧૦ દિવસમાં દંડની રકમ ભરવામાં નહીં આવે તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક ડીસીપી (પશ્ચિમ) અજીત રાજીયાણે આ અંગેની માહિતી આપીને નવી ચર્ચા જગાવી દીધી છે. આને લઇને હવે ઇ મેમો મેળવી ચુકેલા લોકો ઉપર તવાઈ આવી ગઈ છે.  કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વહિકલ એકટ લાવ્યા બાદ લોકો ટ્રાફિકના નિયમો થોડા અંશે પાળતા થયા છે. જો કે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદીઓએ ૫૫ કરોડનો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ નથી ભર્યો. જેમાં ૫થી વધુ મેમો મેળવનારા લોકોએ જ ૩૫ કરોડ જેટલો દંડ નથી ભર્યો. જેથી હવે ટ્રાફિક પોલીસે આ દંડની વસુલાત કરવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો છે.

           ટ્રાફિક ડીસીપીએ વધુમાં કહ્યું છે કે, નોટિસ મળ્યાના ૧૦ દિવસમાં તેઓ દંડ નહિ ભરે તો તેમનું લાયસન્સ અને આરસી બુકને રદ કરવામાં આવશે. આ માટે અલગથી રિકવરી સ્ક્વોડ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેઓને ઘરે નોટિસ આપવા જશે. ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૫૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદીઓએ માત્ર ૨૪ કરોડ ભર્યા છે. બાકીના ૫૫ કરોડ હજી રિકવર કરવાના બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક કાર ચાલકને ૧૧૧ જેટલા ઇ મેમો ફટકારવામાં આવ્યા છે જેનો દંડ ૩૮૦૦૦ જેટલો થાય છે. પરંતુ કારચાલકે હજી સુધી તેટલી રકમ ભરી નથી. તેને પણ નોટિસ આપવામાં આવશે. બીજી બાજુ ટ્રાફિક નિયમોને લઇને હજુ પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શહેરમાં ટ્રાફિકના નિયમોને વધુ અસરકારક અમલી કરવા માટે પ્રાયોગિક ધોરણે ટ્રાફિક પોલીસે શહેરના ૨૫ જંક્શન પર ટ્રાફિક સિગ્નલો શરૂ કરી દીધા છે.

           પશ્ચિમ વિસ્તારમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકની સ્થિતિને અસરકારકરીતે અમલી કરવા, ટ્રાફિક નિયમોને પાળવા લોકોમાં જાગૃત્તિ જગાવવાનો પણ રહેલો છે. જે વિસ્તારોમાં ટ્રાફિક સિંગ્નલ મુકવામાં આવ્યા છે તેમાં ઉસ્માનપુરા, ઇન્કમ ટેક્સ, માઉન્ટ કાર્મેલ, વલ્લભસદન, નહેરુબ્રિજ, પાલડી, પંચવટી, પરિમલ ગાર્ડન, ગીરીશ કોલ્ડ્રીંક્સ, સ્વસ્તિક ચાર રસ્તા, સ્ટેડિયમ, વાયએમસી, વાયએમસી, કારગિલનો સમાવેશ થાય છે. અન્ય વિસ્તારમાં પણ પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિંગ્નલો શરૂ કરવામાં આવ્યા છે જેથી નિયમોને લઇને લોકોને સાવચેતી રાખવી પડશે. સૌથી અગત્યની બાબત એ છે કે, જે લોકોને પાંચથી વધુ મેમો મળી ચુક્યા છે તે લોકોને વહેલીતકે દંડની રકમ ભરવાની રહેશે તેમના પર હવે જોરદાર તવાઈ આવી ચુકી છે.

(8:44 pm IST)