Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અનાવરણનું આમંત્રણ આપવાના નામે દરેક રાજયમાં પ્રધાનોની ટીમો મોકલી બેફામ ખર્ચ

સરકારનો વિરોધ કરે એને ગુજરાત વિરોધી ગણાવી દેવાની વૃત્તિ ! : ફોન, મેઇલ, પત્રથી આમંત્રણ આપી શકાય છતાં 'પ્રચાર' માટે રૂબરૂ મુલાકાત

રાજકોટ તા.૧૬ : ગુજરાત સરકાર દ્વારા તા.૩૧મીએ કવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થનાર છે. તેની જોરશોર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દરેક રાજયના મુખ્યમંત્રી, રાજયપાલ અને ત્યાંના ગુજરાત સાથે જોડાયેલા વિવિધ સમાજના આગેવાનોને આમંત્રણ આપવા માટે પ્રધાનોની આગેવાનીમાં ૧૦ થી ર૦ સભ્યોની ટીમ મોકલવામાં આવી રહી છે. વર્તમાન યુગમાં, ફોન, ટપાલ અને ઇ-મેઇલથી વિગતવાર આમંત્રણ આપી શકાય તેવી સુવિધા હોવા છતાં રાજય સરકારે પ્રધાનોની ટીમને હવાઇ માર્ગે રૂબરૂ મોકલતા લોકો આશ્ચર્ય અનુભવી રહયા છે. જુદા-જુદા રાજયમાંથી મહાનુભાવો આવે કે ન આવે ગુજરાત સરકારમાંથી આમંત્રણ આપવાના ખર્ચનો બોજ આવી ગયો છે.

એક તરફ દુષ્કાળનું વર્ષ છે સરકાર ગંભીર નાણા ભીડ ભોગવી રહી છે. બીજી તરફ આમંત્રણ આપવા નિમિત બનાવી સરકારે પ્રજાની તિજોરીમાંથી બેફામ ખર્ચ કરતા આકરી ટીકા થઇ રહી છે. અવાજ ઉઠાવવાની જેની ફરજ છે તે વિપક્ષ પણ આ મુદ્ે ચુપ છે. ધારાસભ્યોના પગાર વધારામાં સરકારને સાથ આપ્યા પછી કોંગ્રેસનો પ્રજાલક્ષી અવાજ બોદો થઇ ગયો છે. સરકારની મુદા આધારીત ટીકા કરે તેને ગુજરાત વિરોધી ગણાવી દેવાની ભાજપને આવડત છે.

પ્રવાસી ટીમમાં પ્રધાન ઉપરાંત ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો અને અધિકારીઓને જોડવામાં આવે છે. મુખ્યમંત્રી પોતે યુપી જઇ આવ્યા છે. અન્ય ર૧ મંત્રીઓને અલગ અલગ રાજયો ફાળવાયા છે આવવા-જવાની હવાઇ મુસાફરી તેમજ રહેવા જમવાની સુવિધા  સહિત ટીમ દીઠ લાખો રૂપિયાનો ખર્ચ થઇ રહયો છે. જેતે રાજયમાં ગુજરાત સરકારના પદાધિકારીઓ અનાવરણ પ્રસંગને નિમીત બનાવી રાજય અને કેન્દ્ર સરકારના ગુણગાન ગાઇ રહયા છે. સરકારી ખર્ચે પ્રવાસ કરી આડકતરો ભાજપનો પ્રચાર કરવાના ઇરાદા આડે હવે આવરણ નહી રહયાનું લોકોમાં ચર્ચાઇ રહયુ છે. અન્ય સરળ અને સસ્તી પધ્ધતિ ઉપલબ્ધ હોવા છતા બધા રાજયોમાં મોટા પ્રતિનિધિ મંડળ  મોકલીને આમંત્રણ આપવાના સરકારના આયોજનથી ગુજરાતની પ્રજાને શું લાભ થશે ? તે સરકારે (વાસ્તવિકતા) જાહેર કરવી જોઇએ.

 

(3:23 pm IST)