Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

હાઇકોર્ટનો કેન્દ્રને વેધક સવાલ... વાઘ માટે ૧૫ લાખ ને સિંહો માટે ૯૫૦૦૦ની ગ્રાન્ટ કેમ?

વન્ય જીવો માટે ફાળવાતી રકમમાં આટલો ભેદભાવ શા માટે ?

અમદાવાદ તા. ૧૬ : ગુજરાતનું ગૌરવ એવા ગીરના સિંહોના મૃત્યુના મામલે હાથ ધરાયેલી સુઓમોટો કાર્યવાહીના કેસની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે કેન્દ્ર સરકારને એવો વેધક સવાલ કર્યો હતો કે, 'કેન્દ્ર સરકાર વાઘ માટે રૂ. ૧૫ લાખ અને સિંહ માટે માત્ર રૂ. ૯૫ હજારની ગ્રાન્ટ કેમ ફાળવે છે. બંને વન્યજીવોના માટે ફાળવવામાં આવતાં નાણાંમાં આટલો મોટો તફાવત કઇ રીતે હોઇ શકે? સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કોઇ લાંબા ગાળાના આયોજનો છે કે કેમ?' હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે કેન્દ્ર સરકારને નિર્દેશ કરતાં ગત વર્ષોમાં સિંહો માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેમાં જે કોઇ વધારા-ઘટાડા કરવામાં આવ્યા હોય તેની વિગતો રજૂ કરવાનું જણાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી ૧૭મી ઓકટોબરે રાખવામાં આવશે. 

 કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજય સરકારને પણ પૂછ્યું હતું કે, 'ગીરમાં અન્ય સિંહો વાયરલ અને બેકટેરિયલ ઇન્ફેકશનગ્રસ્ત ન થાય એ માટે નિષ્ણાતોની લેવાઇ છે કે નહીં?' રાજય સરકારે સ્પષ્ટતા કરી હતી કે, 'સિંહોની સારવારમાં નિષ્ણાત વેટરનરી ડોકટર્સ અને અન્ય નિષ્ણાતોના માર્ગદર્શન મુજબ સિંહોના રસીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

 રાજય સરકાર તરફથી ગીરની સરસિયા સબરેન્જમાં એકસાથે ૨૩ સિંહોના મૃત્યુ મામલે રાજય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઇ જાનીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, 'સિંહોના મૃત્યુ માટે જવાબદાર બેકટેરિયા અને વાયરસની અસર માત્ર સરસિયા સબરેન્જ પૂરતી મર્યાદિત છે અને તમામ સ્થળોએ કોઇ રોગચાળો ફાટી નીકળ્યો નથી. ૩૧ સિંહોનું વેકિસનેશન કરીને તેમને અન્યત્ર ખસેડાયા છે.'

ઉપરાંત, કૂવામાં પડીને સિંહોના અકુદરતી મોતને અટકાવવા સરકાર સક્રિયતાથી પગલાં લઇ રહી છે. સેવાસેતુ કાર્યક્રમમાં આવતાં તમામને કૂવા કવર કરી દીવાલ ઊભી કરવા પ્રોત્સાહિત કરાય છે. બહોળો પ્રચાર કરીને ખેડૂતોને જાગૃત કરી રહ્યાં છીએ. વીજળીના કરંટથી સિંહોનું મૃત્યુ રોકવા માટે હાઇપાવર કમિટીએ સૂચનો કર્યાં છે. કઇ રીતે પરિસ્થિતિને ડામવી અને ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવાના પ્રયત્નો ચાલુ છે. કાયદાનો ભંગ કરનાર વિરૂદ્ઘ ફોજદારી અને દીવાની પગલાં પણ લેવામાં આવશે. સાથે જ સિંહો ગુજરાતનું ગૌરવ છે જે નાગરિકોને સમજાવી લોકજાગૃતિ લાવવામાં આવશે. (૨૧.૧૩)

(11:45 am IST)