Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોટાભાગનાં ભૂતપૂર્વ મંત્રીઓને મનાવી લેવાયા : પરંતુ નીતિનભાઇ પટેલનું અકળ મૌન

મોડી રાત સુધી પૂર્વ મંત્રીઓને મનાવવાની કવાયત ચાલીઃ મોટાભાગના મંત્રીઓએ સરકારી બંગલા અને ઓફિસ ખાલી કરવાનું શરુ કરી દીધું : પૂર્વ મંત્રીઓએ સમર્થકોને પોતાનું પત્ત્।ું કપાય તો કોઈપણ પ્રકારનો વિરોધ ના કરવાની સૂચના આપી : મોડી રાત સુધી પૂર્વ મંત્રીઓને સમજાવવાની પ્રક્રિયા ચાલી, નવી સરકારમાં કોઈ જૂના મંત્રીને સ્થાન નહીં : નીતિન પટેલનું હજુય અકળ મૌન, આવનારા સમયમાં નારાજ નીતિન પટેલ કોઈ નવાજૂની કરશે?

અમદાવાદ, તા.૧૬: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વિજય રુપાણીના તમામ મંત્રીઓને પડતા મૂકાયા છે. સૂત્રોનું માનીએ તો મોટાભાગના સિનિયર તેમજ જુનિયર મંત્રીઓને ગઈકાલે રાત્રે જ સ્પષ્ટ કહી દેવાયું હતું કે તેઓ નવી સરકારમાં નહીં હોય. કેટલાક મંત્રીઓએ સરકારી બંગલા અને ઓફિસો પણ ખાલી કરી દીધા છે, અથવા તેની પ્રક્રિયા શરુ કરી દીધી છે. પક્ષના આ નિર્ણયથી મોટાભાગના પૂર્વ મંત્રીઓ કચવાટ સહમત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાક નેતાઓએ પોતાના સમર્થકોને કોઈપણ પ્રકારનો વિરોધ ના કરવા માટે પણ જણાવી દીધું છે. જોકે, નીતિન પટેલ હજુય અકળ મૌન ધારણ કરીને બેઠા છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું પત્ત્।ું કપાતા ગઈકાલે જસદણમાં તેમના સમર્થકો ભેગા થયા હતા. આજે જસદણમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જોકે, બાવળિયાએ એક વિડીયો સંદેશ દ્વારા પોતાના સમર્થકોને આવો કોઈ વિરોધ ના કરવા માટે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પક્ષની નો રિપીટ થિયરીને સમર્થન આપે છે. પક્ષ દ્વારા જે કંઈ નિર્ણય લેવાશે તેનાથી તેઓ પણ સહમત છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી આવેલા બાવળિયા ઉપરાંત જવાહર ચાવડાને પણ કેબિનેટ મંત્રી પદેથી પડતા મૂકવામાં આવ્યા છે. આ સિવાય જયેશ રાદડિયાનું પણ પત્ત્।ું કપાયું છે. પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ગઈકાલે જ પોતાના મતક્ષેત્ર વટવામાં પહોંચ્યા હતા. જયાં તેમણે પોતાનો મંત્રીમંડળમાં સમાવેશ ના થવા પર કોઈપણ પ્રકારનો વિરોધ ના કરવો તેવી સમર્થકોને સૂચના આપી હતી.

એક તરફ, મોટાભાગના પૂર્વ મંત્રીઓ હાલ પક્ષની નો રિપીટ થિયરીને સમર્થન આપી રહ્યા છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હજુય અકળ મૌન ધારણ કરીને બેઠા છે. સૂત્રોનું માનીએ તો નીતિન પટેલને મનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ હજુ સુધી તેમણે મચક નથી આપી. ગઈકાલે તો એવા બિનસત્ત્।ાવાર અહેવાલ પણ આવ્યા હતા કે નારાજ નીતિન પટેલે મંગળવારે રાત્રે શંકરસિંહ વાદ્યેલા સાથે મુલાકાત કરી હતી. તેવામાં મંત્રીમંડળની રચના થઈ ગયા બાદ નીતિન પટેલ કોઈ નવાજૂની કરશે કે કેમ તેને લઈને પણ અટકળો થઈ રહી છે.

સત્તાવાર રીતે રાજયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાને હજુ સવા વર્ષ જેટલો સમય છે. જોકે, તે પહેલા જ જે રીતે અચાનક રાજકીય ઉથલપાથલ મચી છે તેને જોતા વહેલી ચૂંટણી યોજાય તેવી પણ શકયતા નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટાભાગના મંત્રીઓ ખાસ વહીવટી અનુભવ ના ધરાવતા હોવાથી લાંબા ગાળે સરકારની કોઈ નકારાત્મક છાપ ઉભી થાય તે પહેલા જ રાજયમાં ચૂંટણી યોજવા પર પણ વિચાર થઈ શકે છે. જોકે, હાલ તો આ સ્થિતિ જો અને તો જેવી જ છે.

(4:17 pm IST)