Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમિતભાઇ શાહ ફરીવાર ગુજરાતની મુલાકાત લેશેઃ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવા ૨પ અને ૨૬મીએ ભાજપની ચિંતન શિબિર

અમદાવાદઃ લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની તમામ ૨૬ બેઠક જીતવા માટે ભાજપ તમામ પ્રકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. જેના ભાગ રૂપે બીજેપીની ચિતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ માર્ગદર્શન આપશે. વ્યૂ રચના ઘડવામા માહેર માનવામા આવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે છે જો કે આ વખતની મુલાકાતમાં લોકસભાની રણનિતિ સાથે તેની માટે જરૂરી અનેક પૂરક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામા આવશે.

'સંપર્ક સે સમર્થન' બાદ અમિતભાઇ શાહ ફરી એક વાર પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે અમદાવાદમા આવી રહ્યા છે. વિધાનસભાના નુકસાન થયેલી સીટોની અસર લોકસભામાં ન થાય તેની માટે ભાજપે અત્યાર થી જ મહેનત શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે 24-25 જૂને અમદાવાદના એસજીવીપી ગ્રાઉન્ડમા ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિતભાઇ શાહ તથા પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાનારી શિબિરમાં મુખ્ય પ્રઘાન સહિત મંત્રી મંડળ તથા સંગઠનના તમામ પદાધિકારીઓ હાજર રહેશે. આ અંગે જાણકારી આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે  એસજીવીપી ખાતે 24 , 25 જૂન ચિંતન બેઠક યાજોશે જેમાં મંત્રી મંડળથી માંડીને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તથા કોર કમિટીની ટીમ હાજર રહેશે. બેઠકમાં લોકસભા માટેના મહત્વના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે.

મહત્વનું છે કે ભાજપ દ્વારા વિઘાન સભા તેમજ લોકસભાની ચૂંટણી પહેલા ચિંતન બેઠક યોજવામાં આવે છે. જેમાં સામાજિક તેમજ રાજકીય પરિસ્થિત,પડકારોની ચર્ચા કરવામાં આવે છે. ત્યારે આ વખતે બેઠકમાં સોશિયલ આર્મી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. અફવાઓ સામે રણનિતિ ઘડાશે તેમજ સિનિયર નેતાઓને વિશેષ જવાબદારી સોપાશે. આ ઉપરાં આંતરિક અસંતોષને ખાળવા રણનિતિ ધડાશે અને પાર્ટી માટે નુકસાન થઇ રહેલા વિધ્ન સંતોષીઓને કોરાણે મૂકવામાં આવે એવી પણ શક્યતા છે.

આગામી લોકસભા ચુંટણીમાં ભાજપને ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ જીતવી આકરી સાબિત થઇ શકે તેમ છે કારણ કે છેલ્લા ૨ વર્ષમાં ઘણા રાજકીય ઉતર ચઢાવ ભાજપે જોયા છે અને તેના માઠા પરિણામો ભાજપે ગત વિધાનસભા ચુંટણી દરમિયાન ભોગવ્યા છે જેને લઈને આગામી ચુંટણી ભાજપને તમામ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું જરૂરી બની ગયું છે .છેલ્લા ઘણા સમયથી ભાજપને પાટીદાર અનામત આંદોલન અને દલિતોના મુદ્દે અંદોલનના લીધે બેકફૂટ પર રહેવું પડ્યું છે તો કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાજપને મોંઘવારીના મુદ્દે ઘેરવા પ્રયાસ ચાલુ કર્યા છે. 

૪ વર્ષ મોદી સરકારને પૂર્ણ થયા પરંતુ વાયદાઓ જે કરવામાં આવ્યા હતા તે પૂર્ણ થયા નથી અને 'અચ્છે દિન' લોકોના આવ્યા નથી. આવા સમયે આગામી લોકસભા ચુંટણી દરમિયાન શું રણનીતિ રાખવી કોંગ્રેસને કેવું રીતે પછાડવું અને લોકો પાસે કયા મુદ્દે પ્રચાર માટે જવું તેને લઈને ભાજપ આ બેઠકમાં ચિંતન કરશે તો ભાજપે ચુંટણી સમિતિની રચના પણ કરી દીધી છે. જેમાં ભાજપે કયા પ્રકારે નેતાઓના પ્રવાસ અને પ્રચાર રાખવા તેને લઈને નિર્ણય કરવામાં આવશે તો ભાજપના પ્રચાર પ્રસાર માધ્યમો શું હોઈ શકે આ તમામ મુદ્દાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

(6:06 pm IST)