Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભેંસોની કતલમાં વારંવાર પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ પણ પોલીસ ‘પાસા' લગાવશે

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૪ મુજબ ભેંસ પણ ગાયની પ્રજાતિ કાયદા મુજબ, ગાયની પ્રજાતિમાં બળદ, આખલા, ગાય, નર-માંદા ભેંસ તથા ભેંસના પાડા સામેલ

અમદાવાદ,તા.૧૬: ઈદ-અલ-અધા કે બકરા ઈદના લગભગ બે મહિના પહેલાં, ગુજરાત પોલીસે ભેંસ અને તેમના પાડાની કતલ માટે એકથી વધુ વખત પકડાયેલા લોકો વિરુદ્ધ પાસા ના આરોપો લગાવવાનો નિર્ણય લીધો હતો. ડીજીપી, સીઆઈડી (ક્રાઈમ) દ્વારા તમામ પોલીસ કમિશનરો અને એપીને ૧૧ મેના રોજ જારી કરાયેલા પરિપત્ર મુજબ, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્‍યો હતો કારણ કે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૪ હેઠળ ભેંસોને પણ ગાયની પ્રજાતિ માનવામાં આવે છે.

જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, એવું નોંધવામાં આવ્‍યું છે કે,પાસા દરખાસ્‍તો ગાયોની કતલ અને તેમના સંતાનો સાથે સંકળાયેલા ગુનાઓની અટાકાયત માટે જાહેર કરવામાં આવે છે. પરંતુ ભેંસોની કતલમાં સંડાવાયેલા ગુનેગારો માટે પાસાની આવી કોઈ દરખાસ્‍તો જારી કરવામાં આવી નથી. એવું જણાય છે કે, પાસા હેઠળ દરખાસ્‍તો જારી કરવા અંગે કેટલીક ગરસમજ છે. આ કારણે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૪ની સ્‍પષ્ટતા કરવાની જરુર છે.

કાયદા મુજબ, ગાયની પ્રજાતિમાં બળદ, આખલા, ગાય, નર અને માંદા ભેંસ તથા ભેંસના પાડા સામેલ છે. આ પહેલાં ગાયોની ગેરકાયદેસર કતલમાં સામેલ લોકો વિરુદ્ધ પાસાના આરોપો લાગ્‍યા હતા અને તેઓની કડક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઈમના ઈન્‍ચાર્જ ઈન્‍સપેક્‍ટર જનર, ક્રાઈમ-૧ યુનિટ, પરિક્ષિતા રાઠેડે કે જેમણે પરિપત્ર જાહેર કર્યો છે જણાવ્‍યું કે, અમુક સમુદાયના પ્રતિનિધિઓ ભેંસોની ગેરકાયદે કતલમાં સામેલ લોકો માટે કાર્યવાહી કરવા માટે દરખાસ્‍તો મોકલી રહ્યા છે.

પરિક્ષિતા રાઠેડે આગળ જણાવ્‍યું કે, આવી દરખાસ્‍તો સામે આવ્‍યા પછી અમે નક્કી કર્યું કે, આવા ગુનેગારો વિરુદ્ધ પાસા લગાવવામાં આવી શકે છે. કારણ કે ભેંસ પણ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગાયની એક જાત છે. બકરા ઈદના તહેવાર પહેલાંના નોટિફિકેશનને લઈને તેઓએ કહ્યું કે, આવું કંઈ નથી. આ નિર્ણય સ્‍વતંત્ર રીતે લેવામાં આવ્‍યો હતો. ગુજરાતે પહેલાં પણ જૈન સમુદાયના પવિત્ર તહેવાર પર્યુષણ દરમિયાન નગરપાલિકા વિસ્‍તારમાં માંસ, મરઘા અને માછલીના વેચાણની સાથે પ્રાણીઓ તથા પક્ષીઓની હત્‍યા પર પણ પ્રતિબંધ મૂક્‍યો હતો.

(11:46 am IST)