Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

સુરત: તૌક્તેની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ : માંકના ગામે ઝાડ પડતાં આધેડનું મોત

સુરત જિલ્લાના કામરેજના માંકના ગામે તોતિંગ ઝાડ પડ્યું: ઝાડ નીચે દટાઈ જતાં મોત આધેડનું મોત નીપજ્યું

સુરતઃ ગુજરાત ઉપર તૌક્તે વાવાઝાડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેની ગુજરાત ઉપર અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જોકે ભારે પવન અને વરસાદના કારણે સુરત જિલ્લાના કામરેજના માંકના ગામે ભીમકાય ઝાડ પડ્યું હતું. ઝાડ નીચે દટાઈ જતાં મોત આધેડનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકના ગામમાં દાનાભાઈ આહીર પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ પશુપાલન કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ત્રણ દીકરા પણ છે. આજે રવિવારે તેઓ ઝાડ નીચે હતા ત્યારે અચાનક ભારે પવન ફૂંકાયો હતો.

ભારે પવનના કારણે ભીમકાય ઝાડનો એક ભાગ તૂટી પડ્યો હતો. અને તેના નીચે રહેલા દાનાભાઈ દટાઈ ગયા હતા. જોકે, ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત દાનાભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

દાનાભાઈના મોતના સમાચાર સાંભળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ઘટનાના પગલો લોકોના ટોળા એકઠાં થયા હતા. અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.

(11:47 pm IST)