Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કેન્દ્રનું પેકેજ કૃષિ, સહકાર, પશુપાલન માટે ખુબ ઉપયોગીઃ સ્ટોક લીમીટ માત્ર ખાસ સંજોગોમાં જ

હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિને બળ મળશેઃ આર.સી.ફળદુ

રાજકોટ,તા.૧૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર કરેલ કૃષિલક્ષી પેકેજને કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુએ આવકારતા જણાવ્યુ છે કે રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશના કૃષિ, સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ચોક્કસ નવી દિશા મળશે. ખેડૂતોના આર્થિક વૃધ્ધિના દ્વાર ખુલશે.

શ્રી આર.સી.ફળદુ જણાવ્યા મુજબ દેશમાં કોલ સ્ટોરેજ ચેઇન તથા પાકની લલણી બાદ ગોડાઉન વગેરેની સુવિધા ઉભી કરવા, કૃષિ કોપ. સોસાયટી તથા ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઝેશન, એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ વગેરેને માટે રૂ. એક લાખ કરોડનું ખાસ ભંડોળ તાત્કાલીક ઉભુ કરાશે. જે ખેડૂતોને વ્યાજબી ભાવે આ સેવા પુરી પાડશે. કાશ્મીરમાં કેસર, આંધ્રપ્રદેશમાં મરચા, ઉત્ત્।રપ્રદેશમાં કેરીની જેમ જુદા જુદા રાજયોની અલગ અલગ ખેત પેદાશોના કલસ્ટર આધારીત નાના ફૂડ એકમો માટે ૧૦ હજાર કરોડનું ફંડ જાહેર કરાયું છે, બે લાખ નાના ફૂડ એકમોને લાભ મળશે, રોજગારીમાં પણ ફાયદો થશે, આવા એકમોને બ્રાન્ડ ઉભી કરવા તથા આધુનિકીકરણ માટે ફંડનો ઉપયોગ કરાશે.

દેશમાં મત્સ્ય ઉદ્યોગ માટે માછલી પાલન અને તેનું ઉત્પાદન વધારવા રૂ. ૧૧ હજાર કરોડ અને કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટીંગ માટે રૂ. ૯ હજાર કરોડનું ભંડોળ ફાળવાશે, દેશમાં સી-ફૂડ નિકાસ રૂ. એક લાખ કરોડની કરવાનો લક્ષ્યાંક. દેશમાં દુધાળા પશુઓને ફુટ એન્ડ માઉથ સહિતના જે રોગ થાય છે તેને નિયંત્રણમાં લાવવાના કાર્યક્રમ માટે રૂ. ૧૩૩૪૩ કરોડનું પેકેજ જાહેર થયું છે. જેમાં ભેંસ, ઘેટા, બકરી તથા પીગ જેવા પ૩ કરોડ પશુઓનું ૧૦૦ ટકા વેકસીનેશન થશે. અત્યાર સુધીમાં ૧.૫૦ કરોડ ગાય અને ભેંસનું વેકસીનેશન કરાયું છે.પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ પેકેજ અંતર્ગત પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડ પેટે ૧૫ હજાર કરોડ ફાળવાયા છે. ડેરી પ્રોડકટ પ્લાન્ટ માટે સરકાર સહાય કરશે. લોન વ્યાજમાં પણ છુટ અપાશે. હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવા ૪ હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. ગંગા નદીના સ્ત્રાવ ક્ષેત્રમાં હર્બલ ખેતી કરાવીને સ્થાનિક ખેડૂતોને પાંચ હજાર કરોડની આવક ઉભી કરવાનું આયોજન.

શ્રી ફળદુએ જણાવેલ દેશમાં ટમેટા, ડુંગળી અને બટેટા માટે ઓપરેશન ગ્રીન યોજના અમલમાં છે. તેમાં હવે તમામ ફળો અને શાકભાજી સમાવી લેવામાં આવ્યા છે. દેશમાં શાકભાજી તથા ફળોના વધુ ઉત્પાદન કે અછત સમયે સપ્લાય ચેઇન ખોરવાઇ નહી અને ખેડૂતોને નુકસાન ન જાય તે માટે આ યોજના કામ કરશે. વધુ ઉત્પાદન કે અછત સમયે માર્કેટ ટ્રાન્સપોર્ટેશન માટે ૫૦ ટકા સબસીડી, કોલ્ડ સ્ટોરેજ સહિતની સાચવણી માટે ૫૦ ટકા સબસીડી, હાલ આ યોજના છ મહિના માટે લાગુ કરાઇ છે.કઠોળ, ખાદ્ય તેલો, તેલીબીયા, ડુંગળી અને બટેટાને ડીરેગ્યુલેટ કરાશે. કુદરતી આફત કે દુષ્કાળ જેવા અપવાદરૂપ તબકકે જ સ્ટોક લીમીટ દાખલ કરાશે. નિકાસકાર કે પ્રોસેસર માટે સ્ટોક લીમીટ લાગુ નહી કરાઇ.

ખેડૂતોને હાલ તેના ઉત્પાદનો વેચવા માટે માન્ય માર્કેટીંગ યાર્ડમાં જવું ફરજિયાત છે તેમાં ખેડૂતોને યોગ્ય સ્પર્ધાત્મક ભાવ મળતા નથી તે દુર કરવા એગ્રીકલ્ચર માર્કેટીંગ રીફોર્મ આવશે. કેન્દ્રીય કાયદાના સુધારાથી ખેડૂતો તેના ઉત્પાદનો સ્પર્ધાત્મક ભાવે વેચી શકે તે માટે ઇન્ટર સ્ટેટ નિયંત્રણો દુર થશે. ઇ-ટેન્ડરીંગની પ્રક્રિયાનું ફ્રેમ વર્ક તૈયાર કરાશે.

(11:34 am IST)