Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સમાજમાં જાગૃત્તિ જગાવવા માટે અનોખી દાંડીયાત્રા થઇ

સરકાર પાસે અપેક્ષા રાખનાર પ્રજાએ જાગૃત થાય : દાંડીથી સાબરમતી આશ્રમ સુધી ૩૯૦ કિમીની દાંડીયાત્રા કરી રમેશ દોશીએ સમાજને વિશેષ પ્રેરણા પૂરી પાડી છે

અમદાવાદ, તા.૧૬ : વિશ્વશાંતિના ઉકેલ અને સમાજને જાગૃત કરવાના ઉમદા આશયથી એકલવીર સ્વયં દીક્ષિત જૈન સાધક શ્રીમદ રાજચંદ્ર ગાંધીપ્રેમી વયોવૃદ્ધ રમેશભાઈ દોશી દ્વારા અનોખી રીતે દાંડીયાત્રાની પહેલ અને સમાપન કરવામાં આવ્યું છે. સાંપ્રત સમયે પણ મહાત્મા ગાંધીજીના પગલે દાંડીકૂચની જાત અનુભૂતિ કરી શકાય તેવી પ્રવાસન અને આધુનિક સુવિધા સાથે ઐતિહાસિક દાંડીપથને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્યરીતે સાબરમતીથી દાંડીની યાત્રા હોય છે, પરંતુ જૈન સાધક શ્રીમદ્ રાજચંદ્રના શિષ્ય અને ગાંધીપ્રેમી રમેશભાઈને સ્વયં સ્ફુર્ણા થતાં નવસારી પાસેથી પોતાના વિહાર દરમિયાન તેમણે અચાનક જ દાંડીયાત્રા કરવાનું નક્કી કર્યું અને દાંડીથી સાબરમતી આશ્રમ સુધી ૩૯૦ કિલોમીટરની દાંડીયાત્રા કરી તેમણે સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. યાત્રાનું સમાપન કર્યા બાદ મહત્વનો સંદેશો આપતાં શ્રી રમેશભાઈ દોશીએ જણાવ્યું કે, વિશ્વશાંતિ માટે અને તમામ સમસ્યાઓના ઉકેલ માટે ગાંધીમૂલ્યો અને ગાંધીજીના પ્રયોગો જ આદર્શ છે. આ તમામ ગુણોને જીવનમાં ઉતારવાથી તમામ સમસ્યાઓમાંથી ઉકેલ મળી શકે છે. તાજેતરમાં જ તા. ૨૧-૦૪-૨૦૧૯ થી દાંડીથી સાબરમતીની પદયાત્રા કરનાર એકલવીર સ્વયં દીક્ષિત જૈન સાધક શ્રીમદ રાજચંદ્ર ના શિષ્ય અને ગાંધીપ્રેમી શ્રી રમેશભાઈ દોશી (ઉ.વ. ૭૦)કે જેઓ ચીંચણી જી. પાલઘર મહારાષ્ટ્ર થી વિહાર કરતા ભાવનગર જતા હતા ત્યાં નવસારી પહેલા પ્રેરણા થઇ કે પહેલા, દાંડી યાત્રા કરો અને બસ તેમણે બીજા જ દિવસથી દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. ભારત અને વિશ્વના સ્વાતંત્ર્ય - સંગ્રામ ના ઇતિહાસમાં દાંડી કૂચ એ અનન્ય અને શિરમોર ઘટના ગણાય છે. સને ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ ૮૦ સત્યાગ્રહી સૈનિકોએ સાબરમતી આશ્રમ અમદાવાદથી નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી આશરે ૩૯૦ કિલોમીટર લાંબી દાંડીકૂચ દ્વારા બ્રિટીશ સરકારના પાયા હચમચાવી દીધા હતા. ગરીબ-તવંગર સહુને માટે આવશ્યક એવા મીઠા પરના કરના વિરોધને નિમિત્ત બનાવી મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કરી અને દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડી ભારત દેશની આઝાદીના દ્વાર ખોલી નાખ્યા હતા. ગાંધીપ્રેમી રમેશભાઇ દોશીએ વધુમાં ઉમેર્યું કે, ગાંધીજીનું સમગ્ર જીવન આપણને સૌને અને વિશ્વને એક નવી રાહ અને દિશા ચીંધે છે. સ્વચ્છતાના સંદેશની સૌથી પ્રથમ પહેલ ગાંધીજીએ જ કરી હતી. તેમના દરેક સત્યના પ્રયોગ સફળ અને અદ્ભુત રહ્યા છે તેનું કારણ જ એ છે કે, તે શાશ્વત અને સત્ય તત્વથી યુકત હતા. ગાંધીજીની આદર્શો અને મૂલ્યોને પ્રજાએ પણ જીવનમાં સાચા અર્થમાં ઉતારવા જોઇએ અને સરકાર પાસે કોઇપણ બાબતની અપેક્ષા રાખનાર પ્રજાએ જાતે જાગૃત બની પોતાની ફરજ પરત્વે ધ્યાન આપવું જોઇએ. જો પ્રજા તેની ફરજ નિભાવતી થઇ જાય તો, હક્ક માંગવાની જરૂર નહી પડે, આપોઆપ જ મળી જશે. વિશ્વશાંતિ અને ગાંધીજીનું બાકી કાર્ય પૂરું કરવું એ જ મારા જીવનનો ઉદ્દેશ છે. આ પ્રસંગે દાંડીપથનું મેનેજમેન્ટ સંભાળનાર યોગેશ સુતરીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદથી દાંડી વચ્ચેના ૨૧ ઐતિહાસિક સ્થળો જ્યાં આજે પણ દાંડીકૂચની ગાથા તેમજ મહાત્મા ગાંધી અને ૮૦ સત્યાગ્રહી સૈનિકોની સ્મૃતિ અકબંધ છે. યાત્રીઓ માટે રહેવા અને જમવાની સુવિધાઓ સાથે ૧૫ દાંડીપથ યાત્રી નિવાસ પણ સંચાલિત છે. વર્ષેદહાડે ૧૫૦થી વધુ લોકો દાંડીયાત્રા કરી ઇતિહાસને જીવંત રાખી રહ્યા છે. આ અગાઉ કલકત્તાના શ્રી અભિજીત કરગુપ્તા અને તેની ટીમ તેમજ પ્રો. સિંગાપોરિયા હારમની વિસ્પી અમદાવાદ અને તેની ટીમ, હિમાચલપ્રદેશથી સુમીત પ્રભુદાસ, દિલ્હીથી ચિરાગ મેદીરઠા, રાજસ્થાનથી વિપિન પરમાર, આ ઉપરાંત જર્મનીથી મી.ગીરો વેન બારડેલેબનકે જેઓ હાલ સાબરમતીથી દાંડીયાત્રા કરી હતી.

(8:14 pm IST)