Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

વડોદરામાં સફાઇ કામગીરીની લોલંમલોલનો પર્દાફાશઃ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ટાંકીમાં ઉતર્યા

વડોદરા :ગુજરાતભરમાં હાલ પાણીની ટાંકીઓની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વરસાદ આવતા પાણીનો નવો સ્ટોક તેમાં ઠાલવી શકાશે. તો બીજી તરફ, રાજ્યમાં મોટાભાગના નળોમાં દૂષિત પાણી આવવા લાગી જાય છે. જેનો મતલબ કે, ટાંકીની સફાઈ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ત્યારે વડોદરા કોંગ્રેસે મુદ્દે હલ્લાબોલ કર્યું હતું. વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તરસાલીમાં ચાલી રહેલી ટાંકીમાં ઉતર્યા હતા, અને સફાઈ કામગીરીમાં કેવી રીતે લોલમલોલ ચાલે છે તેવા આક્ષેપો કર્યા હતા.

હાલ વોડદરામાં તરસાલી વિસ્તારની ટાંકી ખાતે સંપ 3ની સફાઈ કામગીરી ચાલી રહી છે. વડોદરામાં દૂષિત પાણીથી બે લોકોના શંકાસ્પદ મોત થયા છે, જેથી દૂષિત પાણીનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અને કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ કાર્યકરો સાથે તરસાલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ઉતર્યા હતા. પ્રશાંત પટેલે પાણીમાંથી હાથમાં કાદવ લઈને અધિકારીને બતાવ્યું હતું. સાથે કોર્પોરેશન પર 300 કરોડના પાણી કૌભાંડનો આક્ષેપ કર્યો છે. એટલું નહી પ્રશાંત પટેલે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાકટર રાજકમલ અને પાણી પુરવઠાના અધિકારીઓ સામે લોકોને દૂષિત પાણી પીવડાવા બદલ ક્રીમીનલ કેસ દાખલ કરવા માંગ કરી છે. કોંગ્રેસ પ્રમુખ સફાઈ કર્મચારીઓને મળ્યા હતા. તેમના આવા ઓચિંતા હલ્લાબોલથી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં જોવા મળ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ પણ જીવના જોખમે કોઈ સુરક્ષા સાધનો વગર સફાઈ કરી રહ્યા હતા.

જીવના જોખમે સફાઈ કરતા કર્મચારીઓ

તરસાલી સહિત પૂર્વ અને દક્ષિણ વિસ્તારની ટાંકીની સફાઈ કરતા કોન્ટ્રાકટર મજબૂરીમાં સફાઈ કર્મચારીઓને જીવના જોખમે ટાંકીમાં ઉતારી રહ્યા છે. માત્ર કાપડનું માસ્ક પહેરી કર્મચારી ટાંકીમાં ઉતરી રહ્યા છે, જેના કારણે તેમનો જીવ રામભરોસે છે. કોન્ટ્રાકટરે કોર્પોરેશન પાસે ઓક્સિજન માસ્ક માંગ્યા તેમ છતાં માસ્ક આપતા છેવટે કાપડના માસ્કથી કામગીરી કરવી પડી રહી છે. મહત્વની વાત છે કે, કોન્ટ્રાકટર રાહુલ શર્મા કહે છે આજવા નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ગંદુ આવે છે, ત્યારે ટાંકીની સાફ કર્યા બાદ પણ પાણી ચોખ્ખું નહી મળે.

કેમેરામેન બેહોશ

વડોદરા કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ટાંકીમાં ઉતર્યા હતા, તેમની સાથે કવરેજ કરવા કેટલાક મીડીયાકર્મીઓ પણ ટાંકીમાં ઉતર્યા હતા. ત્યારે ટાંકીમાં ઉતરેલા એક પ્રાદેશિક ચેનલના કેમેરામેન બેહોશ થયા હતા. ત્યારે તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જેથી સમજી શકાય કે જે ટાંકીમાંથી લોકોને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે, તેમાં કેટલી દુર્ગંધ મારતી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર વડોદરામાં દૂષિત પાણીનો પોકાર છે. ઠેકઠેકાણે નળમાંથી દૂષિત પાણી આવી રહ્યું છે. વડોદરાના બાવનચાલમાં રહેતા 32 વર્ષીય સતીષ સોલંકીનું દૂષિત પાણી પીવાથી મોત નિપજયું છે. સતીષ સોલંકીને દૂષિત પાણી પીવાથી ડાયેરિયા થઈ ગયા હતા. તેમજ તાવ અને ઝાડા ઉલટી પણ થયા જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. મહત્વની વાત છે કે, બાવનચાલમાં છેલ્લા ચાર માસથી દુર્ગધ મારતુ દૂષિત પાણી આવે છે, જેને પીવા માટે લોકો મજબૂર છે. કારણ કે, બાવનચાલમાં ગરીબ પ્રજા રહેતી હોવાથી તેઓ પાણીના જગ નથી ખરીદી શકતા. મહત્વની વાત છે કે, દૂષિત પાણીના કારણે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકો રોગચાળામાં સપડાઈ રહ્યા છે. સાથે લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. તેમ છતાં કોર્પોરેશન તંત્ર દૂષિત પાણીના મૂળ સુધી નથી પહોચી શકી, ત્યારે કોંગ્રેસે આવનારા સમયમાં લોકોને ચોખ્ખું પાણી નહી મળે તો આક્રમક તેવર દર્શાવવાના સંકેત આપી દીધા છે.

(5:18 pm IST)