Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ભરૂચના રણમાં બનેલી રેવા નદી મુદ્દે પીટીશન દાખલ થતા કેન્‍દ્ર અને રાજ્ય સરકારના ૯ વિભાગો પાસે સુપ્રિમ કોર્ટે જવાબ માંગ્યા

ભરૂચ :નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમમાં થયેલ દુર્દશાથી સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલી પિટીશનનો નિકાલ આવતા તેમણે સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હતા. ભરૂચમાં રણ બનેલી રેવા મુદ્દે પિટિશન દાખલ થતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નવ વિભાગો પાસે નોટિસ પાઠવી જવાબો માંગ્યા છે.

પિટીશનમાં કરી માંગ

નર્મદા નદીને 161 કિલોમીટર લાંબા પટમાં ફરીથી વહેતા કરવા માટે સંસ્થાએ સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખટાવ્યા છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને નર્મદા પ્રદૂષણ નિવારણ સંસ્થાઓએ કરેલી અરજી પર કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો અને નિગમો સામે નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યા છે. ભરૂચમાં નર્મદા નદી લગભગ સફેદ રણ જેવી બની ગઈ છે. જેની સીધી અસર ભૂર્ગભ જળ પર થઈ રહી છે. ભૂર્ગભ જળના પાણી ખારા થઈ ગયા છે, અને પીવાલાયક નથી રહ્યાં. ત્યારે ડેમમાઁથી નિયત કરાયેલ 600 ક્યુસેક કરતા 1500 ક્યુસેક પાણી છોડવામાં આવે અને નદીને ફરીથી જીવંત કરાય તેવી માંગણી પિટીશનમાં કરાઈ છે.

કેવડીયા ખાતે ડેમની ઉચાઈમાં વધારો કર્યા બાદ હવે પછી ડેમ ક્યારેય ઓવરફ્લો થશે નહી, જો ડેમ ઓવર ફ્લો નહી થાય તો નર્મદા નદીમાં પાણી કદીએ નહીં આવે. આથી પાણી વિનાની નર્મદા નદી સફેદ રણ જેવી લાગી રહી છે. નર્મદામાં પાણી છોડાતાં મૃતપ્રાય બનેલી નર્મદા હવે ભરૂચવાસીઓ અને નર્મદા કિનારાના લોકોએ નર્મદાનો અમૂલ્ય કુદરતી વારસો લગભગ ગુમાવી દીધો છે.

ભાડભૂતથી ઝણોર સુધીના નર્મદા તટ પર દરિયાએ પોતાનો પ્રભાવ પાથરી સફેદ રણ સર્જતા સહેલાણીઓ સફેદ રણની મુલાકાત લઇ સેલ્ફી ખેંચતા જોવા મળી રહ્યાં છે. દરિયાની પાણી ઝણોર સુધી આવી જતાં ભાડભૂતથી ઝણોર સુધીની સુકીભઠ્ઠ બનેલી નર્મદાના પટમાં સફેદ રણ સર્જાયું છે. ભરૂચવાસીઓને હવે નર્મદાના પાણીને બદલે સફેદ રણની સહેલગાહ કોઠે પડી ગઈ છે. ભાડભૂતથી ઝણોર સુધીનું લોકો માટે હવે પિકનીક પોઇન્ટ બની ગયું છે.

વિશે ભરૂચ સિટીઝન કાઉન્સિલના હરીશભાઈ જોશી કહે છે કે, કેવડીયાથી ભરૂચ સુધીની નર્મદા નદી સરકારી વહીવટના કાગડીયામાં અટવાઈ ગઈ છે. ડેમમાંથી નર્મદા નદીમાં પૂરતું પાણી હેઠવાસમાં નહીં છોડાતા ત્યાં નર્મદા નદી ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. કિનારાના લોકોએ નર્મદાના કુદરતી વારસાને ગુમાવતાં તેના માઠા પરિણામો પણ ભોગવવાના શરૂ કરી દીધા છે. છેક કચ્છ સુધી નર્મદાના પાણી મોકલવાની લ્હાયમાં નર્મદા તટવાસીઓને તરસે મરવાનો સમય આવ્યો છે. ભરૂચ તાલુકાના તવરા, અંગારેશ્વર, નિકોરા અને મંગલેશ્વર ગામે નદી સુકાઇ જતાં હવે નાવડીના બદલે રિક્ષા, મોટરસાઇકલ, બળદગાડા અને ટ્રેકટર તેમજ ગ્રામજનો પગપાળા ચાલીને સામેપાર આવેલ પોતાના ખેતરે જઈ રહયાં છે. જે ભરૂચ અને નર્મદા નદીના ઇતિહાસમાં પહેલી વખતની ઘટના કહી શકાય. ભરૂચ જીલ્લાના તવરા, અંગારેશ્વર, નિકોરા અને મંગલેશ્વર એમ ચારેય ગામોના ખેડૂતો નદીના સામે કિનારે ખેતરો ધરાવે છે અને રોજ ગામમાંથી ખેતરોમાં અવરજવર કરતાં હોય છે. અંગારેશ્વર, નિકોરા અને મંગલેશ્વરના ગામોની 50 ટકા જમીન નર્મદાના સામે કિનારે આવેલી છે. પહેલા ગામ લોકો ખેતીના પાક અને દુધની ફેરાફરી માટે નાવડીઓનો ઉપયોગ કરતાં હતાં.

વિશે સામાજિક આગેવાન મહેશ વણકર તથા ધર્મેશ સોલંકી કહે છે કે, સતત ત્રણ વર્ષથી નર્મદા નદીમાં પાણીના અભાવે દરિયાની ભરતી છેક ઝણોર સુધી આવી ગયા છે. દરિયાના ખારા પાણીના કારણે ખેડૂતોની ખેતી નિષ્ફળ જઇ રહી છે. જેના દર્શન માત્રથી જીવન પાવન અને પવિત્ર થઈ જાય તેવી ભારતીય સંસ્કૃતિની ધરોહર, જીવદાયીની, હિન્દુઓના શ્રદ્ધા શિખરેથી વહેતી, અનેક ધામક અને ભૌગોલિક માહાત્મ્ય ધરાવતી પવિત્ર સલિલ નર્મદા આજે નામશેષ થઈ ગઈ છે. એક આખે આખી ધાર્મિક, સામાજિક, આર્થિક અને ભૌગોલિક સંસ્કૃતિ નામશેષ થઈ રહી છે.

તાજેતરમાં ભરૂચના જીએનએફસી ખાતે રાજ્યના ગૃહ મંત્રી અને ભરૂચના પ્રભારી ડીવીએઆરએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પાણીના પ્રશ્નો બાબતે એક ખાસ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં હાલ પૂરતો નર્મદામાં ખારાશ દૂર કરવા માટે કોઝવેના બદલે પાળો બનાવવાની મૌખિક મંજૂરી આપી હતી.

નર્મદા નદીની આસ્થા કોઈ એક ધર્મ સાથે જોડાયેલી નથી. નર્મદાની સાથે હિન્દી, મુસ્લિમ, શીખ, પારસી સહિત બધા ધર્મના લોકોનું અસ્તિત્વ જોડાયેલું છે. નર્મદાના માતા એટલા માટે કહેવાય છે કે તેના તટ પર વસતા બધા ધર્મના લોકોનું પાલન પોષણ કરે છે. આજે બધા ધર્મના લોકો પોતાની માતા સમાન નર્મદાના અસ્તિત્વને નાશ પામતું જોઈ રહ્યા છે. નર્મદાની સાથે કોઈ એક ધર્મની લાગણી નહી પણ બધા લોકોની લાગણીઓ જોડાયેલી છે.

(5:14 pm IST)