Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સુરતમાં કોરોના પોઝીટીવ કેસમાં એકધારો વધારોઃ પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહે ૭૨ કલાકમાં ૧૨૫ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરાવ્યુ

સુરતઃ કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં રીતસર મોતનો તાંડવ મચાવ્યો છે. એમાંય વાળુવેગે સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણ અને મોતના આંકડાઓએ સુરત શહેરની સુરત બદલી નાંખી છે. હાલ ગુજરાતમાં સુરત અને અમદાવાદ આ બન્ને શહેર પર કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે સુરત ના પૂર્વ ડે. મેયર નિરવ શાહે 72 કલાક માં 125 બેડ નું કોવિડ કેર સેન્ટર ઉભું કરાવ્યું છે.

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે આ ઉપરાંત કેસોની સંખ્યા 1864 ને પાર થઈ ચૂકી છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની સવલત ન હોવાને કારણે  લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન જૈન સમાજના અગ્રણી તથા પૂર્વ ડે.મેયર નિરવ શાહે માનવતા મહેકાવી છે અને કોરોના ના દર્દી માટે આગળ આવ્યા છે.

સુરતના પૂર્વ ડે.મેયર નિરવ શાહે કોરોનાના દર્દીઓની સારવાર માટે શહેરના અડાજણ વિસ્તારમાં માત્ર 72 કલાકની અંદર 125 જેટલા બેડની સુવિધા ઊભી કરી દીધી છે. સાથોસાથ 125 પૈકી 50 બેડ માં ઓક્સિજન ની સુવિધા સાથે સજ્જ કરી દેવામાં આવ્યા છે. હાલમાં 55 જેટલા દર્દીઓ અહીં સારવાર લઇ રહ્યા છે તેઓ પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવી રહ્યો નથી.

આ સાથે તમામ ને સવારનો ચા-નાસ્તો થી માંડીને બપોર અને સાંજ ના જમવાનું પણ અહીંથી જ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દર્દીઓ પોતાના પરિવાર થી દુર નથી તેવો અહેસાસ કરાવવા માટે ગેમ રમાડવામાં આવે છે તથા તેમનું સ્વસ્થ સારું રહે તે માટે યોગા પણ કરાવવામાં આવે છે.પરિવારજનો થી પણ વધુ કેર અહીંના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. દર્દી ને હુંફાળું વાતાવરણ મળી રંહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(4:37 pm IST)