Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સુરતમાં એક જ ચિતા પર પાંચ મૃતદેહોના અંતિમ સંસ્કાર

કોરોનાના મૃતકોના મોતનો મલાજો પણ ભૂલાયોઃ સ્મશાનમાં કોઈ ફોટા કે વિડીયો ના લે તે માટે સિકયોરિટી ગોઠવી દેવામાં આવી : કોરોનામાં પરિવારજનોને ગુમાવનારા લોકોનું હૈયુ હચમચાવી દે તેવું આક્રંદ : પાલમાં આવેલા કૈલાશ સ્મશાન ગૃહમાં ૧૮ ફુટ લાંબી ત્રણ ચિતાઓ તૈયાર કરવામાં આવી : મોટી ડેડબોડી વાનમાં પાંચ જયારે નાની વાનમાં ત્રણ મૃતદેહો એક સાથે સ્મશાને લવાય છે : ચિતાઓ સતત સળગતી રહેતા લોખંડની એંગલો ઓગળી, ચિમનીમાં પડી ગઈ તીરાડો

સુરત, તા.૧૬: કલ્પના કરો કે સ્મશાનમાં એક જ ચિતા પર પાંચ મૃતદેહોને અગ્નિદાહ અપાઈ રહ્યો છે. ૧૮ ફુટ લાંબી અને આઠ ફુટ પહોળી ચિતા પર આ તમામ મૃતદેહો ગોઠવાયા છે, અને તેમની વચ્ચે ત્રણ ફુટ જેટલી જગ્યા રખાઈ છે. ચિતા ઝડપથી આગ પકડી લે તે માટે તેમાં કેરોસીન પણ છાંટવામાં આવે છે. એક તરફ હોસ્પિટલોમાં દર્દીઓની કરુણ હાલતના સમાચાર અવારનવાર આવતા રહે છે, પરંતુ હકીકત એ છે કે કોરોનાથી મર્યા બાદ પણ મૃતકોના મોતનો મલાજો હાલ ભાગ્યે જ જળવાઈ રહ્યો છે.

કોરોનાએ મચાવેલા આતંકનું આટલું જ વર્ણન કોઈને પણ હચમચાવી દેવા પૂરતું છે. જોકે, સુરતમાં તો જાણે આ દ્રશ્યો હવે સામાન્ય બની રહ્યા છે. કારણકે, અહીં સ્મશાનમાં કલાકોનો વેઈટિંગ પિરિયડ ઓછો કરવા હવે સામૂહિક અગ્નિસંસ્કાર કરવાનું શરુ કરવામાં આવ્યું છે. સ્મશાન ગૃહોમાં ચિતાઓ પણ સતત સળગી રહી છે. જેના કારણે તેમની લોખંડની ગ્રીલ પણ ઓળગવા લાગી છે, અને ચિમનીમાં પણ તીરાડો પડી ગઈ છે.

કોરોનાને કારણે હાલના દિવસોમાં એટલા બધા લોકો મોતને ભેટી રહ્યા છે કે, તેમના મોતનો મલાજો જાળવવાનું પણ હવે તંત્ર માટે શકય નથી રહ્યું. સામૂહિક ચિતાઓ સળગતી જોઈ મૃતકોના સગા-વ્હાલા પણ હચમચી જાય છે પરંતુ તેમની પાસે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. શહેરના પાલ વિસ્તારમાં આવેલા કૈલાશ મોક્ષ ધામ સ્મશાનગૃહમાં તો હવે સામૂહિક અગ્નિસંસ્કાર જાણે રોજના દ્રશ્ય બની ગયા છે.

પાલ સ્મશાનગૃહના ટ્રસ્ટી પ્રવીણ પટેલ જણાવે છે કે, મોટાભાગના કિસ્સામાં એક ચિતા પર એક જ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાય છે. પરંતુ જો ડેડબોડીની સંખ્યા વધી જાય તો મોટી ચિતામાં પાંચ મૃતદેહોના એકસાથે અંતિમ સંસ્કાર કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહેતો.

એક તરફ સ્મશાનોમાં સામૂહિક ચિતાઓ સળગી રહી છે, ત્યારે હોસ્પિટલમાંથી ડેડબોડી લાવી રહેલા વાહનોના દ્રશ્યો પણ હચમચાવી દેનારા હોય છે. હાલના દિવસોમાં મોટી ડેડબોડી વાનમાં પાંચ જયારે નાની વાનમાં ત્રણ બોડીને એકસાથે કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે પેક કરીને લાવવામાં આવે છે. આ વાન સીધી સ્મશાન ગૃહમાં જ ચાલી જાય છે, અને બોડીને ચિતા પર મૂકી દે છે. સ્મશાનગૃહનો સ્ટાફ ચિતાને સળગાવે છે, અને દ્યણીવાર તો બોડી જલ્દી સળગી જાય તે માટે કેરોસીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સ્મશાનમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોના મૃતદેહોનો જે રીતે ખડકલો થઈ રહ્યો છે, તેને પહોંચી વળવા માટે ત્રણ મોટી ચિતા બનાવાઈ છે જેમાં એકસાથે પાંચ મૃતકોના અંતિમ સંસ્કાર કરી શકાય છે. સ્મશાનમાં કોઈ બહારનો વ્યકિત દાખલ ના થઈ શકે અને કોઈ ફોટોગ્રાફ કે વિડીયો પણ ના લઈ શકે તે માટે કોર્પોરેશને પ્રાઈવેટ સિકયોરિટી પણ ગોઠવી દીધી છે.

(4:08 pm IST)