Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

દેશમાં પ્રતિ દિન ૧૦૬ જેટલા બળાત્કારના બનાવ : અહેવાલ

બળાત્કાર મુકત ભારત નિર્માણ અંગે પરિસંવાદ : બળાત્કાર મુકત ભારત બનાવવા માટેના રાષ્ટ્રીય બજેટમાં આ મુદ્દા માટે દસ ટકા બજેટની ફાળવણી કરવા માંગણી

અમદાવાદ, તા.૧૬ :  આજે સમગ્ર દેશમાં સૌથી વધુ ગંભીર, ચિંતાજનક અને રાષ્ટ્રીય આપાતકાલ જેવી સમસ્યા હોય તો તે બળાત્કાર-દુષ્કર્મ અને જાતીય સતામણીની છે. જેના કારણે આજે મહિલાઓ અને બાળકોની સુરક્ષા એ સૌથી મોટો પડકાર બની ગયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી)ના આંકડાઓ મુજબ, દેશમાં દર પંદર મિનિટે એક બાળકનું યૌન શોષણ થઇ રહ્યું છે. તો, પ્રતિદિન દેશમાં ૧૦૬ જેટલી બળાત્કારની ઘટનાઓ નોંધાય છે. દર અડધા કલાકે એક બળાત્કારની ઘટના ઘટે છે. ૨૦૧૫થી ૨૦૧૬ સુધીમાં બાળકો વિરૂધ્ધના ગુનાઓમાં ૧૪ ટકાથી વધુની વૃધ્ધિ નોંધાઇ છે ત્યારે સરકાર અને અન્ય રાજકીય પક્ષોએ રેપમુકત ભારત અભિયાન અંતર્ગત એક નક્કર, અસરકારક અને પરિણામલક્ષી રાષ્ટ્રીય કાર્યયોજના તૈયાર કરવી જોઇએ. એટલું જ નહી, ભારત દેશમાં હવે ચૂંટણી બાદ જે પણ સરકાર બને તેણે બળાત્કાર મુકત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય બજેટમાં આ મુદ્દા માટે દસ ટકા બજેટની ફાળવણી કરવી જોઇએ એ મતલબની મહત્વની માંગ આજે નોબલ શાંતિ પુરસ્કૃત કૈલાશ સત્યાર્થી ચીલ્ડ્રન ફાઉન્ડેશનના ડાયરેકટર ઓમ પ્રકાશ અને શાળા મિત્ર સંઘના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું. રેપ મુકત ભારત અને બાળકો પર જાતીય શોષણના સંવેદનશીલ મુદ્દા પરત્વે શહેરમાં યોજાયેલા એક પરિસંવાદમાં કૈલાશ સત્યાર્થી ચીલ્ડ્ર્ન ફાઉન્ડેશન, શાળા મિત્ર સંઘ સહિતની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં બળાત્કાર, દુષ્કર્મ અને બાળકો વિરૂધ્ધના ગુનાઓ વિશે અગત્યની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે નોબલ શાંતિ પુરસ્કૃત કૈલાશ સત્યાર્થી ચીલ્ડ્રન ફાઉન્ડેશનના ડાયરેકટર ઓમ પ્રકાશ અને શાળા મિત્ર સંઘના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે, દેશમાં મજબૂત કાયદા હોવાછતાં બળાત્કારની ઘટનાઓ અને બાળકો પર જાતીય શોષણ સહિતના ગુનાઓ વણથંભ્યા ચાલુ જ છે. જેને લઇ હવે સમાજમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને સલામતી સામે ગંભીર ખતરો ઉભો થયો છે. રેપમુકત ભારત નિર્માણ માટે નોબલ શાંતિ પુરસ્કૃત કૈલાશ સત્યાર્થી ચીલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા એક ખાસ અભિયાન છેડવામાં આવ્યું છે. જેને સફળ બનાવવા માટે સિવિલ સોસાયટી, સંસ્થાઓ, ધર્મગુરૂઓ અને સમાજના પ્રત્યેક નાગરિકે આ અભિયાનમાં જોડાઇ આગળ આવવું જોઇએ. આ અભિયાન અંતર્ગત દેશના જુદા જુદા ભાગોમાં લોકસંવાદનું આયોજન કરાઇ રહ્યું છે, સાથે સાથે દેશના ૫૦૦ જેટલા લોકસભા મતક્ષેત્રોમાં એક શપથપત્ર પર સહીઝુંબેશનું અભિયાન હાથ ધરાયું છે. જેમાં દરેક ઉમેદવાર પાસે શપથપત્ર પર સહી લઇ ભારતને રેપમુકત બનાવવા માટે વચનબદ્ધ કરવા સહભાગી બનાવવાની ઝુંબેશ ચલાવાઇ રહી છે. તેમણે ચૂંટણી બાદ આ સમગ્ર અભિયાનના બીજા તબક્કાને આગળ ધપાવવા અને વેગવંતુ બનાવવાની જાહેરાત પણ કરી હતી.

મુખ્ય ત્રણ માંગણી......

(૧) દેશમાં હવે જે નવી સરકાર બને તેણે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે રાષ્ટ્રીય બજેટમાં દસ ટકા બજેટની ફાળવણી કરવી

(૨) શાસક પક્ષ અને વિપક્ષ સહિતના તમામ રાજકીય પક્ષો બળાત્કાર-દુષ્કર્મ અને બાળકો વિરૂધ્ધના ગુનાઓ એ એક રાષ્ટ્રીય આપત્તિ સમાન સમસ્યા હોઇ તેના નિવારણ માટે રાષ્ટ્રીય કાર્યયોજના રજૂ કરે

(૩) બળાત્કાર મુકત ભારત નિર્માણ માટે રાજકીય પક્ષો સહિત સંસ્થાઓ, ધર્મગુરૂઓ, નાગરિકો આગળ આવે અને સક્રિય ભૂમિકા ભજવે

(9:33 pm IST)