Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સુરત ગુરૂકુળમાં સ્વામી દ્વારા અડપલાંથી ભારે સનસનાટી

સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંકિત ઘટના : ધોરણ-૯ના ૧૪ વર્ષની વયના વિદ્યાર્થી સાથે ખુદ સ્વામી દ્વારા શારીરિક અડપલાંનો બનાવ બનતાં ભારે ખળભળાટ

અમદાવાદ,તા. ૧૬ : સુરત સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયમાં બહુ શરમજનક અને અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં ખુદ સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી દ્વારા જ ધોરણ-૯માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં કરવાની ઘટના પ્રકાશમાં આવતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે, તો બીજીબાજુ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતો અને અનુયાયીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ છે. આ સમગ્ર મામલે કતાર પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાઇ છે. બીજીબાજુ, છાશવારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રકારની કલંકિત ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઇ હવે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠા અને છબી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા એક છોકરીને ભગાડી જવાના ચકચારભર્યા કેસનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે સુરતના ગુરૂકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે ખુદ સ્વામી દ્વારા જ શારીરિક અડપલાંની ઘટના સામે આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના એક વિદ્યાર્થી સાથે સ્વામી દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર સંપ્રદાયમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધોરણ ૯માં અભ્યાસ કરતા ૧૪ વર્ષીય વિદ્યાર્થીએ ઘરે આવી સ્વામીની આ કરતૂત વિશેની આપવીતી જણાવતા આખો મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીના વાલી કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. જો કે, આ ઘટનાને લઇ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતો અને અનુયાયીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

 

(9:30 pm IST)