Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સુરતમાં ૪૮ વર્ષીય ૧પ૦ કિલો વજનના મૃતકની અંતિમવિધી માટે ફાયરબ્રિગેડને ટીમને બોલાવવી પડી

સુરત :અત્યાર સુધી તમે એવા કિસ્સા સાંભળ્યા હશે, જેમાં કેટલાક કમનસીબ લોકોના મૃતદેહો રઝળી પડે છે, તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર કરાવવા કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે. પણ, સુરતમાં એક દુખદ તથા વિચિત્ર ઘટના બની હતી. એક વ્યક્તિના મૃત્યુ બાદ તેને અગ્નિ સંસ્કાર કરાવવા માટે પરિવારને ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવુ પડ્યું હતું.

બન્યું એમ હતું કે, સુરતના નાનપુરા કેશવમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રાજવિન્દર સિંગનું સોમવારે મૃત્યુ નિપજ્યું હતું. 48 વર્ષીય રાજવિન્દર સિંગ 150 કિલો જેટલુ ભારેભરમખ શરીર ધરાવતા હતા. મકાન ત્રીજા માળે હોવાથી તથા મકાનની સીડીઓ પણ સાંકડી હોવાથી 150 કિલોના મૃતદેહને નીચે ઉતારતા નાકે દમ આવી ગયો હતો. આ માટે પરિવારને એવુ લાગ્યું કે, તેમના માટે આ કામ અશક્ય છે, તો તેમણે ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવી હતી. ગઈકાલે નાનપુરા વિસ્તારમાં ભારેભરખમ મૃતદેહને ઉતારવાની કામગીરી જોવા અનેક લોકો એકઠા થયા હતા, તો આ ઘટના સુરતીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

કુદરતી આફત તથા આગ, રેસ્ક્યૂ જેવી ઘટનાઓમાં ફાયર બ્રિગેડની ટીમ હંમેશા લોકોની મદદ માટે પહોંચતી હોય છે. ત્યારે આ ટીમ સિંગ પરિવારની મદદે પણ તરત દોડી આવી હતી. રાજવિન્દર સિંગનુ મૃત્યુ બપોરે થયુ હતું. જેના બાદ દોઢ ફૂટનો સાંકડા દાદરથી મૃતદેહ ઉતારવો અશક્ય છે તેવુ પારખી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે ક્રેઈનની મદદથી મૃતદેહ ઉતારવાનું નક્કી કર્યું. પરંતુ નાનપુરા વિસ્તારની આ ગલીઓ પણ એટલી સાંકડી હતી કે, ક્રેઈન એપાર્ટમેન્ટ સુધી પહોંચી શકે તેમ ન હતી. અંતે રાજવિન્દર સિંગના મૃતદેહને દાદરમાંથી ઉતારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. એક મૃતદેહને ઉંચકવા 7 થી 8 જવાનો કામે લાગ્યા હતા, જેમણે કાપડમાં તેને મૂકીને દાદર પરથી મહામહેનતે નીચે ઉતાર્યો હતો. સાંકડા દાદરમાંથી મૃતદેહ ઉતારવો જાણે પાતળી રસ્સી પર ચાલવા જેવુ કપરુ કામ હતું. તેમ છતા ફાયર બ્રિગેડની ટીમે આ કામ પાર પાડ્યું.

મહાકાય મૃતદેહને નીચે ઉતાર્યા બાદ બીજુ ચેલેન્જિંગ કામ તેને સ્મશાન સુધી લઈ જવાનુ હતું. તેથી ફાયર બ્રિગેડે સ્મશાન સુધી તે કામગીરી કરી હતી. આમ, ફાયરબ્રિગેડની પ્રશંસનીય કામગીરી આખા સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. સિંગ પરિવાર માટે આ ટીમ ભગવાનની જેમ મદદે દોડી આવી હતી.

(5:39 pm IST)