Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગુજરાતમાં વોર્ડથી માંડી પ્રદેશ સુધી ભાજપનું માળખુ બદલાશે

લોકસભાની ચૂંટણી પછી તુરત સંગઠનની ચૂંટણી : તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી ધ્યાને રાખીને પસંદગી થશે

રાજકોટ, તા. ૧પ :  ભાજપમાં લોકસભાની ચૂંટણી પછી સંગઠન પર્વ તરીકે ઓળખાતી આંતરિક ચૂંટણી આવી રહી છે. દેશવ્યાપી સંગઠનની ચૂંટણી કરવાનો સમય પાકી ગયેલ પરંતુ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનના પદાધિકારીઓની મુદત વધારી દેવામાં આવેલ. ભાજપમાં સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય કક્ષા સુધીની સંગઠનની ચૂંટણી પ્રક્રિયા કરવામાં ૩ થી ૬ માસ જેટલો સમય જતો હોય છે. લોકસભાની ચૂંટણી પછી તુરત સંગઠન પર્વનો કાર્યક્રમ જાહેર થશે તેમ ભાજપના વર્તુળો જણાવે છે.

ભાજપને ભૂતકાળમાં મિસ્ડકોલ પધ્ધતિથી સભા નોંધણી કરેલ. ૧૧ કરોડ સભ્યોની નોંધણી સાથે ભાજપે વિશ્વનું સૌથી મોટુ રાજકીય સંગઠન બન્યાનો દાવો કર્યો હતો. ભાજપમાં સંગઠનની ચૂંટણી (રાષ્ટ્ર પ્રયોગ સંગઠન સંરચના) પૂર્વ પ્રાથમિક અને સક્રિય સભ્ય નોંધણી ઝુંબેશ કરવામાં આવે છે.

ભાજપની પધ્ધતિ મુજબ સૌપ્રથમ વોર્ડ અને તાલુકા પ્રમુખોની ચૂંટણી થાય છે. ત્યારબાદ મહાનગર અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી કરવામાં આવે છે. આ બધા પ્રમુખો મળીને પ્રદેશ પ્રમુખ ચૂંટે છે. બધા પ્રદેશ પ્રમુખો દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ ચુંટવામાં આવે છે. હાલ રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા પ્રમુખ ડી.કે. સખિયા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહની મુદત પુરી થઇ ગઇ છે. પાર્ટી ઇચ્છે તો વર્તમાન પ્રમુખોને ફરી પ્રમુખ તરીકે પસંદ કરી શકે પરંતુ હાલના સંજોગો જોતા ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. ર૦ર૦ના ઉતરાર્ધમાં મહાનગરપાલિકાઓ તથા તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં આવે છે. તેથી તેને ધ્યાને રાખીને પસંદગી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર ર૦રરમાં આવલા પાત્ર છે. નવા પ્રમુખોની મુદત ૩ વર્ષની રહેશે. તેથી હવે પછી ચૂંટાનાર પદાધિકારીઓના નેતૃત્વમાં જ ધારાસભાની ચૂંટણી લડવામાં આવે તેવી શકયતા નકારાતી નથી. લોકસભાની ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકીય ભાવિ પર નોંધપાત્ર અસર કરનારૂ બનશે.

(3:32 pm IST)