Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પેટલાદના પંડોળીમાં તાડી પાડવાથી યુવાનના મોતથી અરેરાટી

પેટલાદ:તાલુકાના પંડોળી ગામમાં કિડની કાંડનું ઘુણતુ ભુત હજી શાંત થયુ નથી ત્યાં તો તાડી પીવાથી યુવાનોના મોત થઈ રહ્યા હોવાની ચોંકાવનારી હકિકતો સામે આવી રહી છે જેમાં ગતરાત્રિના રોજ એક યુવાનનું એકાએક મોત થતા મરનારના પિતાએ મારા પુત્રનું તાડી પીવાથી મોત થયાની કેફિયત રજૂ કરાયા બાદ પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રે ૧૧:૩૦ કલાકે યુવાનને લાવવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરે યુવાનને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ તાલુકાના પંડોળી ગામમાં ૧૩ પરા વિસ્તાર છે. જેમાં ૨૦ હજારની વસ્તી વસવાટ કરી રહી છે. પંડોળી ગામમા સર્જાયેલા કિડની કૌભાંડના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પંડોળી ગામમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી ગ્રામજનો પોતાનું પેટીયું રળવા ખેત મજૂરી અને કડીયા કામ અને સેન્ટીંગ કામમાં મજૂરી અર્થે લગભગ ત્રણથી ચાર હજાર લોકો પેટલાદ તથા આજુબાજુના વિસ્તારોમાં મજૂરી અર્થે જાય છે. આ કડીયા કામના મજૂરો સાંજે થાકીને પરત ફરતા પોતાનો થાક ઉતારવા દારૂ અને તાડીના રવાડે ચડી ગયા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગત રોજ પંડોળી ગામે શનિવારના રોજ રાત્રે આનંદપુરામાં રહેતા અને કડિયાકામ કરી પોતાનું પેટીયું રળતા મહેશભાઈ રતિલાલ સોલંકી (ઉ.વ. ૨૫) પોતાના ઘરે રાત્રે નવેક વાગ્યાના અરસામાં ઢળી પડતા તેને તાબડતોબ ૧૦૮માં પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા જ મરનારના પિતા પોતાના પુત્રનું તાડી પીવાથી મોત થયાની ફરજ પરના ડોક્ટરને ફરિયાદ કરી હતી. ફરજ પરના ડોક્ટરે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશને ટેલિફોનિક વર્ધી લખાવતા પોલીસ તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરીને મૃતકનું પી.એમ. કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજરોજ સવારે રવિવારના રોજ મૃતકનું પી.એમ. કરાયા બાદ લાશનો કબજો લેવાનું સગાવ્હાલા અને ગ્રામજનો ના પાડી રહ્યા હતા ત્યારે પંડોળી ગામના જગદીશભાઈ સોલંકીએ ઉપસ્થિત જનોને સમજાવટ કરીને લાશનો કબજો મેળવ્યો હતો. લાશ ન લેવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા ગામમાં તાડી અંગે તરેહ તરેહની વાતો ફેલાઈ હતી. લાશનો કબજો મેળવીને મૃતક યુવાનની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મૃતક યુવાનની અંતિમ વિધિમાં સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું અને તાડી વેચનાર ઉપર ફીટકારની લાગણી વ્યાપી હતી. મરનારના ઘરે તેની પત્ની અને અઢી વર્ષના દીકરાને જોઈને પત્નીનું હૈયાફાટ રૂદનથી ગ્રામજનોની આંખો પણ ભિંજાઈ હતી. આ મરનારના પિતાએ રૂબરૂમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારો પુત્ર મહેશ ગતરાત્રીએ કડીયા કામ કરીને ઘરે પરત આવ્યો હતો ત્યારે તેણે તાડી પીધી હોય તેમ લથડીયા ખાઈને ઘર પાસે લથડી પડતા તેને સારવાર અર્થે ૧૦૮ને ફોન કરીને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ૧૦૮માં પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અમે પી.એમ. કરવાનું કહ્યું હતું અને મારા પુત્રનું તાડી પીવાથી જ મોત થયાનું લાગે છે. પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગતરાત્રીના સુમારે પેટલાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ટેલિફોનિક વર્ધી આપતા અમે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત ઉજાગર થશે. પી.એમ. રીપોર્ટ બાદ તાડી પીધા બાદ મોત થયું છે તો તાડી વેચનાર ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી હાથ ધરાશે. પંડોળી પી.એચ.સી.ના ડો. રફીક શેખે જણાવ્યું હતું કે, આજરોજ પંડોળીના મહેશભાઈનું પી.એમ.ની પ્રાથમિક તપાસમાં કંઈક શંકાસ્પદ જણાતું નથી પરંતુ વિસેરાને ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલીને એફ.એસ.એલ. થયા બાદ રીપોર્ટ આવશે ત્યારે જ સાચું કારણ જણાશે.

(7:58 pm IST)